ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ફેબ્રુઆરી 2022
સોમવાર.
પંજાબની વિધાનસભાની 20 ફેબ્રુઆરીના ચૂંટણી થઈ રહી છે બરોબર ત્યારે હરિયાણામાં બળાત્કાર અને મર્ડર કેસમાં જેલમાં સજા ભોગવી રહેલા ડેરા સચ્ચા સોદાના બાબા રામરહીમ જેલની બહાર આવી ગયો છે. ગુરમીત રામ રહીમ સિંહને 21 દિવસની ફર્લો મળી ગઈ છે.
બાબા રામરહીમે પહેલા પણ અનેક વખતે ફર્લો માટે અરજી કરી હતી પરંતુ દરેક વખતે તેની ફર્લો રદ કરવામાં આવી હતી. હાલમાં બાબા રોહતકની સુનરિયા જેલમાં બંધ છે.
ફર્લો એક છુટની જેમ હોય છે, જેમાં સજા પામેલા કેદીઓને જેલમાંથી રજા મળે છે અને તેઓ નિશ્ચિત સમય માટે પોતાના ઘરે જઈ શકે છે. પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા મળેલી આ ફર્લોના ઘણા રાજકીય અર્થો પણ કાઢવામાં આવી રહ્યા છે.
આ પહેલા રામ રહીમને અલગ અલગ કારણોને લઈ પેરોલ તો મળી છે પણ ફર્લો પ્રથમ વખત મળી છે. તે પણ 21 દિવસ માટે. આ દરમિયાન રામ રહીમને ફર્લો આપવા અંગે ઘણી બાબતો સાથે જોડવામાં આવી રહી છે. જ્યાં રામ રહીમ પહેલીવાર સિરસા ડેરા પહોંચશે. તે જ સમયે, સિરસા ડેરામાં પણ અનુયાયીઓ જોડાવા લાગ્યા છે. આવી સ્થિતિમાં પંજાબમાં ચૂંટણી છે અને રામ રહીમના બહાર આવવાને કારણે રાજકીય ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે.
SSC અને HSC બોર્ડના વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે સ્ટેટ બોર્ડે લીધો આ પગલુઃ જાણો વિગત
રામ રહીમને ઓગસ્ટ 2017માં સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે બે સાધ્વીઓ પર બળાત્કાર માટે દોષિત ઠેરવ્યો હતો. બાદમાં તેને રામચંદ્ર છત્રપતિ હત્યા કેસ અને રણજીત હત્યા કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. જેલના નિયમો અનુસાર કોઈપણ કેદી પેરોલ લઈ શકે છે અથવા રજા લઈ શકે છે. કાયદો અને વ્યવસ્થા કે અન્ય મુદ્દાઓ અંગે સરકાર અને જિલ્લા વહીવટીતંત્રે નિર્ણયો લેવાના હોય છે. હાલમાં જ રામ રહીમે જેલ પ્રશાસન પાસે 21 દિવસની રજા માંગી હતી. જેલ પ્રશાસને સરકારને અરજી મોકલી હતી. આ પછી રામ રહીમને સોમવારે રજા આપવામાં આવી છે.
અહીં ઉલ્લેખનીય છે કે રામ રહીમ ગયા વર્ષ દરમિયાન પાંચ વખત જેલમાંથી મુક્ત થયો હતો. હવે રામ રહીમને 21 દિવસની રજા આપવામાં આવી છે અને હવે તે લેખિત આદેશની રાહ જોઈ રહ્યો છે.