ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 23 ડિસેમ્બર 2021
ગુરુવાર.
વિધાનસભાનું શિયાળું અધિવેશન ચાલી રહ્યું છે ત્યારે ગુરુવારે વિધાનભવનના દાદરા પર મજાકીય બનાવ બની ગયો હતો. જોકે બહુ ઓછા લોકોએ તેની નોંધ લીધી હતી. પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી અને આરોપીની ધરપકડ પણ કરી નાખવામાં આવી છે ત્યારે આ ધમકીને લઈને ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ આદિત્ય ઠાકરેને ‘મ્યાઉં મ્યાઉં’ કહીને ચિડાવીને તેઓ ડરપોક હોવાનો અપ્રત્યક્ષ રીતે કટાક્ષ કર્યો હતો.
અહીં ઉલ્લેખનીય છે કે શિવસેના અને નારાયણ રાણેની દુશ્મની જગજાહેર છે. નારાયણ રાણે અને તેમના બંને દીકરા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેની મજાક ઉડાવવાની અને તેમનો કટાક્ષ કરવાનો એક પણ મોકો ચૂકતા નથી. સામે પક્ષે શિવસૈનિકો પણ તેમને જવાબ આપવાની એક પણ તક છોડતા નથી.
રાજ્યના વિધાનસભાના શિયાળુ સત્રના બીજા દિવસે રાજ્યના પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે આજે સવારના વિધાન ભવન પહોંચ્યા કે તરત જ ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ તેમને ‘મ્યાઉં મ્યાઉં’ કરીને ચીડાવ્યા હતા. આ સમયે વિરોધ પક્ષ ભાજપના નેતાઓ વિધાન ભવનના પગથિયા પર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, ત્યારે નિતેશે આ ટીખળ કરી હતી. તેથી બહુ લોકોનું તેના પર ધ્યાન ગયું નહોતું.
રાજ્ય વિધાનસભાના શિયાળુ સત્રમાં પહેલા દિવસે વિપક્ષ અને શાસક બંને પક્ષ આક્રમક રહ્યા હતા. આજે સત્રના બીજા દિવસે પણ વિપક્ષ આક્રમક રહ્યો હતો. સવારના અધિવેશન ચાલુ થાય તે પહેલા જ ભાજપના સભ્યો વિધાન ભવનના પગથિયાં પર બેસીને સરકારનો વિરોધ કર્યો હતો, તેમની સાથે નિતેશ રાણે પણ બેઠા હતા.
પંજાબના લુધિયાનાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સ્ફોટ, બેના મોત, અનેક જખમી; સીએમ ચન્નીએ આપ્યા આ આદેશ
આદિત્ય ઠાકરેને વોટ્સએપ ધમકી આપનારા આરોપીની બેંગ્લોરથી ધરપકડ કરવામાં આવી છે અને અધિવેશનમાં ગૃહમંત્રીએ પૂરા પ્રકરણની SIT તપાસ કરશે એવી જાહેરાત કરી છે. તે અગાઉ અધિવેશનમાં આ મુદ્દા પર ચર્ચા ચાલી રહી હતી ત્યારે નિતેશ રાણેએ સવાલ ઉઠાવ્યો હતો કે આદિત્ય ઠાકરેને ધમકીઓ મળે છે પણ તેઓ કરે છે શું? આદિત્ય ઠાકરેને કયા અવાજમાં ધમકી આપવામાં આવી હતી એવો સવાલ પણ નિતેશ રાણેએ કર્યો હતો. એટલું જ નહીં પણ આદિત્ય ઠાકરેએ સાંજે 7 અને 8 વાગ્યા પછી 'સભાઓ' બંધ કરી દેવી જોઈએ જેથી તેમને કોઈ ધમકીઓ ન મળે એવો કટાક્ષ પણ નિતેશ રાણેએ કર્યો હતો.