ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 ઓક્ટોબર, 2021
શુક્રવાર
દેશમાં દરેક ક્ષેત્રની જેમ ખેતીના ક્ષેત્રમાં પણ નવા નવા પ્રયોગો થઈ રહ્યા છે. અંબરનાથ જિલ્લાના ગ્રામીણ ક્ષેત્રમાં 50 ખેડૂતોએ સામાન્ય ચોખા સિવાય આ ચોમાસામાં કાળા, લાલ અને બ્લ્યુ રંગના ચોખાની વાવણી કરી હતી. અતિવૃષ્ટિનું સંકટ સહન કરેલા આ ચોખાની ખેતીમાં હવે લણણી શરૂ થઈ ગઈ છે. તેથી આગામી 15 દિવસમાં બજારમાં કાળા, બ્લ્યુ અને લાલ રંગના ચોખા જોવા મળશે. ખેડૂતોનું કહેવું છે કે સફેદ ચોખાની સરખામણીમાં આ રંગના ચોખામાં વધુ સ્વાદ અને સ્વાસ્થ્ય માટે ગુણકારી પણ હોય છે.
હાલમાં ગ્રામીણ ક્ષેત્રોમાં ખેતરોમાં લણણીનું કામ ચાલુ છે. કાળા, બ્લ્યુ અને લાલ રંગના ચોખાની ખેતી ભવિષ્યમાં વધારવાનું ખેડૂતો વિચારી રહ્યા છે. નવા પ્રકારના આ ચોખામાં એન્ટી ઓક્સિડેન્ટ છે તેમજ ડાયાબીટીસના દરદીઓ માટે વધુ લાભદાયક રહેશે. તેવો દાવો કૃષિ વિભાગે કર્યો છે. આ ચોખા 100થી 300 રૂપિયા કિલોના ભાવે વેચાય તેવી આશા ખેડૂતોને છે. અંબરનાથના સહાયક કૃષિ અધિકારી સચિન તોરવેએ આ સંદર્ભમાં જાણકારી આપતા કહ્યું હતું કે આ ત્રણ રંગના ચોખાનું વેચાણ કરવા માટે પણ વિભાગ ખેડૂતોને સહયોગ કરશે.
ચોખાની ખેતી મુખ્યરૂપે થાણે જિલ્લામાં વધુ થાય છે. કૃષિ વિભાગ પાસેથી મળેલી જાણકારી મુજબ 54 હજાર હેકટર જમીનમાં ચોખાની ખેતી થાય છે. ચોખાની ખેતીમાં લાગતી મજૂરીથી ખેડૂતો હંમેશા હેરાન રહે છે. આ નવા પ્રકારની ખેતીથી ખેડૂતોને સારા ભાવ મળે તેવી અપેક્ષા છે. રાજ્યના કૃષિ વિભાગે ખેડૂતો માટે ગત વર્ષે કાળા, બ્લ્યુ અને લાલ ચોખાના બીજ તૈયાર કર્યા હતા. ખેતી માટે બીજ ઉત્પાદનની પ્રક્રિયા પૂર્ણ કરીને વર્ષ 2021ના ખરીફ પાક માટે આ ચોખાના બીજ ખેડૂતોને આપવામાં આવ્યા છે.