News Continuous Bureau | Mumbai
- મધ્યપ્રદેશ સરકારે શક્ય તેટલી વહેલી તકે નવા ફોજદારી કાયદાઓનો 100% અમલ સુનિશ્ચિત કરવો જોઈએ
- રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત કેસોમાં ભાગેડુઓ સામે ગેરહાજરીમાં ટ્રાયલ શરૂ થવી જોઈએ
- આતંકવાદ અને સંગઠિત ગુના સંબંધિત જોગવાઈઓ હેઠળ કેસ નોંધતા પહેલા, વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ આ બાબતની તપાસ કરવી જોઈએ
- વંચિતોને ન્યાય સુનિશ્ચિત કરવા માટે કાનૂની સહાયની જોગવાઈ હોવી જોઈએ, સાથે જ તેના અમલીકરણ માટે જરૂરી તાલીમ પણ હોવી જોઈએ
- વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા પુરાવા રેકોર્ડ કરવાની સુવિધા માટે હોસ્પિટલો અને જેલોમાં પૂરતી સંખ્યામાં ક્યુબિકલ હોવા જોઈએ
- મધ્યપ્રદેશ સરકારે ફોરેન્સિક અધિકારીઓની ભરતી માટે રાષ્ટ્રીય ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરવા જોઈએ
બેઠકમાં ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નોંધ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રજૂ કરેલા ત્રણ નવા ફોજદારી કાયદાઓનો સાર ત્રણ વર્ષની અંદર ન્યાય પ્રદાન કરવાની જોગવાઈમાં રહેલો છે, જેમાં એફઆઈઆર દાખલ કરવાથી લઈને સુપ્રીમ કોર્ટમાંથી ચુકાદો આવે ત્યાં સુધી. નવા ફોજદારી કાયદાઓનો અમલ કરવામાં મધ્યપ્રદેશ સરકારે અત્યાર સુધી કરેલા પ્રયાસોની પ્રશંસા કરતાં ગૃહમંત્રીએ વહેલામાં વહેલી તકે રાજ્યમાં તેના ૧૦૦ ટકા અમલીકરણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આ સમાચાર પણ વાંચો: Mission SCOT: ભારતીય અવકાશ ક્ષેત્રે દિગંતારાની મહત્વની યાત્રા, મિશન SCOTની સફળતા પર પ્રધાનમંત્રીએ અભિનંદન આપ્યાં
New Criminal Laws: શ્રી અમિત શાહે ઉલ્લેખ કર્યો હતો કે, આતંકવાદ અને સંગઠિત અપરાધને લગતી કલમો હેઠળ કેસ નોંધતા અગાઉ વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ તપાસ કરવી જોઈએ કે આ કેસ આ કલમો લાગુ કરવા માટે લાયક ઠરે છે કે કેમ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ કાનૂની જોગવાઈઓનો કોઈપણ દુરૂપયોગ નવા ફોજદારી કાયદાઓની પવિત્રતાને નબળી પાડશે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ ઝીરો એફઆઈઆરને નિયમિત એફઆઈઆરમાં રૂપાંતરિત કરવા સતત દેખરેખ રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે સીસીટીએનએસ (ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ્સ) મારફતે બે રાજ્યો વચ્ચે એફઆઇઆરનું હસ્તાંતરણ કરવા સક્ષમ બનાવવા સિસ્ટમ સ્થાપિત કરવાનું સૂચન પણ કર્યું હતું. શ્રી શાહે દરેક જિલ્લામાં એકથી વધારે ફોરેન્સિક સાયન્સ મોબાઇલ વાનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા પર પણ ભાર મૂક્યો હતો. વધુમાં, તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પુરાવા રેકોર્ડિંગની સુવિધા માટે હોસ્પિટલો અને જેલોમાં પર્યાપ્ત સંખ્યામાં ક્યુબિકલ્સ બનાવવાનું મહત્વ દર્શાવ્યું હતું.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત કેસોમાં લાંબા સમયથી દેશમાંથી ફરાર ભાગેડુઓ સામે ગેરહાજરીમાં સુનાવણી શરૂ થવી જોઈએ. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ભારતીય નાગરિક સુરક્ષા આચારસંહિતામાં ગેરહાજર રહેતાં સુનાવણીની જોગવાઈઓ સામેલ છે, જે આ પ્રકારનાં ભાગેડુ અપરાધીઓ સામે પગલાં લેવા સક્ષમ બનાવે છે. આઇસીજેએસ (ઇન્ટર-ઓપેરેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ) હેઠળ ફાળવવામાં આવેલા ભંડોળનો ઉપયોગ ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ધોરણો અનુસાર ચુસ્તપણે કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા પણ તેમણે રાજ્ય સરકારને વિનંતી કરી હતી.
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી જણાવ્યું હતું કે પોલીસે ઇલેક્ટ્રોનિક ડેશબોર્ડ પર પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવેલી વ્યક્તિઓ વિશેની માહિતી પૂરી પાડવી જોઈએ. આ ઉપરાંત જપ્તીની યાદી અને કોર્ટને મોકલવામાં આવેલા કેસોની વિગતો પણ ડેશબોર્ડ પર ઉપલબ્ધ કરાવવી જોઈએ. તેમણે રાજ્યના ડીજીપીને આ બાબતોની સતત દેખરેખ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો.
આ સમાચાર પણ વાંચો: INS Mumbai: INS મુંબઈ માટે નવી સફળતા, બહુરાષ્ટ્રીય કવાયત લા પેરોસમાં ભાગ લેશે..
New Criminal Laws: શ્રી અમિત શાહે ફોરેન્સિક વિજ્ઞાનમાં કુશળતા ધરાવતા અધિકારીઓની ભરતી પર ભાર મૂક્યો હતો અને સૂચન કર્યું હતું કે, મધ્યપ્રદેશ સરકારે આ ઉદ્દેશ માટે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરવા જોઈએ. તેમણે ફોરેન્સિક સાયન્સમાં ડિપ્લોમા અભ્યાસક્રમો ઓફર કરીને અને ત્યારબાદ તેમની ભરતી કરીને ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રની પૃષ્ઠભૂમિવાળા વિદ્યાર્થીઓને તકો પૂરી પાડવાની ભલામણ પણ કરી હતી.
નવા કાયદાઓમાં ઇલેક્ટ્રોનિક પુરાવા માટેની જોગવાઈઓ અંગે કેન્દ્રીય ગૃહ પ્રધાને જણાવ્યું હતું કે રાજ્યના ગૃહ અને આરોગ્ય વિભાગોએ હોસ્પિટલો ઇલેક્ટ્રોનિક રીતે પોસ્ટ-મોર્ટમ અને અન્ય તબીબી અહેવાલો પ્રદાન કરે તે સુનિશ્ચિત કરવા માટે બેઠકો યોજવી જોઈએ. તેમણે નોંધ્યું હતું કે ઇ-સમન્સના અમલીકરણમાં મધ્યપ્રદેશ અગ્રેસર છે અને તેમણે રાજ્ય સરકારને એવી સિસ્ટમ સ્થાપિત કરવા વિનંતી કરી હતી કે જ્યાં અન્ય રાજ્યોના અધિકારીઓ ઇ-સમન્સના સફળ અમલીકરણને સમજવા માટે મધ્યપ્રદેશની મુલાકાત લઈ શકે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ વંચિતો માટે ન્યાય સુનિશ્ચિત કરવા મજબૂત કાનૂની સહાય પ્રણાલીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને આ ઉદ્દેશ માટે જરૂરી તાલીમ પ્રદાન કરવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગરીબોને કાનૂની સહાય સુનિશ્ચિત કરવાની જવાબદારી સરકારની છે. શ્રી શાહે સૂચન કર્યું હતું કે, મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રીએ દર મહિને ત્રણ નવા કાયદાનાં અમલીકરણની પ્રગતિની સમીક્ષા કરવી જોઈએ, મુખ્ય સચિવ દર 15 દિવસે અને પોલીસ મહાનિદેશક (ડીજીપી) સાપ્તાહિક તથા તમામ સંબંધિત વિભાગોનાં અધિકારીઓ સાથે. તેમણે ડીજીપીને તમામ પોલીસ કર્મચારીઓને સંવેદનશીલ બનાવવાનો નિર્દેશ પણ આપ્યો હતો અને એ વાત પર ભાર મૂક્યો હતો કે, સમયસર ન્યાય આપવો એ તેમની ટોચની પ્રાથમિકતા હોવી જોઈએ.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.