ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
07 નવેમ્બર 2020
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 નવેમ્બર 2020ના એટલે કે આવતી કાલે સવારે 11 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતમાં હજીરા ખાતે રો-પેક્સ ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે અને હજીરાથી ઘોઘર વચ્ચે રો-પેક્સ ફેરી સેવાને લીલીઝંડી બતાવી તેનો શુભારંભ કરાવશે. આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી સ્થાનિક વપરાશકર્તાઓ સાથે વાર્તાલાપ પણ કરશે.
હજીરા- ઘોઘા રો-પેક્સ ફેરી સેવા શરૂ થવાથી લોકોને અનેક ફાયદા થશે. જે નીચે મુજબ છે
#તે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રદેશના પ્રવેશ દ્વાર તરીકે કામ કરશે. રો-પેક્સ ફેરી સેવાથી ઘોઘા અને હજીરા વચ્ચેનું અંતર 370 કિમીથી ઘટીને ફક્ત 90 કિમી થઇ જશે.
#માલસામાનની હેરફેર માટે મુસાફરીમાં 10થી 12 કલાકનો સમય લાગે છે જે ઘટીને માત્ર 4 કલાક થઇ જશે જેથી ઇંધણની બચત થશે અને વાહનોના જાળવણી ખર્ચમાં પણ ઘટાડો થશે.
# રો-પેક્સ ફેરી સેવા દિવસ દરમિયાન હજીરાથી ઘોઘા રૂટ પર ત્રણ રાઉન્ડ ટ્રીપ કરશે જેનાથી દર વર્ષે અંદાજે 5 લાખ મુસાફરો, 80,000 મુસાફર વાહનો, 50,000 ટુ-વ્હિલર અને 30,000 ટ્રકોની આવનજાવન શક્ય બનશે.
#રો-પેક્સ ફેરી સેવાથી ટ્રક ડ્રાઇવરોને ડ્રાઇવિંગના કારણે લાગતા થાકમાં ઘટાડો થશે અને તેમને વધારાના ફેરા માટે તકો મળવાથી એકંદરે તેમની આવકમાં પણ વૃદ્ધિ થશે.
#દક્ષિણ ગુજરાતના લોકો માટે રો-પેક્સ સેવા સૌરાષ્ટ્રના દ્વાર ખોલી દેશે. સૌરાષ્ટ્રના જીલ્લાઓ આથક રીતે મજબૂત બનશે તથા ધંધા-રોજગારીની નવી તકો ઉભી થશે.
જાણો રો-પેક્સ ટર્મિનલની ખાસિયતો
હજીરા ખાતે શુભારંભ થઇ રહેલું રો-પેક્સ ટર્મિનલ 100 મીટર લાંબુ અને 400 મીટર પહોળું છે. આ ટર્મિનલ અંદાજે 25 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આ ટર્મિનલ પર વહીવટી ઓફિસ ઇમારત, પાર્કિંગની જગ્યા, સબસ્ટેશન અને વોટર ટાવર સહિત સંખ્યાબંધ સુવિધાઓ છે. રો-પેક્સ ફેરી વહાણ ‘વોયેજ સિમ્ફની’ DWT 2500-2700 MT સાથેનું ત્રણ ડેક વહાણ છે. જેમાં 12000થી 15000 GT વહન ક્ષમતા છે. તેની લોડિંગ ક્ષમતા મુખ્ય ડેકમાં 30 ટ્રક (પ્રત્યેક ટ્રક 50 MTની), ઉપરના ડેકમાં 100 મુસાફર કારો અને પેસેન્જર ડેકમાં 500 મુસાફરો તેમજ 34 ક્રૂ અને આતિથ્ય સ્ટાફની છે.