News Continuous Bureau | Mumbai
Pune Nasrapur Case। પુણેના નસરાપુર (ભોર)માં સાડા ત્રણ વર્ષની બાળકી પર થયેલા અત્યાચાર અને કરૂણ હત્યાની ઘટનાથી સમગ્ર મહારાષ્ટ્રમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. આ ઘટના બાદ મળેલી મહારાષ્ટ્ર કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જાતીય ગુનામાં સંડોવાયેલા આરોપીઓ માટે આકરા વલણના સંકેત આપ્યા છે. મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યા છે કે જાતીય શોષણના ગુનામાં પકડાયેલા નરાધમોને કોઈપણ સંજોગોમાં પેરોલ પર મુક્ત ન કરવા જોઈએ.
શું છે પેરોલ પરનો નવો નિર્ણય?
કેબિનેટ બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસે અવલોકન કર્યું કે, જાતીય ગુનાઓના 80 થી 90 ટકા કિસ્સાઓમાં આરોપીઓ અગાઉ જેલમાંથી પેરોલ પર બહાર આવેલા હોય છે અને તે સમયગાળા દરમિયાન જ ફરીથી આવા ગુના આચરે છે. 2014-2019 ના તેમના અગાઉના કાર્યકાળ દરમિયાન આવો કાયદો અમલમાં હતો, પરંતુ પાછળથી તે રદ થયો હતો. હવે ફરીથી આવો કડક કાયદો બનાવવા માટે તેમણે કાયદા અને ન્યાય વિભાગને સૂચના આપી છે જેથી ગુનેગારોને છૂટવાની કોઈ તક ન મળે.
નસરાપુર ઘટના- નરાધમે પથ્થર મારીને બાળકીની હત્યા કરી
નસરાપુરમાં વેકેશન માણવા આવેલી 4 વર્ષની માસૂમ બાળકી સાથે 1 મેના રોજ 65 વર્ષના આરોપીએ અમાનવીય કૃત્ય કર્યું હતું. આરોપીએ બાળકીને પથ્થર મારીને તેની હત્યા કરી અને લાશને છાણના ઢગલા નીચે છુપાવી દીધી હતી. ગ્રામજનોએ આરોપીને પકડીને પોલીસને હવાલે કર્યો છે. આ ઘટનાથી રાજ્યભરમાં રોષ હોવાથી સરકારે આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાનો નિર્ણય લીધો છે.
પીડિત પરિવારને ફાંસીની સજાની ખાતરી
મુખ્યમંત્રી ફડણવીસે જણાવ્યું કે, તેમણે પીડિત બાળકીના પિતા સાથે બે વખત વાત કરી છે અને તેમને ખાતરી આપી છે કે રાજ્ય સરકાર હાઈકોર્ટના માધ્યમથી આ કેસને ફાસ્ટ ટ્રેક પર લઈ જઈ રહી છે. તેમણે ઉમેર્યું કે, લોકશાહીમાં કાયદા મુજબ જ કાર્યવાહી થાય છે, અને આ કેસમાં એવી રીતે ચાર્જશીટ દાખલ કરવામાં આવશે કે આરોપીને મૃત્યુદંડની સજા જ થાય. આ મામલે પીડિત પરિવારને સત્તાવાર પત્ર પણ આપવામાં આવ્યો છે.
👉 આ સમાચાર વાચો:
Online Shopping Fraud। ઓનલાઇન શોપિંગમાં પૈસા ફસાઈ ગયા છે? ગભરાશો નહીં, આ રીતે મિનિટોમાં કરો ફરિયાદ અને મેળવો રિફંડ