ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૮ જુલાઈ, ૨૦૨૧
બુધવાર
એકંદરે શુદ્ધ પીવાના પાણી માટે મિનરલ વૉટરનો ઉપયોગ થાય છે, પણ જો કંઈક એવું બને કે શુદ્ધ પાણીની આ સમાન ગુણવત્તા સીધી તમને નળ દ્વારા ઉપલબ્ધ થઈ જાય તો? આવો જ કિસ્સો ઓડિશાના પુરી શહેરમાં બન્યો છે. નાગરિકો માટે પીવાનું શુદ્ધ પાણી સીધું અહીં નળ દ્વારા ઉપલબ્ધ છે અને એ પણ ચોવીસ કલાક. પુરી શહેરના લોકોએ નળના પાણીને હવે ફરીથી ફિલ્ટર કરવાની જરૂર રહી નથી.
વાત એમ છે કે ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે પુરી મ્યુનિસિપલ કૉર્પોરેશનની 'સુજલ' યોજનાનું ઉદ્ઘાટન કર્યું છે. આ યોજનાથી પુરીના 2.5 લાખ નાગરિકોને લાભ થશે. નાગરિકોએ હવે પાણી સંગ્રહ કરવાની જરૂર રહેશે નહીં, કારણ કે ચોવીસ કલાક ઘરમાં શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ રહેશે. આ સાથે જ હવે પુરી શહેર ચોવીસ કલાક શુદ્ધ પાણી પહોંચાડતું દેશનું પ્રથમ શહેર બન્યું છે. આ પાણીનો ઉપયોગ સીધો પીવા અને ભોજન માટે થઈ શકે છે.
શ્વેતા તિવારીને કોર્ટમાંથી મળી રાહત! પતિ અભિનવ કોહલીએ લગાવ્યો હતો આ આરોપ; જાણો વિગત
પુરીના નાગરિકોના ઘર ઉપરાંત દુકાનોમાં મ્યુનિસિપલ નળના પાણીની સુવિધા પણ છે. પુરી એક તીર્થસ્થાન છે અને દર વર્ષે લગભગ બે કરોડ પ્રવાસીઓ એની મુલાકાત લે છે. હવે શુદ્ધ પાણી માટે તેઓને મિનરલ વૉટરની બોટલો સાથે લેવી પડશે નહિ. હવેથી પુરીમાં દરેક જગ્યાએ તેમને શુદ્ધ પીવાનું પાણી સરળતાથી મળી શકશે.
ઉલ્લેખનીય છે કે પુરી મ્યુનિસિપલ કૉર્પોરેશનની આ યોજના હેઠળ શહેરમાં ૪૦૦ પરબની પણ વ્યવસ્થા કરી છે. વિશ્વમાં લંડન, ન્યૂ યૉર્ક અને સિંગાપોર જેવાં અમુક જ શહેરો છે કે જેમાં ૨૪ કલાક આ રીતે નળ દ્વારા શુદ્ધ પાણીની સુવિધા ઉપલબ્ધ હોય, હવે પુરી શહેર પણ આ યાદીમાં જોડાઈ ગયું છે.