ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 ઑગસ્ટ, 2021
શનિવાર
જમ્મુ અને કાશ્મીર પર્યટકોનું મુખ્ય આકર્ષણ છે. પ્રવાસીઓ શ્રીનગરના દાલ સરોવરની વારંવાર મુલાકાત લેતા રહે છે. દાલ સરોવર પર હાઉસબોટ પણ પ્રવાસીઓને આકર્ષે છે. હવે SBIનું તરતું ATM પણ એમાં એક અનોખું આકર્ષણ ઉમેરાયું છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બૅન્ક SBIએ દાલ સરોવરમાં દેશનું પ્રથમ તરતું ATM શરૂ કર્યું છે. આ તરતું ATM સ્થાનિકો તેમ જ પ્રવાસીઓમાં લોકપ્રિય બની રહ્યુ છે. બૅન્કે કહ્યું કે તેણે પ્રવાસીઓ અને સ્થાનિકોની સુવિધા માટે ફ્લોટિંગ ATM શરૂ કર્યું છે.

SBIએ એક ટ્વીટમાં માહિતી આપી હતી કે એનું તરતું ATM શ્રીનગરના દાલ સરોવરની મુલાકાત લેનારા પ્રવાસીઓ સાથે સ્થાનિક લોકોની રોકડની જરૂરિયાતો પૂરી કરશે. SBIના ચૅરમૅન દિનેશકુમારે ખુદ આ તરતા ATMનું ઉદ્ઘાટન કર્યું. આ ATM હાઉસબોટમાં ખોલવામાં આવ્યું છે.

જ્યારે SBIના ચૅરમૅન આ ATMનું ઉદ્ઘાટન કરવા શ્રીનગર પહોંચ્યા ત્યારે તેઓ શ્રીનગરની SBI શાખામાં પણ ગયા હતા. SBIની આ શાખા એ સમયથી કાર્યરત છે, જ્યારે SBI ઇમ્પિરિયલ બૅન્ક ઑફ ઇન્ડિયા હતી. આ જ પ્રસંગે તેમણે SBIની તાંગમાર્ગ શાખાનું પણ ઉદ્ઘાટન કર્યું હતું, જે ગુલમર્ગમાં આવતા પ્રવાસીઓને બૅન્કિંગ સુવિધાઓ પૂરી પાડશે.

શ્રીનગરના દાલ સરોવરમાં તરતી હાઉસબોટ અને શિકારાની સવારી દરેકને મોહિત કરે છે. સાથે જ SBIનું તરતું ATM એક નવું આકર્ષણ છે. પરંતુ શું તમે જાણો છો કે શ્રીનગરના દાલ તળાવમાં પહેલાંથી જ દેશમાં એકમાત્ર તરતી પોસ્ટ ઑફિસ છે. આ પણ અહીં આવનારાઓને હંમેશાં આકર્ષિત કરે છે.
