ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
16 ઓક્ટોબર 2020
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ડ્રામા વચ્ચે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરાઈ હતી. જેમાં અરજીકર્તાએ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનની માગ કરી હતી, આ અરજીને સુપ્રિમ કોર્ટે સાંભળવાથી ઈનકાર કરી દીધો. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ ન કરવામાં આવે તો પણ કાયદો અને વ્યવસ્થા માટે મુંબઇ અને આસપાસના કેટલાક વિસ્તારોમાં સૈન્ય તહેનાત કરવામાં આવે.
સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ એસ. એ. બોબેડેએ ટિપ્પણી કરી છે કે અભિનેતાના મોતનો અર્થ એ નથી કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા નિષ્ફળ ગઈ છે, તમે જે દાખલા આપ્યા છે તે બધા મુંબઈના છે અને જો એવી કોઈ માગ કરવી હોય તો રાષ્ટ્રપતિ પાસે જાઓ. ઉલ્લેખનીય છે કે દાખલ કરવામાં આવેલી અરજીમાં ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું મોત, કંગના રાનાઉતની ઓફિસમાં તોડફોડ અને શિવ સૈનિકો દ્વારા ભૂતપૂર્વ નૌસેના અધિકારી પર કરવામાં આવેલા હુમલાને ટાંકવામાં આવ્યા હતા.
આપને જણાવી દઈએ કે થોડા દિવસથી આ મુદ્દાઓને લઈને મહારાષ્ટ્રમાં સતત રાજ્ય સરકારને નિશાન બનાવવામાં આવી રહી છે. હાલમાં રાજ્યપાલ દ્વારા મુખ્યમંત્રીને એક પત્ર લખવામાં આવ્યો હતો, જેમાં રાજ્યમાં ધાર્મિક સ્થળો ખોલવાની વાત કરવામાં આવી હતી. જો કે, અનલોક 5 માટે રાજ્ય સરકારે જારી કરેલી નવી ગાઈડલાઈનમાં મંદિરો અને અન્ય ધાર્મિક સ્થળોને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ અગાઉ પણ રાજકીય પક્ષો અને કંગના રનૌતે સુશાંત કેસમાં ઉદ્ધવ સરકાર પર બેદરકારી દાખવવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, બાદમાં સુશાંતના પરિવારની અરજી પર સુપ્રીમ કોર્ટે સુશાંતના કેસની તપાસ સીબીઆઈને સોંપી હતી.