News Continuous Bureau | Mumbai
૪૫૬ ગામોમાં અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું
અભિયાનના પાંચ દિવસમાં ૩૭૭ થી વધુ શીલાફલકમની સ્થાપના અને વસુધાવંદનમાં ૩૪૨૦૦થી વધુ રોપાઓનું વાવેતર થયું
પંચપ્રણની પ્રતિજ્ઞા લઈને ૮૯ હજારથી વધુ લોકોએ સેલ્ફી અપલોડ કરી
રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘મારી માટી મારો દેશ’અભિયાનને મળી રહ્યો છે વ્યાપક પ્રતિસાદ
Surat : આઝાદીના અમૃત મહોત્સવના સમાપનના ભાગરૂપે તેમજ દેશ માટે પોતાનું જીવન ન્યોછાવર કરનારા ‘વીરો’ને શ્રદ્ધાંજલિ આપવા તા.૯મી ઓગસ્ટના રોજ શરૂ કરાયેલા રાષ્ટ્રવ્યાપી અભિયાન ‘મારી માટી મારો દેશ’માં તા.૧૩મી સુધીમાં ૫૦ હજાર થી વધુ રાષ્ટ્રપ્રેમી નાગરિકો સહભાગી બન્યા હતા. તેમજ વીરોને શ્રદ્ધાંજલિ આપી હતી. પાંચ દિવસમાં ૪૫૬ ગામોમાં અભિયાન હેઠળ કાર્યક્રમો યોજાયા હતા. ૮૯ હજારથી વધુ લોકોએ પંચપ્રણની પ્રતિજ્ઞા લઈને પોતાની સેલ્ફી અપલોડ કરી છે.
ગ્રામીણ વિસ્તારમાં ખૂબ જ સારો પ્રતિસાદ
આ અભિયાન અંતર્ગત પાંચ થીમ આધારિત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ભારતીય સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન શહીદ થયેલા વીરો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને સંગ્રામમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારી મહિલાઓને સન્માન સાથે શ્રદ્ધાંજલિ આપવા તથા દેશવાસીઓ રાષ્ટ્રભક્તિના રંગે રંગાય તે માટે આ અભિયાનમાં સૌ નાગરિકોને સહભાગી બનવા રાજ્ય સરકારે અનુરોધ કર્યો હતો. જેને આજે ગ્રામીણ વિસ્તારમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
૪૫૬ ગામોમાં વિવિધ કાર્યક્રમો યોજાયા
આ અભિયાન અંતર્ગત સુરત જિલ્લાના ૪૫૬ ગામોમાં વિવિધ કાર્યક્રમો યોજાયા છે. જેમાં ૧૩ ઓગષ્ટ સુધીમાં ૩૭૭ શીલાફલકમની સ્થાપના કરાઈ છે. જ્યારે વસુધાવંદનમાં ૩૪ હજાર રોપાઓનું વાવેતર કરાયું છે. દેશની આઝાદી માટે શહાદત વહોરનારા તથા દેશની સરહદની રક્ષા માટે શહીદ થનારા ૧૫૪ પરીવારોનું સન્માન કરાયું છે. આ ઉપરાંત બારડોલી, કડોદરા અને તરસાડી નગરપાલિકાઓમાં પણ મારી માટી મારો દેશ અંતર્ગત કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા.૧૩થી તા.૧૫ ઑગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાનમાં જોડાઈને ઘર પર તિરંગો ફરકાવવા આહવાન કર્યુ છે, જેને રાજયભરમાં વ્યાપક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. શહેર તથા ગામોમાં તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે. વિવિધ કાર્યક્રમોમાં મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના વિવિધ સમિતિના પ્રમુખશ્રીઓ, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો, ગ્રામજનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ સમાચાર પણ વાંચો :“મારી માટી, મારો દેશ”- માટીને નમન, વીરોને વંદન- આઝાદીની ઐતિહાસિક યાદો સાથે જોડાયેલું સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાનું ‘આ’ ગામ..