ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 ઑક્ટોબર, 2021
મંગળવાર
કહેવાય છે કે જો તમે માતૃભાષામાં શિક્ષણ મેળવ્યું હોય તો તમે કોઈ પણ ક્ષેત્રે પાછા પડો નહીં. એ જ વાતની પુષ્ટિ આપણને નાશિકની આર. પી. વિદ્યાલયમાં ભણેલી રાધિકા જોશી શાહના જીવન દૃષ્ટાંત દ્વારા મળે છે.
આર. પી. વિદ્યાલય, નાશિકની એકમાત્ર ગુજરાતી માધ્યમની શાળા છે અને આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓએ અનેક ક્ષેત્રમાં પ્રગતિ કરેલી છે. જેમ વિદ્યાર્થીઓ માટે શાળા વિદ્યાનું મંદિર હોય છે, એ જ રીતે શાળા માટે વિદ્યાર્થીઓનો યશ એ શાળાનું ગૌરવ હોય છે અને આ રાધિકા જોશી શાહ શાળાનું ગૌરવ બની ઊભરી આવી છે.
રાધિકાએ બાળમંદિરથી લઈને દસમા સુધીનું શિક્ષણ નિરંજન ખેતાણી બાળમંદિર, ગોદાવરીબાઈ પ્રાથમિક શાળા અને આર. પી. વિદ્યાલયમાંથી મેળવ્યું. ધોરણ દસની 2008ની બૅચમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો અને આદર્શ વિદ્યાર્થિનીનું પારિતોષિક પણ તેના જ નામે હતું. બાળમંદિરથી દસમા ધોરણ સુધી તેણે હંમેશાં પ્રથમ ક્રમાંક જાળવી રાખ્યો હતો.
મુલુંડમાં કોરોનાની ભવ્ય હૉસ્પિટલનો પ્રસ્તાવ આ વિવાદને લીધે રખડી પડ્યો છે; જાણો વિગત
રાધિકા એક સામાન્ય પરિવારમાં ઉછરેલી દીકરી છે. તેનાં માતાપિતાએ તેના ભણતર માટે અથાગ પ્રયત્નો કર્યા છે. તેના પિતા એક રિક્ષાચાલક અને માતા ઍકાઉન્ટન્ટનું કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતાં.
આજના સમયમાં રાધિકા જોશી શાહ એક ઉત્તમ લેખિકા છે. દસમા પછી તેણે ઇન્ફર્મેશન ટેક્નોલૉજીના અભ્યાસક્રમ માટે મૅરિટના આધારે નાશિકની એકમાત્ર ગવર્નમેન્ટ પૉલિટેક્નિક, સામનગાવમાં પ્રવેશ મેળવ્યો. દસમા સુધીનું શિક્ષણ ગુજરાતી માધ્યમમાં હતું અને પછીનો અભ્યાસક્રમ અંગ્રેજી માધ્યમમાં શરૂ થયો. એમ છતાં રાધિકાને ક્યારેય મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી. શાળામાં ગુજરાતી સાથે જ અન્ય ભાષાઓનું શિક્ષણ પણ ઉચ્ચ સ્તરનું જ હોય છે. IT ડિપ્લોમા ડિસ્ટિન્ક્શન સાથે પૂર્ણ કરીને એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો.
મુંબઈમાં સૉફ્ટવેર કંપનીમાં ટેક્નિકલ કન્ટેન્ટ રાઇટરની નોકરી મેળવી અને સાથે જ એક લેખિકા તરીકે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ બનાવ્યું. આજે તે ગુજરાતી, અંગ્રેજી, હિંદી અને મરાઠીમાં લઘુકથા લખે છે, તેમ જ પોતાની યુ- ટ્યૂબ ચૅનલ પણ ચલાવે છે. રાધિકાનો પહેલો હિંદી કાવ્યસંગ્રહ ‘અનકહે એહસાસ’ 28 સપ્ટેમ્બર 2021ના જાગતિક સ્તરે પ્રકાશિત થઈ ચૂક્યો છે, તેમ જ નૅશનલ લેવલની Myndro, અમદાવાદ આયોજિત ઓપન માઇક સ્પર્ધામાં બીજો ક્રમાંક મેળવી નામ રોશન કર્યું છે. હાલમાં રાધિકાના અંગ્રેજી, હિંદી અને મરાઠીમાં અનેક પુસ્તકો, ઑડિયોબુક, વીડિયો પ્રોજેક્ટ પર કામ ચાલુ છે.
રાધિકાએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે, “હું ખૂબ ભાગ્યશાળી છું કે મારું શિક્ષણ માતૃભાષા ગુજરાતીમાં થયું. આર. પી. વિદ્યાલયમાં મને ગુજરાતીની સાથે જ અંગ્રેજી, હિંદી, મરાઠીનું જે શિક્ષણ મળ્યું છે, એનાથી હું ક્યાંય જ પાછી પડી નથી. મારા આદરણીય શિક્ષકોએ દરેક વિદ્યાર્થીઓને એ રીતે તૈયાર કર્યા છે કે માતૃભાષામાં શિક્ષણ અવરોધક નહીં, પણ પ્રગતિને કારક બન્યું છે. લોકોને નવાઈ લાગે છે કે ગુજરાતી માધ્યમની વિદ્યાર્થિની હોવા છતાં બાકીની ભાષાઓ ઉપર પણ પ્રભુત્વ છે.”
આર. પી. વિદ્યાલયના સંચાલકે જણાવ્યું કે, “અમારી શાળાના વિદ્યાર્થીઓની પ્રગતિ એ જ અમારી ખરી મૂડી છે. ગુજરાતી ભાષામાં શિક્ષણ લઈને વિષયોને પોતાની ભાષામાં સમજવાથી પાયો પાક્કો થાય છે અને અંગ્રેજી સહિત હિંદી, મરાઠી પણ ઉત્તમ શિખવાડવામાં આવે છે, અને પરિણામ આપની સમક્ષ છે. ગુજરાતી માધ્યમની વિદ્યાર્થિની અંગ્રેજી, હિંદી અને મરાઠીમાં પુસ્તકો જાગતિક સ્તરે પ્રકાશિત કરીને શાળાનું નામ રોશન કરે છે. ચાલો, માતૃભાષામાં શિક્ષણ લઈ આપણી ભાષાને સમૃદ્ધ કરીએ.”