ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
04 નવેમ્બર 2020
ગુજરાતના કેવડીયા ખાતે આવેલાં દુનિયાના સૌથી ઊંચા સ્ટેચ્યુ ને રોડ, જળ, હવાઈ માર્ગે જોડયા બાદ હવે રેલમાર્ગે જોડવાની તૈયારીઓ ટુક સમયમાં જ પુરી થવા જઈ રહી છે. રેલ્વે બોર્ડના અધ્યક્ષ વિનોદકુમાર યાદવે જણાવ્યું છે કે ગુજરાતમાં ડભોઇ-ચાંદોદ-કેવડિયા વચ્ચેનો રેલવે પ્રોજેક્ટ ચાલુ વર્ષે ડિસેમ્બર સુધીમાં શરૂ થઈ જશે. મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલ્વે અંગે તેમણે જણાવ્યું કે વાપી અને વડોદરા વચ્ચે 237 કિલોમીટરના પ્રોજેક્ટના ડિઝાઇન અને નિર્માણ માટે સમજૂતી કરાર થયા છે, જે મુજબ કુલ 508 કિલોમીટરનો 47 ટકા ભાગ છે, જે માટે 24 હજાર 985 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના રેલવે લાઇન પ્રોજેકટ નવેમ્બરમાં જ પુર્ણ થતા તેના ઉપર 130 કિ.મી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડાવવાનો નિર્ધાર રેલવે તંત્ર દ્વારા કરવામા આવ્યો છે. આ માટે નિયત સમયે પ્રોજેકટ પુર્ણ થાય તે માટે પીએમઓ દ્વારા આ પ્રોજેકટનુ સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યુ છે. ડભોઇથી ચાંદોદ સુધીને ગેજ કનવર્ઝન અને ચાંદોદ થી કેવડીયા સુધીને નવી રેલ લાઇન સુધીના પ્રોજેકટ પુર્ણ સમયસર થાય તે માટે વિવિધ સુચનાઓ પણ અપાઇ છે.
