News Continuous Bureau | Mumbai
- ૧૬ હજારથી વધુ ગામના ૧૮.૯૫ લાખથી વધુ ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળશે:બાકી રહેલા ૬૩૨ જેટલા ગામના ખેડૂતોને પણ સત્વરે દિવસે વીજળી અપાશે- ઊર્જામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ
- રાજ્યના ૧૮,૨૨૫ ગામ પૈકી ૧૭,૧૯૩ ગામમાં ૨૦.૫૧ લાખથી વધુ ખેતીવાડી વીજ જોડાણો કરાયા
- ગાંધીનગર, બનાસકાંઠા, અમદાવાદ અને ખેડામાં કુલ ૬ નવી પેટા વિભાગીય કચેરીઓ મંજૂર
- ગુજરાત Renewable Energyની ૩૦ ગીગાવોટની કેપેસિટી સાથે સમગ્ર દેશમાં અગ્રેસર
Renewable Energy: ‘સુશાસન દિવસ’ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા લાખો ખેડૂતોના હિતમાં દિવસે વિજળી આપવાના મહત્વના નિર્ણયનો રાજ્યના ૯૬ ટકા ગામોમાં અમલ કરીને ખેડૂતોને રાત્રે ઉજાગરામાંથી મુક્તિ આપવામાં આવી છે. ગુજરાતના કુલ ૧૮,૨૨૫ ગામ પૈકી ૧૭,૧૯૩ ગામમાં ૨૦,૫૧,૧૪૫ જેટલા ખેતીવાડી વીજ જોડાણો કરવામાં આવ્યા છે. જે પૈકી ૧૬,૫૬૧ ગામના ૧૮,૯૫,૭૪૪ જેટલા ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવાનું શરુ કરી દેવામાં આવ્યું છે, તેમ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા ઊર્જામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું.
ઊર્જા મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કે, “કિસાન સૂર્યોદય યોજના” અંતર્ગત ૯૬ ટકા ગામના ખેડૂતોને દિવસે વીજળી મળી રહી છે. જેમાં બાકી રહેતા ૪ ટકા ગામો પૈકી મોટા ભાગના ગામો દેવભૂમિ દ્વારકા, કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના છે. આ બાકી રહેલા ૬૩૨ જેટલા ગામના ૧,૫૫,૪૦૧ જેટલા ખેડૂતોને એટલે કે ૪ ટકા ગામના ખેડૂતોને પણ સત્વરે દિવસે વીજળી આપી શકાય તે માટેની કામગીરી પ્રગતિમાં છે અને આ કામગીરી સત્વરે પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો :Bullet Train: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર 100 કિ.મી.ના વાયડક્ટ પર 200,000 ધ્વનિ નિયંત્રણ સ્થાપિત કરવામાં આવ્યા
ઊર્જામંત્રીશ્રી દેસાઈએ જણાવ્યું કે, દિવસે વીજળી મેળવી રહેલા ૧૬,૫૬૧ ગામના ખેડૂતો પૈકી ૧૧,૯૨૭ ગામના ખેડૂતોને સિંગલ શિફ્ટમાં સવારે ૮ થી સાંજના ૪ અને સવારે ૯ થી સાંજના ૫ વાગ્યાના સમય દરમિયાન દિવસે વીજળી આપવામાં આવે છે તથા ૪,૬૩૪ ગામના ખેડૂતોને બે શિફ્ટમાં એટલે કે સવારે ૫ થી બપોરના ૧ અને બપોરના ૧ થી સાંજે ૯ વાગ્યા સુધી દિવસે વીજળી આપવામાં આવી રહી છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
ઊર્જા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, સુશાસનના ભાગ રૂપે આજે ગાંધીનગર જિલ્લામાં નાનાચીલોડા અને સરગાસણ, બનાસકાંઠાના થરાદ, અમદાવાદના ઘુમા અને બાકરોલ તેમજ ખેડા જિલ્લામાં પીપલગ ખાતે એમ કુલ ૬ નવી પેટા વિભાગીય કચેરીઓ મંજૂર કરવામાં આવી છે. જેમાં અંદાજે ૨૫૧ જેટલા અધિકારી – કર્મચારીઓનું મહેકમ પણ મંજૂર કરવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો :Maharashtra Politics: મહાયુતિ 2.0 સરકારમાં નવી બબાલ, શિંદે જૂથના ઘણા નેતાઓ નારાજ; હવે આ કારણ આવ્યું સામે…
વધુમાં, છેલ્લા ત્રણ વર્ષમાં ૩૦ નવી પેટા વિભાગીય અને ૩ વિભાગીય કચેરીઓ મંજૂર કરીને રાજ્ય સરકારે સતત ખેડૂતોના હિતની ચિંતા કરી છે. છેલ્લા દાયકામાં ખેડૂતોને ૧૦ લાખ જેટલા નવા ખેતીવાડી વીજ જોડાણો આપવામાં આવ્યા છે, એટલે કે વર્ષે સરેરાશ ૧ લાખ જેટલા નવા ખેતીવાડી વીજ જોડાણો આપવામાં આવ્યા છે. હાલમાં નવીન ખેતીવાડી વીજ જોડાણ આપવામાં કોઈ પણ જાતનો વાંધો કે વિરોધ ન આવે તો ૩-૪ મહિનામાં વીજ જોડાણ આપી દેવામાં આવે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
ઊર્જા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતનો સરેરાશ માથાદીઠ વીજવપરાશ ૨,૨૩૮ યુનિટ છે જે દેશની સરેરાશ માથાદીઠ વીજવપરાશ ૧,૨૫૫ કરતાં લગભગ બમણા જેટલો છે, જે રાજ્યના વિકાસને પ્રતિબિંબિત કરે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જાહેર કરાયેલ “પીએમ સૂર્યઘર મુફ્ત બીજલી યોજના” હેઠળ દેશના ૧ કરોડના લક્ષ્યાંક સામે ગુજરાતમાં ૨ લાખ ૪૨ હજારથી વધુ વીજ ગ્રાહકોના મકાન પર ૯૦૦ મેગા વોટથી વધુ ક્ષમતાની સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરીને ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. આ ઉપરાંત પીએમ કુસુમ-C યોજના હેઠળ ફીડર લેવલ સોલરાઈઝેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં આગળ પડતું રાજ્ય છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ૧૦૮.૫૭૦ મેગાવોટના ૩૭ પ્લાન્ટ કાર્યરત થયા છે, જેનો ૪૮,૬૪૮ ખેતીવાડી વીજ ગ્રાહકોને લાભ મળ્યો છે. હાલમાં ગુજરાત Renewable Energy (Wind+ Solar+ Hydro+ Bio Power)ની ૩૦ ગીગાવોટની કેપેસિટી સાથે સમગ્ર દેશમાં અગ્રેસર છે,
તેમ ઊર્જા મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
—–
જીગર બારોટ
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
Join Our WhatsApp Community