News Continuous Bureau | Mumbai
E85 Flex Fuel Launch| ભારત સરકારના સ્વચ્છ, હરિત અને ઉર્જા સુરક્ષિત ભારતના વિઝનને વેગ આપવા માટે દેશમાં ઇંધણ ક્ષેત્રે એક ઐતિહાસિક ક્રાંતિની શરૂઆત થઈ છે. સામાન્ય પેટ્રોલ (E20) બાદ હવે દેશમાં સત્તાવાર રીતે ‘E85 ફ્લેક્સ ફ્યુઅલ’ (E85 FlexFuel) લોન્ચ કરવામાં આવ્યું છે. પર્યાવરણ દિવસની સાંજે કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ દિલ્હીના પૂસા રોડ સ્થિત ઇન્ડિયન ઓઇલના (Indian Oil) એક રિટેલ આઉટલેટ પર આ ખાસ ઇંધણનું ઉદ્ઘાટન કર્યું હતું. આ નવા ઇંધણની સૌથી મોટી ખાસિયત એ છે કે તેની કિંમત સામાન્ય પેટ્રોલ કરતાં પ્રતિ લીટર ૨૦ રૂપિયા ઓછી રાખવામાં આવી છે, જેનાથી વાહનચાલકોને મોટો આર્થિક ફાયદો થશે.
શું છે E85 ઇંધણનું ગણિત? ૧ લીટરમાં હશે ૮૫૦ ML ઇથેનોલ અને ૧૫૦ ML પેટ્રોલ
વૈજ્ઞાનિક માપદંડો અનુસાર, E85 ફ્લેક્સ ફ્યુઅલમાં ૮૫ ટકા ઇથેનોલ (Ethanol) અને માત્ર 15 ટકા શુદ્ધ પેટ્રોલનું મિશ્રણ કરવામાં આવ્યું છે. સરળ ભાષામાં સમજીએ તો, ૧ લીટર E85 ઇંધણમાં ૮૫૦ મિલીલીટર ઇથેનોલ હશે, જ્યારે માત્ર ૧૫૦ મિલીલીટર પેટ્રોલ મિક્સ હશે. હાલમાં દેશભરના સામાન્ય પેટ્રોલ પંપો પર મળતા ઇંધણમાં (E20) ૨૦ ટકા સુધી ઇથેનોલ મિક્સ હોય છે. કિંમતની દ્રષ્ટિએ દિલ્હીમાં સામાન્ય પેટ્રોલનો વર્તમાન ભાવ ૧૦૨.૧૨ રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે આ નવું E85 ઇંધણ ૨૦ સસ્તું એટલે કે ૮૨.૧૨ રૂપિયા પ્રતિ લીટર ના ભાવે મળશે. જો કે, મેકર્સે સ્પષ્ટ કર્યું છે કે આ ઇંધણ સામાન્ય ગાડીઓ માટે નથી, તેનો ઉપયોગ માત્ર ખાસ ટેકનોલોજીવાળા ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોમાં જ (FFVs) કરી શકાશે.
આગામી દોઢ વર્ષમાં ૫,૦૦૦ પંપો પર મળશે નવું તેલ
પેટ્રોલિયમ મંત્રાલયે આ ગ્રીન ઇનિશિયેટિવને તબક્કાવાર રીતે સમગ્ર દેશમાં વિસ્તારવાનું આયોજન કર્યું છે. સરકારી તેલ કંપનીઓએ હાલમાં દેશભરના ૪૮ પસંદગીના રિટેલ આઉટલેટ્સ પર E85 નું રોલઆઉટ શરૂ કરી દીધું છે. મંત્રાલયના લક્ષ્યાંક મુજબ, ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં દેશના મોટા શહેરોમાં ૫૦૦ પેટ્રોલ પંપો પર અને ડિસેમ્બર ૨૦૨૭ સુધીમાં દેશના ૫,૦૦૦ થી વધુ પેટ્રોલ પંપો પર આ ઇંધણ ઉપલબ્ધ કરાવાશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ હીરો મોટોકોર્પે ૨ ફ્લેક્સ-ફ્યુઅલ બાઇક અને મારુતિ સુઝુકીએ ફ્લેક્સ-ફ્યુઅલ વેગનઆર (WagonR) કાર લોન્ચ કરી છે, જે આ ઇંધણ પર ચાલવા માટે સક્ષમ છે. આ વાહનો E20 થી લઈને E100 સુધીના ઇથેનોલ બ્લેન્ડિંગ પર ચાલી શકે છે.
૧૨ વર્ષમાં ૧.૫% થી ૨૦% સુધી પહોંચ્યું બ્લેન્ડિંગ
વર્ષ ૨૦૧૪ માં ભારતમાં પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ માત્ર ૧.૫૩ ટકા હતું, જે સરકારે નિર્ધારિત સમય કરતાં ૫ વર્ષ વહેલા એટલે કે આજે ૨૦ ટકા (E20) સુધી પહોંચાડી દીધું છે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે, આ ઐતિહાસિક ફેરફારના કારણે ભારતે વિદેશી હૂંડિયામણમાં (Foreign Exchange) ૧.૮૪ લાખ કરોડ રૂપિયાથી વધુની મોટી રકમ બચાવી છે અને આશરે ૩૦૨ લાખ મેટ્રિક ટન ક્રૂડ ઓઇલની આયાતમાં ઘટાડો થયો છે. આ ઇંધણના ઉપયોગથી ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ૬૧ ટકા સુધીનો ઘટાડો થાય છે, જે પર્યાવરણ માટે વરદાન સમાન છે. આ સરકારી પગલાંથી દેશના ‘અન્નદાતા’ (ખેડૂતો) હવે શેરડી અને અનાજ દ્વારા ઇથેનોલનું ઉત્પાદન કરીને ‘ઉર્જાદાતા’ બન્યા છે, જેનાથી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત થશે અને ભારત ઉર્જા ક્ષેત્રે ૧૦૦% આત્મનિર્ભર બનશે.
👉 આ સમાચાર વાચો:
H1B Visa Bill 2026।અમેરિકી સંસદના એક નવા ખરડાથી કેમ ફફડી ગયા H1B વિઝા ધારકો? જાણી લો ગ્રીન કાર્ડના નવા નિયમોની અંદરની વાત
