News Continuous Bureau | Mumbai
Major Relief: ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને કારણે સર્જાયેલા વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે ભારતીય ગ્રાહકોને મોટી રાહત આપી છે. ઈંધણના વધતા ભાવોને અંકુશમાં રાખવા માટે મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલ પર વસૂલવામાં આવતી એક્સાઈઝ ડ્યુટીમાં (ઉત્પાદ શુલ્ક) મોટો કાપ મૂક્યો છે. આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ મોંઘું થવા છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર અથવા સસ્તા થઈ શકે છે.કેન્દ્ર સરકારના નવા આદેશ અનુસાર, પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટી 13 રૂપિયા પ્રતિ લીટરથી ઘટાડીને માત્ર 3 રૂપિયા કરી દેવામાં આવી છે (એટલે કે ₹10નો ઘટાડો). જ્યારે ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી 10 રૂપિયાથી ઘટાડીને સીધી ‘શૂન્ય’ (Zero) કરી દેવામાં આવી છે. સરકારનો આ વ્યૂહાત્મક નિર્ણય દેશની અર્થવ્યવસ્થા અને સામાન્ય જનતાના ખિસ્સા પર પડતા બોજને ઘટાડવા માટે લેવામાં આવ્યો છે.
શું ઘટશે પેટ્રોલ-ડીઝલના ભાવ?
આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધને કારણે કાચા તેલની સપ્લાય ચેઈન ખોરવાઈ છે, જેના કારણે તેલ કંપનીઓ પર ભાવ વધારવાનું દબાણ હતું. પરંતુ એક્સાઈઝ ડ્યુટીમાં આટલો મોટો ઘટાડો થવાથી હવે તેલ કંપનીઓ ભાવ વધારો રોકી શકશે અથવા કિંમતોમાં ઘટાડો કરી શકશે. જો તેલ કંપનીઓ આ ઘટાડાનો સીધો લાભ ગ્રાહકોને આપે, તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે.
આ સમાચાર પણ વાંચો: IMD Rain Alert: હવામાનમાં મોટો પલટો! 31 માર્ચ સુધી ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વરસાદી સંકટ, હવામાન વિભાગની મોટી ચેતવણી.
ભારત પાસે 60 દિવસનો સુરક્ષિત સ્ટોક
પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે ઈરાન યુદ્ધને કારણે કાચા તેલની અડધી સપ્લાય પ્રભાવિત થઈ હોવા છતાં, ભારતે અન્ય દેશોના સ્ત્રોતો દ્વારા આગામી 60 દિવસ માટે પૂરતો તેલનો જથ્થો સુરક્ષિત કરી લીધો છે. મંત્રાલયે દેશભરના તમામ પેટ્રોલ પંપ પર પૂરતો સ્ટોક હોવાનું અને પંપ સામાન્ય રીતે કાર્યરત હોવાનું જણાવ્યું છે. સરકાર દ્વારા ઈંધણના વિતરણમાં કોઈ જ પ્રકારની રેશનીંગ (મર્યાદા) કરવામાં આવી નથી.
અફવાઓથી બચવા અને પેનિક બાઈંગ ન કરવા અપીલ
છેલ્લા બે દિવસમાં દેશભરમાં પેટ્રોલ-ડીઝલની માંગમાં અચાનક 15% થી 50% નો ઉછાળો જોવા મળ્યો છે. અછતની અફવાઓને કારણે લોકો પેટ્રોલ પંપ પર પડાપડી કરી રહ્યા છે, જેને ‘પેનિક બાઈંગ’ કહેવામાં આવે છે. સરકારે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ આવી કોઈ પણ અફવા પર ધ્યાન ન આપે. નાના શહેરોમાં પેમેન્ટ સિસ્ટમના કારણે કેટલીક જગ્યાએ પુરવઠામાં મુશ્કેલી પડી શકે છે, પરંતુ એકંદરે દેશમાં ઈંધણની કોઈ અછત નથી.
