News Continuous Bureau | Mumbai
Pakistan Terror Attack પાકિસ્તાનના અશાંત વિસ્તાર ઉત્તર વઝીરિસ્તાનમાં શુક્રવારે એક ભયાનક આતંકી હુમલો થયો છે. આત્મઘાતી કાર બોમ્બર અને ત્રણ બંદૂકધારીઓએ સૈન્ય ચોકીને નિશાન બનાવી હતી. આ હુમલામાં પાકિસ્તાની સેનાના ૪ સૈનિકોના મોત થયા છે, જ્યારે વિસ્ફોટની તીવ્રતા એટલી વધુ હતી કે આસપાસના અનેક મકાનો ધરાશાયી થતા ૧૫થી વધુ નાગરિકો ઘાયલ થયા છે.
કેવી રીતે થયો હુમલો?
પાકિસ્તાની સેના દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, આતંકીઓએ અત્યંત આયોજનબદ્ધ રીતે આ હુમલાને અંજામ આપ્યો હતો. શરૂઆતમાં હુમલાખોરોએ સૈન્ય ચોકીની અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરક્ષા દળોના કડક પ્રતિકારને કારણે તેઓ અસફળ રહ્યા હતા. આથી, તેમણે વિસ્ફોટકોથી ભરેલી ગાડીને ચોકીની બહારની દીવાલ સાથે જોરદાર ધડાકા સાથે અથડાવી દીધી હતી. આ વિસ્ફોટની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે નજીકમાં આવેલી એક મસ્જિદ અને સામાન્ય નાગરિકોના મકાનો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયા હતા. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોમાં મહિલાઓ અને માસૂમ બાળકોનો પણ સમાવેશ થાય છે. હુમલા બાદ શરૂ થયેલી કલાકો સુધીની ભીષણ મુઠભેડમાં સુરક્ષા દળોએ ત્રણેય આતંકીઓને ઘટનાસ્થળે જ ઠાર કર્યા હતા.
TTP પર શંકાની સોય
જોકે અત્યાર સુધી કોઈ આતંકી સંગઠને સત્તાવાર રીતે આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી, પરંતુ પાકિસ્તાની સેનાની શંકાની સોય ‘તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન’ (TTP) તરફ છે. પાકિસ્તાની સત્તાવાળાઓએ દાવો કર્યો છે કે આ આત્મઘાતી હુમલાનું કાવતરું પાડોશી દેશ અફઘાનિસ્તાનની ધરતી પર ઘડવામાં આવ્યું હતું. બીજી તરફ, અફઘાન તાલિબાને પાકિસ્તાનના આ આરોપોને નકારતા હંમેશાની જેમ સ્પષ્ટતા કરી છે કે તેઓ પોતાની જમીનનો ઉપયોગ કોઈ પણ અન્ય દેશ વિરુદ્ધ આતંકી ગતિવિધિઓ માટે થવા દેતા નથી. આ ઘટનાએ ફરી એકવાર પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સરહદી તણાવને વધારી દીધો છે.
આ સમાચાર પણ વાંચો : Bangladesh Violence: બાંગ્લાદેશ સળગ્યું! સૌથી મોટા અખબારોની ઓફિસોમાં તોડફોડ અને આગજની, પત્રકારોએ માંડ જીવ બચાવ્યા.
વધતો જતો તણાવ
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી તણાવ ચરમસીમાએ છે. ઓક્ટોબરમાં સરહદ પર અથડામણો થઈ હતી અને નવેમ્બરમાં તુર્કીમાં થયેલી વાતચીત પણ અનિર્ણિત રહી હતી. પાકિસ્તાની સેનાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આતંકીઓ અને તેમના મદદગારો વિરુદ્ધ ગમે ત્યારે કાર્યવાહી કરવાનો અધિકાર સુરક્ષિત રાખે છે.