News Continuous Bureau | Mumbai
US-EU Tariff War: વૈશ્વિક રાજકારણ અને વેપારના સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે. અમેરિકા અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે વધતા જતા વેપાર વિવાદને કારણે ભારત માટે નવી તકોના દ્વાર ખુલ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડેનમાર્ક, ફ્રાન્સ, જર્મની અને બ્રિટન જેવા દેશોમાંથી આવતી વસ્તુઓ પર ભારે ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ સ્થિતિમાં યુરોપિયન દેશો હવે ભારત જેવા સ્થિર વેપાર ભાગીદાર તરફ વળી રહ્યા છે.આ વિવાદનું મુખ્ય કારણ ગ્રીનલેન્ડ પર અમેરિકાનો કબ્જો કરવાની ઈચ્છા હોવાનું મનાય છે. જે દેશોએ આ બાબતે અમેરિકાનો વિરોધ કર્યો છે, તેમના પર ટ્રમ્પે 1 ફેબ્રુઆરીથી 10% ટેક્સ (Tax) લાદવાની જાહેરાત કરી છે, જે જૂન સુધીમાં વધીને 25% થઈ શકે છે. આ વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારત એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે.
27 જાન્યુઆરીએ ભારત-EU વચ્ચે થઈ શકે છે ‘મધર ઓફ ઓલ ડીલ્સ’
ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટેની વાતચીત હવે અંતિમ તબક્કામાં છે. 25 થી 27 જાન્યુઆરી દરમિયાન યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વૉન ડેર લેયેન ભારતની મુલાકાતે આવશે અને તેઓ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ પણ હશે. આ મુલાકાત દરમિયાન ઐતિહાસિક વેપાર સમજૂતીની જાહેરાત થઈ શકે છે, જેને વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે ‘મધર ઓફ ઓલ ડીલ્સ’ ગણાવી છે.
ભારતીય નિકાસકારો માટે મોટી તક
અમેરિકા અને EU વચ્ચેના તણાવને કારણે ઘણા મોટા વ્યવસાયો હવે અન્ય દેશોમાં શિફ્ટ થઈ શકે છે. રેડીમેડ કપડાં, એન્જિનિયરિંગ સામાન અને ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રે ભારતને મોટો ફાયદો મળી શકે છે. નિષ્ણાતોના મતે, યુરોપિયન યુનિયન હવે અમેરિકા પરની નિર્ભરતા ઘટાડવા માટે ભારત સાથે વહેલી તકે સમજૂતી પૂર્ણ કરવા માંગશે, જેનો લાભ ભારતીય નિકાસકારોને મળશે.
આ સમાચાર પણ વાંચો : Saina Nehwal Retirement: ઓલિમ્પિક મેડલિસ્ટ સાયના નેહવાલે બેડમિન્ટનમાંથી સત્તાવાર સંન્યાસ જાહેર કર્યો; ભારતીય સ્પોર્ટ્સના એક યુગનો અંત.
અસ્થિર વિશ્વમાં ભારત એક સ્થિર ભાગીદાર
વર્ષ 2025 ના આંકડા દર્શાવે છે કે ચીન અને અમેરિકા વચ્ચેના વેપાર તણાવ છતાં ભારતની અમેરિકામાં નિકાસ 16% વધીને 85.51 અબજ ડોલર થઈ છે. વાણિજ્ય સચિવ ના જણાવ્યા અનુસાર, ભારત રાષ્ટ્રીય હિતો સાથે સમજૂતી કર્યા વિના પરસ્પર ફાયદાકારક વેપાર સમજૂતી કરવા માટે તૈયાર છે. આ ડીલથી યુરોપિયન ટેકનોલોજી ભારત આવશે અને ભારતીય માલ યુરોપના બજારોમાં સસ્તો થશે.