News Continuous Bureau | Mumbai
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વચ્ચે વોશિંગ્ટનમાં એક મહત્વની બેઠક યોજાઈ હતી. ટ્રમ્પના સત્તામાં પરત ફર્યા બાદ આ સાતમી મુલાકાત હતી. બંને નેતાઓ વચ્ચે ૨ કલાકથી વધુ સમય સુધી બંધ બારણે ચર્ચા થઈ હતી, પરંતુ ઈરાન વિરુદ્ધ કોઈ સૈન્ય હુમલા કે નિર્ણાયક સમજૂતી અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
‘ઈરાન સાથે વાતચીત એ જ પહેલી પસંદ’ – ટ્રમ્પ
બેઠક બાદ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ઈરાન સાથે વાતચીતનો દોર ચાલુ રહેવો જોઈએ જેથી જોઈ શકાય કે કોઈ સમજૂતી શક્ય છે કે નહીં. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે જો કોઈ સંતોષકારક સમજૂતી થાય તો તે તેમની પહેલી પસંદ હશે, પરંતુ જો ડિપ્લોસી કામ નહીં કરે તો આગળ શું કરવું તે પછીથી નક્કી કરવામાં આવશે. ટ્રમ્પ એવું ઈચ્છે છે કે નવી સમજૂતીમાં ‘કોઈ પરમાણુ હથિયાર અને કોઈ મિસાઈલ’ હોવા જોઈએ નહીં.
આ સમાચાર પણ વાંચો : MM Naravane Book Leak: શું ભારતની સુરક્ષા વિગતો લીક થઈ? જનરલ નરવણેનું પુસ્તક વિદેશી વેબસાઇટ્સ પર કેવી રીતે પહોંચ્યું? દિલ્હી પોલીસનો ચોંકાવનારો ઘટસ્ફોટ
ઇઝરાયેલની ચિંતાઓ અને મિસાઈલ કાર્યક્રમ
નેતન્યાહુએ બેઠક દરમિયાન ઇઝરાયેલની સુરક્ષા જરૂરિયાતો પર જોર આપ્યું હતું. ઇઝરાયેલ ઈચ્છે છે કે ઈરાન સાથેની કોઈ પણ સમજૂતી માત્ર પરમાણુ કાર્યક્રમ સુધી મર્યાદિત ન રહેતા તેના બેલેસ્ટિક મિસાઈલ કાર્યક્રમ અને હમાસ-હિઝબુલ્લાહ જેવા સંગઠનોને મળતા સમર્થન પર પણ રોક લગાવે. જોકે, ઈરાને પહેલેથી જ ચેતવણી આપી છે કે તેઓ પોતાના મિસાઈલ કાર્યક્રમ પર કોઈ પણ સમજૂતી સ્વીકારશે નહીં, જેના કારણે મધ્ય પૂર્વમાં મોટા સંઘર્ષની આશંકા વધી ગઈ છે.
‘બોર્ડ ઓફ પીસ’ માં ઇઝરાયેલની એન્ટ્રી
બેઠકમાં ગાઝા સંઘર્ષ વિરામ અને પુનઃનિર્માણ યોજના પર પણ ચર્ચા થઈ હતી. નેતન્યાહુએ જાહેરાત કરી છે કે ઇઝરાયેલ ટ્રમ્પની ‘બોર્ડ ઓફ પીસ’ (Board of Peace) પહેલમાં સામેલ થશે. નેતન્યાહુએ અમેરિકી વિદેશ સચિવ માર્કો રુબિયો સાથેની મુલાકાત બાદ હસ્તાક્ષરની પુષ્ટિ કરી હતી. ટ્રમ્પે દાવો કર્યો હતો કે મધ્ય પૂર્વમાં શાંતિની દિશામાં અદભૂત પ્રગતિ થઈ રહી છે.