News Continuous Bureau | Mumbai
PM Modi Cabinet Meeting। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુરુવારે સાંજે કેન્દ્રીય મંત્રીપરિષદની એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટી બેઠક યોજાઈ હતી. આ હાઈલેવલ બેઠક આશરે સાડા ચાર કલાક સુધી ચાલી હતી, જેમાં દેશની આર્થિક પ્રગતિ, સરકારી સુધારાઓ અને ભવિષ્યની રણનીતિ જેવા અનેક મોટા મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી. પીએમ ઓફિસના ‘સેવા તીર્થ’ ખાતે સાંજે ૫ વાગ્યે શરૂ થયેલી આ બેઠકમાં કેન્દ્ર સરકારના તમામ કેબિનેટ પ્રધાનો, સ્વતંત્ર પ્રભાર ધરાવતા રાજ્યકક્ષાના પ્રધાનો અને અન્ય તમામ રાજ્ય મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોદી સરકારના ત્રીજા કાર્યકાળના બે વર્ષ પૂર્ણ થવાના આરે યોજાયેલી આ વર્ષની આ પ્રથમ સંપૂર્ણ મંત્રીપરિષદ બેઠક હતી.
સરકારના કામકાજનો ‘મિડ-ટર્મ રિવ્યુ’ અને ૯ મંત્રાલયોનું પ્રેઝન્ટેશન
સરકારી વર્તુળોના જણાવ્યા અનુસાર, આ મહાબેઠક એક પ્રકારે સરકારના કામકાજનો ‘મિડ-ટર્મ રિવ્યુ’ (મધ્યસત્ર સમીક્ષા) હતી, જેમાં વિવિધ મંત્રાલયોએ પાછલા મહિનાઓમાં લીધેલા મોટા નિર્ણયો અને તેના પરિણામોનો હિસાબ રજૂ કર્યો હતો. બેઠકમાં કુલ ૯ મુખ્ય મંત્રાલયો દ્વારા વિશેષ પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું, જેની શરૂઆત વાણિજ્ય (કોમર્સ) મંત્રાલયથી થઈ હતી. ત્યારબાદ પેટ્રોલિયમ, ગૃહ, નાણાં અને વિદેશ મંત્રાલય જેવા અત્યંત સંવેદનશીલ વિભાગોના કામની સમીક્ષા કરવામાં આવી હતી. તમામ મંત્રાલયોને તેમના સુધારાઓને કાયદાકીય ફેરફાર, નિયમોમાં ફેરફાર, નીતિગત ફેરફાર અને કાર્યશૈલીમાં ફેરફાર- એમ ચાર મુખ્ય ભાગોમાં વહેંચીને તેની સામાન્ય જનતા પર થયેલી અસરો દર્શાવવા જણાવાયું હતું.
વર્ષ ૨૦૪૭ ના વિઝન અને ‘ઈઝ ઓફ લિવિંગ’ પર પીએમ મોદીનો ભાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠક દરમિયાન તમામ મંત્રીઓને સ્પષ્ટ અને કડક નિર્દેશ આપ્યા હતા કે તેઓ ભારતને વર્ષ ૨૦૪૭ સુધીમાં એક સંપૂર્ણ વિકસિત દેશ બનાવવાના લક્ષ્યને (Vision 2047) હંમેશા નજર સમક્ષ રાખીને જ નીતિઓ ઘડે. તેમણે દેશના સામાન્ય નાગરિકોની જિંદગીને વધુ સરળ બનાવવા એટલે કે ‘ઈઝ ઓફ લિવિંગ’ (Ease of Living) પર સૌથી વધુ ભાર મૂક્યો હતો. પીએમએ મોટા સરકારી પ્રોજેક્ટ્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામો સમયસર પૂર્ણ થાય તે માટે વિવિધ મંત્રાલયો વચ્ચેના પરસ્પર તાલમેલને (કો-ઓર્ડિનેશન) વધુ મજબૂત કરવા પર પણ ભાર મૂક્યો હતો.
મિડલ ઈસ્ટ સંકટની આર્થિક અસર અને પીએમનો વિદેશ પ્રવાસ
વર્તમાન સમયમાં પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા ભયાનક યુદ્ધ અને તણાવની સીધી અસર ભારતની અર્થવ્યવસ્થા પર પડી રહી છે, જેના પર બેઠકમાં વિગતવાર ચર્ચા થઈ હતી. વડાપ્રધાને મંત્રીઓને આદેશ આપ્યો હતો કે આ વૈશ્વિક કટોકટીના કારણે દેશના સામાન્ય નાગરિકોને મોંઘવારીનો સામનો ન કરવો પડે તે માટે ઉર્જા (એનર્જી), કૃષિ, ખાતર, એવિએશન, શિપિંગ અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રો પર વિશેષ દેખરેખ રાખવામાં આવે. આ સંકટ પર રક્ષા મંત્રી રાજનાથ સિંહની આગેવાની હેઠળનું જૂથ નજર રાખી રહ્યું છે, જો કે તેઓ દક્ષિણ કોરિયાના પ્રવાસે હોવાથી અને સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડા જીનીવા હોવાથી બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. આ ઉપરાંત વિદેશ મંત્રી એસ. જયશંકરે વડાપ્રધાન મોદીના તાજેતરના ૫ દેશોના સફળ વિદેશ પ્રવાસ અંગે તમામ મંત્રીઓને માહિતગાર કર્યા હતા.
👉 આ સમાચાર વાચો:
Today’s Horoscope : આજનો દિવસ:૨૨ મે ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ