ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
14 જાન્યુઆરી 2021
મકરસંક્રાંતિ નો તહેવાર આખા દેશમાં વિવિધ નામે ઉજવવામાં આવે છે. પરંતુ ગુજરાતમાં અને ખાસ કરીને સુરતીઓમાં એનો અનેરો ઉત્સાહ જોવા મળે છે. આની પાછળ એક સુરતી ગુજરાતીનો રસપ્રદ કિસ્સો જોડાયેલો છે. જેને કારણે આજે આપણે ઉત્તરાયણ ની જાહેર રજા નો આનંદ માણી રહયાં છે. આ રજા મૂળ સુરતના અને બોમ્બે હાઈકોર્ટના જજ નાનાભાઈ હરિદાસ દ્વારા અંગ્રેજ સરકાર પાસે મંજૂર કરાવી હતી.
જસ્ટિસ નાનાભાઈ હરિદાસનો જન્મ ઈ.સ. 1832માં થયો હતો. તેમણે સુરતમાં ગુજરાતી, અંગ્રેજી, મરાઠી અને ફારસી ભાષાનું જ્ઞાન મેળવ્યું હતું. તેમણે મિશન સ્કૂલમાં શિક્ષણ મેળવ્યું હતું અને ઈ.સ. 1850માં મુંબઈની એલ્ફીન્સ્ટન કોલેજમાં જોડાયા. જે બાદ 1852માં સુપ્રીમ કોર્ટમાં મદદનીશ ટ્રાન્સલેટરની ઈન્ટરપ્રીટરની નોકરી મળી. 1857માં સરકારે તેમની પાસેથી આઈપીસી, સીઑપીસી અને સીપીસીનું ગુજરાતીમાં ભાષાંતર પણ કરાવ્યું હતું.
ઈ.સ. 1884માં તેમણે મુંબઈ હાઈકોર્ટમાં જજ તરીકેની કાયમી ધોરણે નોકરી મળી હતી. તેમને પતંગ ચગાવવાનો ભારે શોખ હતો. તે સમયે નાનાભાઈ ગ્રાન્ટ રોડ સ્ટેશનથી ઉત્તરાયણના આગલા દિવસે ગુજરાત મેલમાં સુરતમાં આવતા હતા. ઉત્તરાયણનો આખો દિવસ સુરતમાં પતંગ ઉડાડી, ઉંધીયું અને તલ-ચીકી ખાઈને વિતાવતા હતા. તેઓ ફરી તે જ દિવસે રાત્રે ગુજરાત મેલમાં ગ્રાન્ટ રોડ મુંબઇ પહોંચી જતાં હતા. તે સમયે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન ન હતું, જેના કારણે ગ્રાન્ટ રોડ ઉતરવું પડતું હતું.
જસ્ટીસ નાનાભાઈને લાગ્યું કે, સુરતીઓ સહિત ગુજરાતીઓ મોટી સંખ્યામાં ઉત્તરાયણની મજા માણતા હોય છે તો કે ન તેમને જાહેર રજા મળે, બસ આજ વાતને મનમાં રાખીને તેમને અંગ્રેજ સરકારને રજુઆત કરી હતી. જસ્ટીસ નાનાભાઈ હરિદાસની રજૂઆત આગળ અંગ્રેજ સરકાર પણ ઝૂકી હતી. આમ એક સુરતીને કારણે સુરત સાથે ગુજરાતના લોકોને ઉત્તરાયણની રજાનો લાભ મળ્યો હતો.