ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 જુલાઈ, 2021
મંગળવાર
સંઘરેલો સાપ કામ આવે, એવું જ કંઈ સંઘરેલું બાપ-દાદાના જમાનાનું સોનું હવે લોકોને કામ આવી રહ્યું છે. છેલ્લા દોઢેક મહિનામાં બજારમાં જૂના દાગીના સહિતનું સોનું વેચવાનું પ્રમાણ વધી ગયું છે. કોરોનાને પગલે નોકરીધંધો ગુમાવી બેસેલા તથા વેપારમાં છેલ્લા દોઢ વર્ષથી નુકસાની કરી રહેલા લોકોને હવે આવકના નામ પર કંઈ રહ્યું નથી, ત્યારે લોકોએ છેલ્લા ઉપાય તરીકે ઘરમાં રહેલું સોનું વેચવાનું ચાલુ કર્યું છે.
આર્થિક રીતે ઘસાઈ ગયેલો વર્ગ હવે ઘરમાં બાપ-દાદા સમયથી સંઘરી રાખેલું સોનું વેચવા નીકળ્યા છે. ભારતીય સમાજમાં કાયમથી સોનું જરૂરિયાતના સમય માટે સંઘરી રાખવામાં આવવાની પ્રથા રહી છે, ત્યારે સામાન્ય માણસ હવે પોતાની સંઘરી રાખેલી મૂડીને વેચવા નીકળ્યો છે. એ બાબત ચિંતાજનક છે એવું મહારાષ્ટ્ર જ્વેલર્સ ઍસોસિયેશનના ફતેહચંદ રાંકાએ કહ્યું હતું.
છેલ્લા પંદર દિવસમાં બજારમાં લોકો પોતાના નાના-મોટા દાગીના વેચતા જણાઈ રહ્યા છે. એ બાબતે ફતેહચંદ રાંકાએ જણાવ્યું હતું કે આવક નથી એની સામે સ્કૂલની ફી, ઘર ચલાવવાનો ખર્ચ, લોનના હપ્તા જેવા ખર્ચા સામાન્ય માણસોને માથે છે, તો નાનામોટા વેપારીઓને પણ હવે દુકાન ચલાવવું મુશ્કેલ થઈ ગયું છે. કર્મચારીઓના પગાર, લોનના હપ્તા, લાઇટબિલ, કરવેરા બધું કેવી રીતે સંભાળે. ધંધો જ નથી, તો કઈ રીતે દુકાન અને ઘર ચલાવશે. એથી લોકો છેવટના ઉપાય તરીકે સોનું વેચવા નીકળી પડ્યા છે. હાલ બજારમાં સોનાનો ભાવ પણ ભારે છે અને લોકોએ સોનું વેચીને આવક ઊભી કરી રહ્યા છે.
ઇન્ડિયા બુલિયન જ્વેલર્સ ઍસોસિયેશન મુંબઈના પ્રેસિડન્ટ કુમાર જૈને ન્યુઝ કન્ટીન્યુઝને જણાવ્યું હતું કોરોનાએ લોકોને બધી રીતે ખતમ કરી નાખ્યા છે. છેલ્લા દોઢ વર્ષમાં અનેક લોકોએ પોતાની નોકરી ગુમાવી દીધી છે. નાની-મોટી દુકાન ચલાવનારાઓને પણ લૉકડાઉનના પ્રતિબંધોને કારણે લિમિટેડ સમય જ ધંધો કરવો પડી રહ્યો છે. આવક નથી એની સામે ભારે ખર્ચા છે. દોઢ વર્ષમાં લોકોની બચત પૂરી થઈ ગઈ છે. પ્રૉપર્ટી વેચી શકાય એમ નથી. શૅરબજારમાં તુરંત પૈસા મળે એમ નથી, ત્યારે લોકો પાસે હવે એક જ મૂડી રહી છે. વર્ષોથી જરૂરિરયાતના સમયમાં કામ આવે એ માટે સંઘરી રાખેલું સોનું. કોરોના પહેલાં સોનાનો ભાવ 30,000 રૂપિયાની આસપાસ હતો. આજે 50,000 રૂપિયાની આસપાસ સોનાનો ભાવ પહોંચી ગયો છે. લોકો પાસે હવે કંઈ ઓપ્શન જ બાકી રહ્યો નથી. સોનાના વધેલા ભાવને પગલે લોકો હવે ઘરમાં રહેલું જૂનું સોનુ વેચવા નીકળી રહ્યા છે.