ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 નવેમ્બર, 2021
સોમવાર
આઇઆઇટી મુંબઈ દ્વારા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) પર એક અહેવાલ બનાવવામાં આવ્યો છે. SBIએ હજુ સુધી જનધન ખાતા ધારકો પાસેથી ડિજિટલ પેમેન્ટ માટે બે વર્ષમાં ખોટી રીતે એકત્રિત કરાયેલા રૂ. 164 કરોડ રિફંડ કર્યા નથી. આઈઆઈટી મુંબઈના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. IITના રિપોર્ટ અનુસાર એપ્રિલ 2017થી ડિસેમ્બર 2019 દરમિયાન ડિજિટલ પેમેન્ટના બદલામાં જનધન ખાતાધારકો પાસેથી 164 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા હતા, પરંતુ આ ગેરવાજબી ફી હજુ સુધી ખાતાધારકોના ખાતામાં પરત કરવામાં આવી નથી.
સરકાર તરફથી સૂચના મળ્યા બાદ પણ હજુ સુધી ખાતાધારકોને માત્ર 90 કરોડ રૂપિયા જ પરત કરવામાં આવ્યા છે. 164 કરોડની રકમ હજુ પરત કરવાની બાકી છે. SBIએ એપ્રિલ 2017થી સપ્ટેમ્બર 2020 દરમિયાન જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા સામાન્ય બચત ખાતાઓમાંથી UPI અને RuPay દ્વારા થયેલા વ્યવહારોના બદલામાં રૂ. 254 કરોડથી વધુ એકત્ર કર્યા હતા. જેમાં બેંકે દરેક ટ્રાન્ઝેક્શન પર ખાતાધારકો પાસેથી 17.70 રૂપિયા વસૂલ્યા હતા. સ્ટેટ બેંકને આ અંગે હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી.
SBI અન્ય કોઈપણ બેંકથી વિપરીત જન ધન ખાતાધારકો પાસેથી ડિજિટલ વ્યવહારો પર ફી વસૂલવાનું શરૂ કર્યું. એક મહિનામાં ચારથી વધુ ઉપાડ માટે બેંક 17.70 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન ફી વસૂલતી હતી. SBIની આ મનસ્વીતાની ફરિયાદ ઓગસ્ટ 2020માં નાણા મંત્રાલયને કરવામાં આવી હતી.
સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ 30 ઓગસ્ટ 2020ના રોજ બેંકોને 1 જાન્યુઆરી 2020થી ખાતાધારકો પાસેથી વસૂલવામાં આવેલી ફી રિફંડ કરવા માટે સૂચનાઓ જારી કરી હતી. આવી કોઈ ફી વસૂલવામાં નહીં આવે તેવી સૂચના પણ આપવામાં આવી હતી. આ સૂચનાને અનુસરીને SBI એ 17 ફેબ્રુઆરી 2021ના રોજ જન ધન ખાતા ધારકો પાસેથી ડિજિટલ વ્યવહારો માટે વસૂલવામાં આવેલી ફી રિફંડ કરવાની પ્રક્રિયા શરૂ કરી. IIT મુંબઈનો રિપોર્ટ તૈયાર કરનાર આંકડાશાસ્ત્રના પ્રોફેસર આશિષ દાસે મીડિયાને કહ્યું હતું કે હજુ પણ આ ગરીબ ખાતાધારકોના 164 કરોડ રૂપિયા બેંક દ્વારા પરત કરવાના બાકી છે.