Jagannath Rath Yatra 2025 : અમદાવાદની ૧૪૮મી જગન્નાથ રથયાત્રા માટે પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ અને પ્રતિબદ્ધ, કુલ ૨૩,૮૮૪ સુરક્ષા કર્મીઓ રથયાત્રામાં ફરજ પર રહેશે

Jagannath Rath Yatra 2025 : અમદાવાદ પોલીસ કમિશનર શ્રી જી.એસ. મલિક અને મ્યુનસીપલ કમિશ્નર શ્રી બંછાનિધી પાની તથા વરિષ્ઠ સચિવો તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ ઉચ્ચસ્તરીય બેઠકમાં જોડાયા હતા.

by kalpana Verat
Jagannath Rath Yatra 2025 police system is fully equipped and committed for the 148th Jagannath Rath Yatra of Ahmedabad

News Continuous Bureau | Mumbai 

Jagannath Rath Yatra 2025 :

  •  આઇ.જી. કક્ષાના અધિકારીઓથી લઈને પોલીસ કર્મીઓ મળી કુલ ૨૩,૮૮૪ સુરક્ષા કર્મીઓ રથયાત્રામાં ફરજ પર રહેશે
  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત રથયાત્રા સફળતાથી પાર પડે તે માટેના કાર્ય આયોજનની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ઝીણવટ પૂર્વક સમીક્ષા કરી
    -: ગૃહ રાજ્યમંત્રીશ્રી-મુખ્ય સચિવશ્રી-પોલીસ મહાનિદેશકશ્રી બેઠકમાં ઉપસ્થિત :- 
  • ૨૦૬ જેટલી જર્જરિત-ભયજનક ઇમારતો-મકાનો પર પોલીસ દ્વારા ચેતવણી સુચક બોર્ડ મુકીને લોકો ત્યાં ન જાય તે સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રીશ્રીની તાકીદ
     

* રથયાત્રામાં સૌ પ્રથમવાર A.I.નો ઉપયોગ ક્રાઉડ એલર્ટ અને ફાયર એલર્ટ માટે કરાશે.
* ટ્રક અને અખાડાના વાહનોનું રિયલ ટાઈમ લોકેશન જાણવા GPS સિસ્ટમનો ઉપયોગ.
* ૧૬ કિ.મી. પરની સમગ્ર રથયાત્રા દરમિયાન મુવિંગ બંદોબસ્ત દ્વારા યાત્રારથ-ટ્રકો-અખાડા-ભજન મંડળીઓની સુરક્ષા માટે ૪૫૦૦ જેટલા વધુ પોલીસ કર્મીઓ તૈનાત રહેશે.
* ટ્રાફિક નિયમન માટે ૧૦૦૦ કર્મીઓ ૨૩ જેટલી ક્રેઇનની વ્યવસ્થા.
* ૨૨૭ કેમેરા-૪૧ ડ્રોન-૨૮૭૨ બોડીવોર્ન કેમેરા અને ૨૪૦ ધાબા પોઈન્ટ – ૨૫ વોચ ટાવર દ્વારા લાઈવ મોનિટરિંગ થશે.
* યાત્રા દરમિયાન ભક્તો-શહેરીજનોની મદદ માટે ૧૭ જન સહાયતા કેન્દ્રો અને ૪૪ પબ્લિક એડ્રેસ સિસ્ટમ કાર્યરત રહેશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પ્રતિ વર્ષે અષાઢી બીજે યોજાતી પરંપરાગત રથયાત્રાની ૧૪૮મી કડી શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવાની પોલીસ તંત્રની સજ્જતાની ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં ઝીણવટ પૂર્વક સમીક્ષા કરી હતી.

ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, મુખ્યમંત્રીશ્રીના અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ, પોલીસ મહાનિદેશક શ્રી વિકાસ સહાય સહિત અમદાવાદ પોલીસ કમિશનર શ્રી જી.એસ. મલિક અને મ્યુનસીપલ કમિશ્નર શ્રી બંછાનિધી પાની તથા વરિષ્ઠ સચિવો તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ ઉચ્ચસ્તરીય બેઠકમાં જોડાયા હતા.

મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ સહિત રાજ્યમાં ૨૧૩ કરતાં વધુ સ્થળોએ યોજાતી રથયાત્રા જન ઉમંગ અને ઉલ્લાસનું ધર્મપર્વ છે તે સંદર્ભમાં કહ્યું કે, રથયાત્રાનો આ તહેવાર શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.

અમદાવાદ મહાનગરમાં ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં યોજાતી આ રથયાત્રાના ૧૬ કિલોમીટર લાંબા રૂટ પરની કાયદો વ્યવસ્થા તેમજ યાત્રા દરમિયાનની સુરક્ષા-સલામતી, વ્યવસ્થાઓ અંગે અમદાવાદ શહેર પોલીસ દ્વારા જે તૈયારીઓ કરવામાં આવી છે તેની તલસ્પર્શી વિગતો મુખ્યમંત્રીશ્રી અને ગૃહ રાજ્યમંત્રીશ્રી સમક્ષ આ બેઠકમાં વિસ્તૃત પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : Gujarat Govt : આદિજાતિ વિદ્યાર્થીઓના હિતમાં સરકારનો મહત્વનો નિર્ણય, શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬થી ખાનગી ક્ષેત્રની સંસ્થાઓમાં મેડિકલ, ઇજનેરી તેમજ અન્ય અભ્યાસક્રમોમાં નિયત ટ્યુશન ફી ઉપરાંતની રકમ રાજ્ય સરકાર ચૂકવશે

આ વર્ષે રથયાત્રામાં પહેલી વાર આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સ A.I.નો શહેર પોલીસ તંત્ર દ્વારા ક્રાઉડ એલર્ટ અને ફાયર એલર્ટ માટે ઉપયોગ કરવામાં આવશે તેમ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું. A.I.ના આ ઉપયોગના પરિણામે રથયાત્રા રૂટ પર કોઈ સ્થળે વધુ પડતા લોકો એકઠા થઈ ગયા હોય તો તેનું સરળતાએ વ્યવસ્થાપન થઈ શકશે તો ભીડને કાબુમાં રાખી શકાશે અને અનિચ્છનિય ઘટના બનતી નિવારી શકાશે.

એટલું જ નહિ, ક્યાંય કોઈ આગની ઘટના બનશે તો ત્યાં પણ ફાયર બ્રિગેડ અને પોલીસ તત્કાલ બચાવ-રાહત માતે પહોંચી શકે તે માટે ફાયર એલર્ટ ઉપયોગી બનશે. રથયાત્રાનું આ પર્વ શાંતિ ભર્યા માહોલમાં સંપન્ન થાય તે માટે શહેર પોલીસ તંત્રની સજ્જતા દર્શાવતાં આ પ્રેઝન્‍ટેશનમાં પોલીસ કમિશનરશ્રીએ જણાવ્યું કે, રથયાત્રાને સફળ બનાવવા માટે આઈ.જી. કક્ષાથી લઈને પોલીસ કર્મીઓ સુધી કુલ મળીને SRP, ચેતક કમાન્ડો અને રેપીડ એક્શન ફોર્સની બટાલીયન્સ સહિત ૨૩,૮૮૪થી વધુ સુરક્ષા કર્મીઓ ખડે પગે ફરજરત રહેવાના છે.

મુખ્યમંત્રીશ્રી સમક્ષના આ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું કે, રથયાત્રામાં જોડાનારા રથો, ટ્રક, અખાડા અને ભજન મંડળીઓ, મહંતશ્રીઓની સુરક્ષા માટે રથયાત્રા સાથે મુવિંગ બંદોબસ્તમાં ૪૫૦૦ જેટલા પોલીસ કર્મીઓ જોડાવાના છે. સમગ્ર યાત્રામાં ટ્રાફિક અડચણ નિવારવા અને સુચારૂ ટ્રાફિક સંચાલન માટે ટ્રાફિક બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરના નેતૃત્વમાં ૧૦૦૦ જેટલા જવાનો તૈનાત રહેશે. એટલું જ નહિં, ૨૩ જેટલી ક્રેઇનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

પોલીસ કમિશનરશ્રીએ રથયાત્રામાં પૂરતા મોનિટરિંગ પ્રબંધન માટે ૨૨૭ કેમેરા, ૪૧ ડ્રોન, ૨૮૭૨ બોડીવોર્ન કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ કરાશે આ ઉપરાંત ૨૪૦ ધાબા પોઈન્ટ અને ૨૫ વોચ ટાવર પણ ઉભા કરવામાં આવ્યા છે. ૧૬ કિલોમીટરના સમગ્ર રથયાત્રા રૂટ પર આ બધી વ્યવસ્થાઓના કારણે પોલીસ કંટ્રોલરૂમ દ્વારા બાજ નજર રાખી શકાશે. રથયાત્રાના રૂટ પર આવેલી ૪૮૪ જેટલી જુની અને જર્જરીત ઈમારતો-મકાનોનો સહારો લોકો રથયાત્રા જોવા માટે ન લે તે હેતુસર શહેર પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા ચેતવણી સુચક બોર્ડ તેમજ પતરાની આડશો મુકીને લોકોને ત્યાં જતા અટકાવવા માટેના જે પગલા લેવામાં આવ્યા છે તેની પણ વિગતો આ બેઠકમાં આપવામાં આવી હતી.

આ રથયાત્રા દરમિયાન શહેરીજનોને મદદરૂપ થવાના આશયથી યાત્રા રૂટ પર ૧૭ જેટલા જન સહાયતા કેન્દ્રો અને ૪૪ પબ્લિક એડ્રેસ સિસ્ટમ પણ ઊભી કરવામાં આવશે તેમ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું. આ પરંપરાગત રથયાત્રા કોમી એકતા અને સંવાદિતા તથા સૌહાર્દનો ઉત્સવ બને તે માટે રથયાત્રા પૂર્વે શહેર પોલીસ તંત્ર દ્વારા શાંતિ સમિતિની ૧૭૭, મહોલ્લા સમિતિની ૨૩૫ તેમજ મહિલા સમિતિની ૫૭ બેઠકો, વિવિધ ધર્મગુરુઓ સાથે ૨૧ બેઠકો અને ભગવાનના રથ ખેંચનારા ખલાસી ભાઈઓ, અખાડા સંચાલકો સાથે ૧૦ જેટલી બેઠકો યોજવામાં આવી હતી.

આ ઉપરાંત એકતા કપ ક્રિકેટ મેચ, વોલીબોલ ટુર્નામેન્ટ, મહેંદી સ્પર્ધા, બ્લડ ડોનેશન કેમ્પ જેવા સામાજિક એકતાની ચેતના જગાવતા આયોજનો પણ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા હોવાનું મુખ્યમંત્રીશ્રી સમક્ષ આ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ઉપરાંત રાજ્યભરમાં જે જે સ્થળોએ રથયાત્રા યોજવામાં આવે છે ત્યાં બધે જ શાંતિ, સલામતી સુલેહના વાતાવરણમાં યોજાય તે માટે રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાય પાસેથી પણ જરૂરી વિગતો મેળવી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાનું આ ઉમંગ પર્વ જન ભાગીદારી, પોલીસ તંત્રની સતર્કતા અને સુરક્ષા પ્રતિબદ્ધતા સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. આ સમીક્ષા બેઠકમાં અધિક પોલીસ મહાનિદેશકશ્રીઓ, અધિક પોલીસ કમિશનરશ્રી તેમજ ક્રાઇમ બ્રાન્‍ચના સંયુક્ત પોલીસ કમિશનરશ્રી અને વરિષ્ઠ સચિવો તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed. 

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More