News Continuous Bureau | Mumbai
Ajit Pawar Biography: અજિત પવારનો જન્મ ૨૨ જુલાઈ ૧૯૫૯ના રોજ અહમદનગરના દેવલાલી પ્રવરા ખાતે થયો હતો. રાષ્ટ્રવાદી કોંગ્રેસના સ્થાપક શરદ પવારના ભત્રીજા હોવાને નાતે તેમને રાજકીય વારસો ગળથુથીમાં જ મળ્યો હતો. તેમણે માત્ર ૨૩ વર્ષની નાની ઉંમરે સહકારી ખાંડ ફેક્ટરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં જોડાઈને જાહેર જીવનમાં પોતાની સફર શરૂ કરી હતી. ત્યારબાદ, ૧૯૯૧માં તેઓ પુણે સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના અધ્યક્ષ બન્યા અને સતત ૧૬ વર્ષ સુધી આ પદ પર કાર્યરત રહ્યા હતા. મહારાષ્ટ્રના ગ્રામીણ અર્થતંત્ર અને સહકારી માળખા પર તેમની મજબૂત પકડના પાયા આ સમયગાળા દરમિયાન જ નંખાયા હતા, જેણે તેમને ભવિષ્યમાં રાજ્યના પ્રભાવશાળી નેતા તરીકે પ્રસ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
બારામતીનો ‘ગઢ’ અને રાજકીય ઉદય
ધારાસભ્ય: અજિત પવાર ૧૯૯૧થી બારામતી વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. તેમણે આ બેઠક પરથી સતત ૭ વખત જીત મેળવી હતી.
વહીવટી પકડ: ૧૯૯૧માં તેઓ પહેલીવાર કૃષિ અને ઊર્જા રાજ્યમંત્રી બન્યા. ત્યારબાદ વિવિધ સરકારોમાં સિંચાઈ, નાણાં અને જળસંસાધન જેવા મહત્વના વિભાગો સંભાળ્યા. વહીવટી તંત્ર પર તેમની ‘કડક’ પકડ અને ‘સ્પષ્ટવક્તા’ હોવાની છબીને કારણે તેઓ આખા રાજ્યમાં જાણીતા હતા.
આ સમાચાર પણ વાંચો: Ajit Pawar Plane Crash Video: અજિત પવારના પ્લેન અકસ્માતનો ગ્રાઉન્ડ રિપોર્ટ, કાટમાળ અને ધુમાડા વચ્ચે રેસ્ક્યુ ઓપરેશનનો વીડિયો વાયરલ.
વિક્રમી વખત નાયબ મુખ્યમંત્રી
મહારાષ્ટ્રના રાજકારણમાં અજિત પવાર એક એવું નામ છે જેમના નામે સૌથી વધુ વખત નાયબ મુખ્યમંત્રી બનવાનો અજોડ રેકોર્ડ નોંધાયેલો છે. ‘અજિત દાદા’ તરીકે લોકપ્રિય એવા આ નેતાએ વર્ષ ૨૦૧૦, ૨૦૧૨, ૨૦૧૯ (દેવેન્દ્ર ફડણવીસ સાથે), ફરી ૨૦૧૯ (મહાવિકાસ આઘાડી) અને ૨૦૨૩માં એકનાથ શિંદે સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો. તેમની સંસદીય કારકિર્દીની શરૂઆત ૧૯૯૧માં બારામતીથી સાંસદ તરીકે થઈ હતી, પરંતુ બાદમાં રાજીનામું આપી તેઓ રાજ્યના રાજકારણમાં સક્રિય થયા હતા. સત્તાના કેન્દ્રમાં રહીને તેમણે નાણાં, આયોજન, સિંચાઈ અને ઊર્જા જેવા મહત્વના વિભાગોનું નેતૃત્વ કર્યું હતું. રાજ્યના રાજકારણની અનેક ઉથલપાથલના સાક્ષી રહેલા અજિત પવાર ૨૮ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ બારામતીમાં થયેલા વિમાન અકસ્માતમાં નિધન સુધી આ પદ પર કાર્યરત રહ્યા હતા.
નવી મહારાષ્ટ્રના ‘શિલ્પી’
અજિત પવાર તેમના સમયપાલન (Punctuality) માટે જાણીતા હતા. સવારે ૬ વાગ્યાથી જ તેઓ લોકોની સમસ્યાઓ સાંભળવાનું શરૂ કરી દેતા. ભલે તેઓ અનેક વિવાદોમાં રહ્યા હોય, પરંતુ મહારાષ્ટ્રના વિકાસમાં, ખાસ કરીને પુણે અને બારામતીના આધુનિકીકરણમાં તેમનું યોગદાન અવિસ્મરણીય રહેશે.
