News Continuous Bureau | Mumbai
Ganeshotsav 2025 આખું મુંબઈ ગણેશજીના આગમનથી ભક્તિમય બની ગયું છે. બુધવારે ગણેશ ચતુર્થીના દિવસે બાપ્પાના આગમન બાદ દરેક ઘર અને વિસ્તારમાં એક ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું છે. ઘરે ગણપતિની મૂર્તિની સ્થાપના કર્યા બાદ કેટલાક ભક્તોએ ગુરુવારે દોઢ દિવસના ગણપતિ બાપ્પાને વિદાય આપી હતી. ઢોલ-નગારા ના નાદ અને ‘ગણપતિ બાપ્પા મોરિયા, પુઢચ્યા વર્ષી લવકર યા’ના જયઘોષ સાથે પ્રિય બાપ્પાને વિદાય આપતી વખતે ભક્તોની આંખો ભરાઈ ભીની થઇ ગઈ હતી.
વિસર્જન માટે ખાસ વ્યવસ્થા
મુંબઈ મહાનગરપાલિકા અને પોલીસે ગણેશ વિસર્જન માટે વિશેષ તૈયારીઓ કરી હતી. મુંબઈમાં ૬૯ કુદરતી વિસર્જન સ્થળો ઉપરાંત, આ વર્ષે મહાનગરપાલિકા દ્વારા ૨૮૮ કૃત્રિમ તળાવો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે જેથી પર્યાવરણને થતા નુકસાનને ટાળી શકાય. મુખ્ય વિસર્જન સ્થળો જેવા કે ગિરગાંવ, દાદર, છત્રપતિ શિવાજી મહારાજ ચોપાટી, જુહુ ચોપાટી અને અન્ય સ્થળોએ સુરક્ષા કર્મચારીઓ, લાઇફગાર્ડ અને તબીબી ટીમો તૈનાત કરવામાં આવી હતી. દોઢ દિવસ ની ગણેશ મૂર્તિઓનું વિસર્જન મોટાભાગે કૃત્રિમ તળાવોમાં કરવામાં આવ્યું હોવાથી આ સ્થળોએ ભારે ભીડ જોવા મળી નહોતી.
કૃત્રિમ તળાવોમાં ભાવિકોની ભીડ
કોર્ટે ૬ ફૂટથી ઓછી પીઓપી ગણેશ મૂર્તિઓનું વિસર્જન કૃત્રિમ તળાવોમાં કરવાનો નિર્દેશ આપ્યા બાદ મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે ૨૮૮ કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે. આ તમામ તળાવોના સ્થળોએ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આકર્ષક મંડપ ઉભા કરવામાં આવ્યા હતા, જેના કારણે વિસર્જન માટે આવતા ભાવિકોને ખુશનુમા વાતાવરણનો અનુભવ થયો હતો. આથી, સમુદ્ર કરતાં કૃત્રિમ તળાવો પર મૂર્તિ વિસર્જન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.
આ સમાચાર પણ વાંચો : Bhupendra Patel: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતના સાણંદ ખાતે ભારતની સૌપ્રથમ એન્ડ ટુ એન્ડ OSAT ફેસિલિટીનો પ્રારંભ
ભાવિકોના હૃદયમાં બાપ્પાની યાદ
ગણેશ ચતુર્થીના દિવસે ઉત્સાહભેર ગણેશજીના આગમન બાદ બીજા જ દિવસે દોઢ દિવસના ગણપતિનું વિસર્જન થયું. સવારથી જ ઘરોમાં ગણપતિની ઉત્તર પૂજા અને આરતી કરવામાં આવી. ત્યારબાદ ઢોલ-નગારા ના નાદ અને ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના જયઘોષ સાથે શોભાયાત્રાઓ નીકળી. બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ આ શોભાયાત્રાઓમાં જોડાયા હતા. ગણપતિને વિદાય આપતી વખતે ભક્તોની આંખો ભીની હતી, પરંતુ આવતા વર્ષે બાપ્પાના આગમનની ઉત્સુકતા પણ તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. સાંજે છ વાગ્યા સુધીમાં કુલ ૫૪૧૩ ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં ૧૦૮ સાર્વજનિક ગણેશ મૂર્તિઓ, ૫૨૯૮ ઘરેલુ ગણેશ મૂર્તિઓ અને ૮ હરતાલિકાનો સમાવેશ થાય છે.