News Continuous Bureau | Mumbai
Mumbai Local Train મુંબઈના લાખો લોકલ ટ્રેન યાત્રીઓની સુવિધા માટે શરૂ કરવામાં આવેલી મોબાઈલ ટિકિટિંગ ની QR કોડ વ્યવસ્થા હવે બંધ કરી દેવામાં આવી છે. પશ્ચિમ રેલવે બાદ હવે મધ્ય રેલવેએ પણ ગુરુવારથી તેના તમામ લોકલ સ્ટેશનો પર સ્ટેટિક QR કોડ દ્વારા મોબાઈલ ટિકિટ બુકિંગની સુવિધા બંધ કરી દીધી છે. રેલવે પ્રશાસને આ પગલું સતત વધી રહેલી ફરિયાદો બાદ ભર્યું છે.
શા માટે QR કોડની સુવિધા બંધ કરવી પડી?
રેલવેના આંકડા અનુસાર, વર્ષ 2024માં સરેરાશ 6.10 લાખ યાત્રીઓ દરરોજ યુટીએસ એપ નો ઉપયોગ ટિકિટ બુકિંગ માટે કરી રહ્યા હતા. પરંતુ તાજેતરના મહિનાઓમાં આ સુવિધાનો દુરુપયોગ ઝડપથી વધ્યો. ઘણા કિસ્સાઓમાં, યાત્રીઓને ચાલુ ટ્રેનમાં જ QR કોડ સ્કેન કરીને ટિકિટ કાઢતા પકડવામાં આવ્યા હતા. આ રીતે, તેઓ ટિકિટ વિના મુસાફરી કરતા હતા અને નિરીક્ષણ સમયે તરત જ ટિકિટ બતાવી દેતા હતા.
ટીકીટ નિરીક્ષકોની ફરિયાદ અને રેલવેને નુકસાન
ટિકિટ નિરીક્ષકોએ પણ ફરિયાદ દાખલ કરી હતી કે ઇન્ટરનેટ પર આ સ્ટેટિક QR કોડની તસવીરો મોટી સંખ્યામાં ઉપલબ્ધ હતી. યાત્રીઓ ઘરે બેઠા અથવા ટ્રેનમાં મુસાફરી કરતી વખતે પણ આ જ કોડનો ઉપયોગ કરીને ટિકિટ કાઢી રહ્યા હતા. જેના કારણે રેલવેને ભારે મહેસૂલી નુકસાન ભોગવવું પડ્યું. રેલવે અધિકારીઓનું કહેવું છે કે યાત્રીઓના સહયોગ માટે શરૂ કરવામાં આવેલી આ સુવિધાનો જ્યારે દુરુપયોગ થવા લાગ્યો, ત્યારે તેને બંધ કરવું અનિવાર્ય બની ગયું.
આ સમાચાર પણ વાંચો : GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
હવે કેવી રીતે મળશે ટિકિટ?
જોકે, યુટીએસ મોબાઈલ એપ દ્વારા ટિકિટ બુકિંગની સુવિધા ચાલુ રહેશે. યાત્રીઓ એપ પર જ સીધી ટિકિટ બુક કરી શકશે, પરંતુ સ્ટેશન પર લાગેલા QR કોડનો ઉપયોગ કરી શકશે નહીં. રેલવેએ યાત્રીઓને અપીલ કરી છે કે તેઓ અધિકૃત એપ અને કાઉન્ટર દ્વારા જ ટિકિટ ખરીદે અને નિરીક્ષણમાં સહયોગ કરે જેથી કોઈપણ પ્રકારની મુશ્કેલીથી બચી શકાય.