News Continuous Bureau | Mumbai
મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં આવેલા કામગાર નગરમાં એક ૧૮ વર્ષીય યુવકની તેના જ રૂમમાં ગળું દબાવી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. શરૂઆતમાં આ કુદરતી મૃત્યુ હોવાનું જણાતું હતું, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યાનો પર્દાફાશ થતા પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
ચાની ટપરી પર કામ કરતો હતો મૃતક
મૃતક યુવક દાદર (પૂર્વ) વિસ્તારમાં આવેલી એક ચાની ટપરી પર મજૂરી કરતો હતો. ઘટનાની રાત્રે તે કામગાર નગરના મુખ્ય ગેટ પાસે બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. તેના માલિક તેને રૂમ પર લઈ જઈને સુવડાવી આવ્યા હતા. તે સમયે તેના શરીર પર કોઈ ઈજાના નિશાન નહોતા. જોકે, બીજા દિવસે સવારે જ્યારે રૂમમેટ્સે તેને જગાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તે મૃત હાલતમાં મળી આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Mumbai Traffic Police: મુંબઈ પોલીસમાં શોકનું મોજું: ઈસ્ટર્ન ફ્રી-વે પર અકસ્માતનો ભોગ બનેલા ટ્રાફિક કોન્સ્ટેબલનું મોત, કાર ચાલક વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
KEM હોસ્પિટલના તબીબોએ યુવકને મૃત જાહેર કર્યા બાદ તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. રિપોર્ટમાં જાણવા મળ્યું કે યુવકના ગળાના ભાગે દબાણના લાલ નિશાન હતા અને તેના ચહેરા પર પણ હુમલાના ચિહ્નો હતા. મેડિકલ તપાસમાં સ્પષ્ટ થયું કે તેનું ગળું દબાવીને કરપીણ હત્યા કરવામાં આવી છે. આ રિપોર્ટના આધારે ચાની ટપરીના માલિકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
CCTV અને રૂમમેટ્સની પૂછપરછ
દાદર પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ હાલમાં કામગાર નગર અને આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ ખંખેરી રહી છે જેથી રૂમમાં પ્રવેશનાર વ્યક્તિ ની ઓળખ થઈ શકે. આ ઉપરાંત, મૃતકના મિત્રો અને રૂમમેટ્સની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે જેથી હત્યા પાછળનું અંગત અદાવત કે અન્ય કોઈ કારણ જાણી શકાય.