News Continuous Bureau | Mumbai
Jogeshwari મુંબઈમાં રહેતા અને ઉત્તર ભારત કે દિલ્હી તરફ મુસાફરી કરતા પ્રવાસીઓ માટે પશ્ચિમ રેલવે મોટી રાહત લાવ્યું છે. લાંબી દૂરીની ટ્રેન પકડવા માટે હવે દાદર, બાંદ્રા કે મુંબઈ સેન્ટ્રલ જેવા ભીડભાડવાળા સ્ટેશનો સુધી ધક્કા ખાવાની મજબૂરી ટૂંક સમયમાં ખતમ થશે. પશ્ચિમ રેલવે દ્વારા જોગેશ્વરી સ્ટેશનને મુંબઈના સાતમા ટર્મિનસ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે, જ્યાંથી આ વર્ષના અંત સુધીમાં મેઈલ અને એક્સપ્રેસ ટ્રેનોનું સંચાલન શરૂ થઈ જવાની શક્યતા છે.
અમૃત ભારત યોજના હેઠળ આધુનિક ટર્મિનસનું નિર્માણ
જોગેશ્વરી ટર્મિનસનું નિર્માણ કેન્દ્ર સરકારની ‘અમૃત ભારત સ્ટેશન વિકાસ યોજના’ હેઠળ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય મુંબઈના મુખ્ય સ્ટેશનો પર મુસાફરોનું ભારણ ઘટાડવાનો છે. આ નવું ટર્મિનસ રામ મંદિર અને જોગેશ્વરી સ્ટેશનની વચ્ચે રેલવેની ખાલી જમીન પર તૈયાર થઈ રહ્યું છે. રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ, અત્યારે પ્લેટફોર્મ, કવર શેડ અને સ્ટેશન બિલ્ડિંગનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
દરરોજ 12 જોડી ટ્રેનો દોડશે, ₹76 કરોડનો ખર્ચ
શરૂઆતી આયોજન મુજબ, જોગેશ્વરી ટર્મિનસથી દરરોજ 12 જોડી મેઈલ/એક્સપ્રેસ ટ્રેનો દોડાવવામાં આવશે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹76.84 કરોડ છે. આ ટર્મિનસ 24 ડબ્બાવાળી ટ્રેનોને હેન્ડલ કરવામાં સક્ષમ હશે. ટર્મિનસ તૈયાર થયા બાદ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેથી આવતા મુસાફરો માટે આ સ્ટેશન અત્યંત અનુકૂળ રહેશે, કારણ કે તેમને અંધેરી કે બોરીવલી જેવા વ્યસ્ત સ્ટેશનો સુધી લાંબુ થવું પડશે નહીં.
આ સમાચાર પણ વાંચો : Mumbai: મુંબઈને પ્રદૂષણમુક્ત બનાવવા BMCનો મોટો પ્લાન: પવઈ લેક પાસે 5 એકરમાં બનશે બાંબુ નર્સરી, વૃક્ષોના નિકાલની થશે ભરપાઈ
ફેઝ-2 ની કામગીરી પણ શરૂ, ઓપરેશન થશે સરળ
રેલવેએ ટર્મિનસના પ્રથમ ફેઝની સાથે ફેઝ-2 નું કામ પણ શરૂ કરી દીધું છે. આ બીજા તબક્કામાં એક નવું આઈલેન્ડ પ્લેટફોર્મ ,પિટ લાઈન અને શન્ટિંગ નેકનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ સુવિધાઓથી ટ્રેનોની અવરજવર અને મેન્ટેનન્સ વધુ સરળ બનશે. આ ટર્મિનસ કાર્યરત થવાથી મધ્ય મુંબઈ અને ઉપનગરોના લાખો મુસાફરોને ટ્રેન પકડવામાં સમય અને શક્તિ બંનેની બચત થશે.
