News Continuous Bureau | Mumbai
SGCCI: વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) વર્ષ ર૦ર૭ સુધીમાં ભારતને પ ટ્રિલિયન યુએસ ડોલરની ઈકોનોમી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે, જેના માટે ઉદ્યોગકારોને ( industrialists ) ૧ ટ્રિલિયન યુએસ ડોલરનો એક્ષ્પોર્ટનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે, જેથી ગુજરાત રિજીયનમાંથી ઉદ્યોગકારોનું એક્ષ્પોર્ટમાં યોગદાન વધે તે માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા SGCCI ગ્લોબલ કનેકટ મિશન ( Global Connect Mission ) ૮૪ પ્રોજેકટ હાથ ધરાયો છે, ત્યારે આજે SGCCIના ૮૪મા સ્થાપના દિને ભારતના કેન્દ્રીય પશુપાલન ( Central Animal Husbandry ) , મત્સ્ય અને ડેરી વિભાગના મંત્રી ( Fisheries and Dairy Department minister ) શ્રી પરષોત્તમભાઈ રૂપાલાના ( Parshottambhai Rupala ) હસ્તે મિશન ૮૪ અંતર્ગત ઓનલાઈન ઈન્ટરનેશનલ પ્લેટફોર્મનું લોન્ચીંગ ( Launching ) કરવામાં આવ્યું હતું. આ વેળાએ મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી ઉદ્યોગ તથા ટેક્ષ્ટાઈલ, ડાયમંડ જેવા અન્ય ઉદ્યોગો સાથે સંકળાયેલા ઉદ્યોગકારોએ નિકાસ વધારવા તેમજ નવા ઉદ્યોગ સાહસિકોએ એક્ષ્પોર્ટ શરૂ કરવા માટે સંકલ્પ ગ્રહણ કર્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે, ભારત વિશ્વના ૩૦ દેશોમાં ઘઉં નિકાસ કરે છે. દૂધ ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે. ભારતમાં નેનો યુરિયાનું ઉત્પાદન એકમાત્ર ગુજરાતના કલોલમાં થઈ રહ્યું છે, જે આપણા રાજ્ય માટે ગર્વની ઘટના છે.
તેમણે વિશ્વમાં સુરતના ઝીંગાની સૌથી વધુ માંગ હોવાથી સુરત જિલ્લાનો ઝીંગા ઉછેર ઉદ્યોગ વિશ્વ સ્તરે છવાયો છે એમ જણાવી વર્ષ ૨૦૧૪માં ૧૪ હજાર કરોડનું ટર્ન ઓવર ધરાવતો દેશનો ઝીંગા ઉદ્યોગ આજે ૪૦ હજાર કરોડે પહોંચ્યો છે. સુરત હીરા, કાપડ સહિત અનેક ક્ષેત્રોમાં અગ્રેસર છે એમ ઉમેર્યું હતું. સુરતના ઈમ્પોર્ટ એક્સપોર્ટ કરતી દેશની ખ્યાતનામ એજન્સીઓ સાથે ચેમ્બરની નિયમિત મુલાકાતો અને બેઠકો યોજાય એ માટે સુયોગ્ય મિકેનિઝમ ઉભું કરવા સરકાર સહકાર આપશે એવી ખાતરી આપી હતી.
કેન્દ્ર સરકાર ગરીબ, મધ્યમવર્ગીય નાગરિકો માટે સંવેદનશીલ છે, સાથોસાથ ઈન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી હોવાનું જણાવી મંત્રીશ્રીએ સરકારના અનેકવિધ પગલાઓ અને યોજનાની વિસ્તૃત ચર્ચા કરી હતી. ભારતની અર્થ વ્યવસ્થાને વધુ મજબુત બનાવવા ૮૪,૦૦૦ કરોડનું એક્ષ્પોર્ટ દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ સંકલ્પબદ્ધ થનાર ઉદ્યોગકારોને તેમણે અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, ભારતને પ ટ્રિલિયન યુએસ ડોલરની ઈકોનોમી બનાવવાના વડાપ્રધાનશ્રીના લક્ષ્યને સાકાર કરવાના હેતુથી ગુજરાત રિજીયનમાંથી ઉદ્યોગકારોનું એક્ષ્પોર્ટમાં યોગદાન વધે તે માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘SGCCI ગ્લોબલ કનેક્ટ મિશન ૮૪’ અંતર્ગત વિવિધ પ્રયાસો કરાઈ રહ્યા છે.
શ્રી વઘાસિયાએ ભારતની આર્થિક ક્ષમતાઓ, ઔદ્યોગિક મજબૂતી અને ઔદ્યોગિક વિકાસ અંગે રસપ્રદ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના વ્યાપાર-ઉદ્યોગના વિકાસ માટે સતત પ્રયત્નશીલ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ૧૨ હજાર જેટલા સભ્યો બની ચૂક્યા છે. ર૧ ઓકટો.-ર૦ર૩ના રોજ ચેમ્બરનો ૮૪મો સ્થાપના દિન છે. ચેમ્બર ઓફ કોમર્સ ૮૪મા વર્ષમાં મંગળ પ્રવેશ કરશે, આથી ચેમ્બર ઓફ કોમર્સ દેશની અર્થવ્યવસ્થાને વધુ મજબુત કરવાના હેતુથી મિશન ૮૪ પ્રોજેકટ હેઠળ ઉદ્યોગકારો માટે ઓનલાઈન ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ બનાવાયું છે.
કાર્યક્રમમાં ઉદ્યોગ અગ્રણી શ્રી ધીરજ કોટડીયા(સહજાનંદ ટેકનોલોજીસ), પ્રદીપ સિંઘવી, ચેમ્બરના પૂર્વ પ્રમુખો તેમજ મોટી સંખ્યામાં વિવિધ ઈન્ડસ્ટ્રીયલ એસો.ના સભ્યો/પ્રતિનિધિઓ, ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.
ભારતને મજબૂત ગ્લોબલ ઈકોનોમી બનાવવા ચેમ્બરનો SGCCI ગ્લોબલ કનેક્ટ મિશન ૮૪ પ્રોજેક્ટ
ભારતની અર્થ વ્યવસ્થાને મજબુત કરવાના હેતુથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા આ વર્ષે SGCCI ગ્લોબલ કનેક્ટ મિશન ૮૪ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ઉદ્યોગકારો માટે ઓનલાઈન ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ બનાવાયુ છે. આ પ્લેટફોર્મમાં રાજ્યમાં ૮૪,૦૦૦ ઉદ્યોગકારો અને વિશ્વના જુદા-જુદા દેશોમાં બિઝનેસ કરતા ૮૪,૦૦૦ ભારતીય ઉદ્યોગકારોને ઓનબોર્ડ કરીને કેન્દ્ર તથા રાજ્ય સરકારની એક્ષ્પોર્ટ સંબંધિત પ્રોત્સાહક યોજનાઓની જાણકારી તેમજ એક્ષ્પોર્ટ વધારવાની દિશામાં સચોટ માર્ગદર્શન અપાશે. ભારતની ૮૪થી વધુ ચેમ્બર ઓફ કોમર્સ અને વિવિધ દેશોની ૮૪થી વધુ ચેમ્બર ઓફ કોમર્સને તેમજ ભારતમાં કાર્યરત ૮૪ દેશોના કોન્સ્યુલ જનરલ તથા વિદેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા ૮૪ જેટલા એમ્બેસેડરોને પ્લેટફોર્મ પર ઓનબોર્ડ કરાશે.