News Continuous Bureau | Mumbai
- નહેરના આધુનિકીકરણથી પાણીનું લિકેજ, સિપેજ અટકશે
- છેવાડાના વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં ખેડૂતોને સમયસર સિંચાઇનું પાણી મળશે
Ukai Dam: વન, પર્યાવરણ, પાણી પુરવઠા, જળસંપત્તિ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઓલપાડ તાલુકાના કીમ ખાતે રૂ.૪૨ કરોડના ખર્ચે સુરત અને ભરૂચ જિલ્લાના ઉકાઈ કાકરાપાર સિંચાઈ યોજના હેઠળ નહેર આધુનિકીકરણના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે સાંસદશ્રીઓ પ્રભુભાઈ વસાવા અને મુકેશભાઈ દલાલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રીએ ઈ માધ્યમથી કામોનું સામૂહિક ખાતમુહૂર્ત કર્યું હતું.
કીમ સહકારી જીન મંડળીના પ્રાંગણમાં આયોજિત સમારોહમાં મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતના ખેડૂતો સહકારી ક્ષેત્ર સાથે મજબૂત રીતે જોડાયેલા છે. સહકારી ક્ષેત્ર ભારતના અર્થતંત્રનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે, જે દેશની જીડીપીમાં મોટું યોગદાન આપે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા સહકારી ક્ષેત્રનું વિશેષ યોગદાન રહેવાનું છે.
તેમણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા સહકારી ક્ષેત્રના સશક્તિકરણ માટે ખાસ પ્રયાસો કરવામાં આવ્યા છે. તેમના નેતૃત્વ હેઠળ અલાયદા સહકાર મંત્રાલયની સ્થાપના થઇ છે, જેનાથી આ ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન થવાનું શરૂ થયું છે. આ પ્રયત્નો થકી સહકારિતા એક નવી ઊંચાઈ પર પહોંચશે અને દેશના સામાજિક તેમજ આર્થિક વિકાસમાં મજબૂત આધારશિલા પૂરી પાડશે. સહકારી ક્ષેત્રના મહત્વ પર પ્રકાશ પાડતા તેમણે આ ક્ષેત્રથી દેશના દરેક નાગરિકને સીધો લાભ મળે છે અને આર્થિક પ્રગતિ તીવ્ર બને છે એમ જણાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Bhupendra Patel: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નો વધુ એક સંવેદનશીલ અભિગમ : દિવ્યાંગ ખેલાડીઓ ની રમત ગમત ક્ષેત્રની વિશેષ સિદ્ધિ નું ગૌરવ કર્યું
Ukai Dam: દક્ષિણ ગુજરાતમાં રૂ.૨૦૦ કરોડના વિવિધ વિકાસકામોની ભેટ નાગરિકોને મળવા જઈ રહી છે એમ જણાવી તેમણે ઉમેર્યું કે, ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને સરકાર હંમેશા તેમના કલ્યાણ માટે પ્રતિબદ્ધ રહી છે. નહેરોના આધુનિકીકરણના કામોથી પાણીનું લિકેજ અને સિપેજ અટકશે. છેવાડાના વિસ્તારના ખેડૂતોને પૂરતું અને સમયસર સિંચાઈનું પાણી ઉપલબ્ધ થશે. ઈ.સ.૧૯૭૨માં બનાવવામાં આવેલા ઉકાઈ ડેમની ક્ષમતા વધારવા માટે આયોજન કરાઈ રહ્યું છે, જેના પરિણામે કાંઠાના વિસ્તારોમાં ઝડપી અને સમયસર પાણીની ઉપલબ્ધિ થશે. આ પગલાં ખેડૂતોને બારેમાસ ખેતી કરવાની સગવડતા પૂરી પાડશે.
આ પ્રસંગે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના પ્રભાવી નેતૃત્વ હેઠળ દેશમાં સિંચાઈ માટે સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર પણ ખેડૂતોને સિંચાઈનું પાણી ઉપલબ્ધ કરાવી તેમના જીવનધોરણ ઊંચું લાવવામાં કારણભૂત બની છે. જેના કારણે ખેડૂતો અને છેવાડાના લોકો માટે સરળતાથી પાણી ઉપલબ્ધ થયું છે. સિંચાઈ યોજનાના ફળસ્વરૂપે ઉકાઈ ડેમનું પાણી વ્યર્થ વહી જતું અટકાવવામાં સફળતા મળી છે.
ધારાસભ્યશ્રી સંદીપભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે,સરકાર દ્વારા અગામી ૫૦ વર્ષ સુધી પાણીની સમસ્યા ન થાય તે માટે વિવિધ સૂચિત યોજનાઓ તૈયાર કરવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતમાં સિંચાઈ ક્ષેત્રે રૂ. ૨,૦૦૦ કરોડના વિવિધકામો પ્રગતિમાં છે, જેનાથી સિંચાઈ, પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ આવશે.
આ સમાચાર પણ વાંચો : Tiger Family Video: દુર્લભ દૃશ્ય … તાડોબા રિઝર્વમાં વાઘણ તેના 5 બચ્ચા સાથે નીકળી ફરવા; આ વિડીયો જોઈને દિલ ખુશ થઈ જશે
Ukai Dam: આ પ્રસંગે જિ.પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, તા.પંચાયત પ્રમુખ નિતાબેન પટેલ, સુરત ડિસ્ટ્રિક્ટ કો.ઑપ. બેંકના પ્રમુખ બળવંત પટેલ, નેશનલ સુગર ફેડરેશનના ઉપપ્રમુખ કેતન પટેલ, સાયણ સુગરના પ્રમુખ રાકેશ પટેલ, કામરેજ સુગરના પ્રમુખ અશ્વિન પટેલ, અગ્રણી ભરત રાઠોડ, વિવિધ ગામોના સરપંચો, ખેડૂતો અને મોટી સંખ્યામાં ગ્રામ-નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.