News Continuous Bureau | Mumbai
Braving Missiles & Mines: જ્યારે રસોઈ ગેસની અછતને કારણે દેશમાં ચિંતાનો માહોલ છે, ત્યારે બે ભારતીય મર્ચન્ટ નેવી કમાન્ડરોએ યુદ્ધગ્રસ્ત હોર્મુઝની સામુદ્રધુનીમાંથી બે વિશાળ LPG ટેન્કરો સુરક્ષિત બહાર કાઢીને ઈતિહાસ રચ્યો છે. સુખમીત સિંહ અને ધીરજ કુમાર અગ્રવાલ માટે આ યાત્રા કોઈ મોટી કસોટીથી ઓછી નહોતી, કારણ કે આ માર્ગ પર ડ્રોન, મિસાઈલ અને જહાજ-વિરોધી બારૂદી સુરંગોનો સતત ખતરો હતો.આ બંને જહાજો ભારત આવવા માટે એક અઠવાડિયા કરતા વધુ સમય સુધી હોર્મુઝના પશ્ચિમમાં ફસાયેલા હતા, પરંતુ સ્થિતિ થાળે પડતા જ નાવિકોએ કુશળતા પૂર્વક જહાજોને ગુજરાતના બંદરો સુધી પહોંચાડ્યા હતા.
સુખમીત અને ધીરજ: સમુદ્રના અસલી હીરો
સુખમીત સિંહ (શિવાલિક જહાજ): પંજાબના આદમપુરના વતની સુખમીત સિંહ ‘શિવાલિક’ ટેન્કર લઈને ગુજરાતના મુન્દ્રા બંદર પર પહોંચ્યા છે. તેમના પરિવારે તેમને ડ્યુટી છોડી ઘરે આવવાની સલાહ આપી હતી, પરંતુ સુખમીતે જવાબ આપ્યો કે, “મહત્વનો માલ ભારત પાછો લાવવો એ મારી જવાબદારી છે, હું કામ પૂરું કરીને જ આવીશ.”
ધીરજ કુમાર (નંદા દેવી જહાજ): ઓડિશાના બાલાંગીરના વતની ધીરજ કુમાર ‘નંદા દેવી’ ટેન્કર લઈને કંડલા બંદરના વદીનાર ખાતે પહોંચ્યા છે. તેમના પરિવારે જહાજ હોર્મુઝ પાર કરી ગયા બાદ રાહતનો શ્વાસ લીધો હતો.
૯૨,૦૦૦ ટન LPG અને ૫૭ નાવિકોની સુરક્ષા
આ બંને જહાજો પર મળીને કુલ ૫૭ નાવિકો (૨૭ શિવાલિક પર અને ૩૦ નંદા દેવી પર) સવાર હતા. શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલે આ સાહસિક નાવિકો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, “તમે વૈશ્વિક વેપારના ‘અનસંગ હીરો’ છો. ઘરથી દૂર હોવા છતાં, તમે સુનિશ્ચિત કર્યું કે દેશમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ સુરક્ષિત રીતે પહોંચે.”
આ સમાચાર પણ વાંચો : March 19, 2026: ૧૯ માર્ચે તહેવારોની હારમાળા! ગુડી પડવા, નવરાત્રી અને નૂતન વર્ષ એકસાથે; જાણો ૧૯ માર્ચનું વિશેષ મહત્વ.
હોર્મુઝમાં ટ્રાફિક જામ અને પડકારો
શિપિંગ સેક્રેટરી વિજય કુમારે જણાવ્યું કે દુનિયાના સૌથી મહત્વના દરિયાઈ માર્ગ પર હુમલાને કારણે ટ્રાફિક ઠપ્પ થઈ ગયો હતો. હજુ પણ સ્થિતિ તણાવપૂર્ણ છે, છતાં ભારતીય નાવિકોએ પોતાની વ્યવસાયિક કુશળતા અને શાંતિ જાળવી રાખી. ભારત પાસે હાલમાં આશરે ૩.૨ લાખ નાવિકો છે, જેમાંથી ૯૦% વિદેશી ધ્વજવાળા જહાજો પર કામ કરે છે, જે તેમની ઉચ્ચ ક્ષમતાનું પ્રમાણ છે.