News Continuous Bureau | Mumbai
Commercial LPG Shortage India મધ્ય-પૂર્વ માં ચાલી રહેલા સંઘર્ષની અસર હવે ભારતના સામાન્ય જનજીવન અને ઉદ્યોગો પર દેખાવા લાગી છે. દેશમાં કોમર્શિયલ LPG સિલિન્ડરની અચાનક અછત સર્જાતા હોસ્પિટાલિટી સેક્ટર અને ઔદ્યોગિક એકમોમાં ચિંતા વધી ગઈ છે. બેંગલુરુમાં હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશને ચેતવણી આપી છે કે જો સપ્લાય નહીં સુધરે તો ખાણી-પીણીની દુકાનો બંધ કરવી પડશે. બેંગલુરુમાં અનેક હોટલો આજથી બંધ થઈ ગઈ છે, જ્યારે પુણેમાં ગેસ આધારિત સ્મશાનગૃહોને પણ કામચલાઉ ધોરણે તાળા વાગી ગયા છે.ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના હુમલા બાદ વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ છે. આ સ્થિતિને પહોંચી વળવા કેન્દ્ર સરકારે ઘરેલું LPG (Domestic LPG) પુરવઠાને પ્રાથમિકતા આપવાનો નિર્ણય કર્યો છે. સરકારી આદેશ મુજબ, હાલમાં ૧૯ કિલો, ૪૭.૫ કિલો અને ૪૨૫ કિલોના કોમર્શિયલ સિલિન્ડરોનું રિફિલિંગ બંધ રાખવામાં આવ્યું છે. આ નિર્ણયને કારણે મુંબઈ, બેંગલુરુ અને પુણે જેવા મોટા શહેરોમાં વ્યવસાયિક કામકાજ પર માઠી અસર પડી છે.
પુણેમાં સ્મશાનગૃહ બંધ અને હોટલ ઉદ્યોગમાં હાહાકાર
પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન (PMC) એ પ્રોપેન અને બ્યુટેન જેવા ગેસ ઘટકોના ઉપયોગ પરના પ્રતિબંધ બાદ શહેરમાં ગેસ આધારિત સ્મશાનગૃહો બંધ કરી દીધા છે. બીજી તરફ, રેસ્ટોરન્ટ માલિકોનું કહેવું છે કે રવિવારથી કોમર્શિયલ ગેસનો સપ્લાય સંપૂર્ણપણે અટકી ગયો છે. ઘરેલું સિલિન્ડરની ડિલિવરીમાં પણ હવે ૨ થી ૮ દિવસનો વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બુકિંગના નિયમો કડક: હવે ૨૫ દિવસ પછી જ નવું રિફિલ
તેલ કંપનીઓએ સ્ટોક જાળવી રાખવા માટે રિફિલના નિયમો કડક કર્યા છે. હવે ગ્રાહકો અગાઉની ડિલિવરીના ૨૫ દિવસ પછી જ નવો ઘરેલું સિલિન્ડર ઓર્ડર કરી શકશે (અગાઉ આ મર્યાદા ૨૧ દિવસની હતી). સંગ્રહખોરી રોકવા માટે ડિલિવરી એજન્ટોએ હવે OTP અથવા બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત બનાવ્યું છે. ઝારખંડ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં સોફ્ટવેર અપડેટ કરીને આ નવી વ્યવસ્થા અમલમાં મૂકી દેવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : Share Market Recovery Today: ક્રૂડ ઓઈલ સસ્તું થતા દલાલ સ્ટ્રીટમાં દિવાળી જેવો માહોલ! સેન્સેક્સમાં ૬૫૫ પોઈન્ટનો મોટો ઉછાળો, જાણો કયા શેર બન્યા ટોપ ગેનર્સ
હિમાચલ અને પંજાબના ઉદ્યોગો પર માઠી અસર
હિમાચલ પ્રદેશના પ્રમુખ ઔદ્યોગિક કેન્દ્ર બદ્દી-બરોટીવાલા-નાલાગઢ (BBN) માં કોમર્શિયલ સિલિન્ડરનો સપ્લાય અનિશ્ચિતકાળ માટે બંધ કરી દેવાયો છે. અહીં ફાર્મા, ફૂડ પ્રોસેસિંગ અને પેકેજિંગ ઉદ્યોગોમાં દરરોજ હજારો સિલિન્ડર વપરાય છે, જે હવે અટકી પડતા ઉત્પાદન ઠપ થવાની આરે છે. પંજાબમાં પણ ૮ માર્ચથી નોન-ડોમેસ્ટિક સિલિન્ડર મોકલવાનું બંધ કરી દેવાયું છે. કાનપુર જેવા શહેરોમાં ગેસની કાળાબજારી શરૂ થઈ છે, જ્યાં સિલિન્ડર રૂ. ૧૪૦૦ થી ૧૫૦૦ માં વેચાઈ રહ્યા હોવાના અહેવાલ છે.