News Continuous Bureau | Mumbai
cotton prices India કોમોડિટીનાં કારોબારમાં ઘણીવાર વેપારીઓની સામે એવા પડકારો આવતા હોય છે જેનો જવાબ સમય જ આપી શકે છે. કપાસનાં જિનીંગના કારોબારમાં સામાન્ય રીતે જ્યારે કપાસનાં ભાવ વધે ત્યારે કપાસિયા ખોળ અને રૂ ની ગાંસડીના ભાવ વધતા હોય છે. પરંતુ હાલમાં પરિસ્થિતી અલગ છે. છેલ્લા બે મહિનાથી કપાસયિા ખોળનાં ભાવ સમયની સાથે વધતા ગયા છે. પરંતુ કપાસના ભાવ છેલ્લા ૧૦ દિવસથી સતત ઘટી રહ્યા છે. એનસીડેક્સનાં વાયદાનાં ભાવ જોઇએ તો બીજી ડિસેમ્બર-૨૫ નાં રોજ કપાસિયા ખોળનાં ભાવ ક્વિન્ટલ દિઠ ૨૮૬૦ રૂપિયા બોલાતા હતા જે ૨૫ મી ડિસેમ્બરે વધીને ૩૦૦૦ રૂપિયાની સપાટીએ હતા જ્યારે ૨૩ મી જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ વધીને ૩૪૦૦ રૂપિયાની સપાટી વટાવી ગયા હતા. સામાપક્ષે કપાસનાં ભાવ બીજી ડિસેમ્બરે ૨૦ કિલોનાં ૧૫૨૦ રૂપિયા હતા જે ૯ મી જાન્યુઆરીએ વધીને ૧૬૫૦ રૂપિયા થયા બાદ હવે ઘટીને ૧૫૮૦ રૂપિયાની સપાટી દેખાડી રહ્યા છે.
કપાસ અને કપાસિયા ખોળનાં ભાવની આ પરસ્પર વિરોધી દિશા માટે સરકારની નીતિને જવાબદાર માનવામાં આવે છે. મૂળ તો સરકાર ખેડૂતોને તેમના કપાસનાં ભાવ ટેકાના ભાવની રેન્જમાં મળતા રહે તેવું ઇચ્છે છે. સરકારે ૧ લી જાન્યુઆરીથી ગાંસડીની આયાત ઉપર આયાત ડ્યુટી નાખી ત્યારથી કપાસના ભાવમાં ઉછાળા જોવા મળતા હતા. પરંતુ ભાવ મણ દિઠ ૧૬૫૦ રૂપિયાથી ઉપર ગયા કે તુરત જ કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ ગાંસડી વેચવાનું શરૂ કર્યુ. અહેવાલ છે કે સી.સી.આઇએ એક દિવસમાં આશરે ૧૧૪૦૦૦ ગાંસડી જુનુ રૂ વેચ્યું છે જેના કારણે ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જેમાંથી ૬૧૦૦૦ ગાંસડી મિલોએ ખરીદી હોવાના અને ૫૦૦૦૦ ગાંસડી વેપારીઓએ ખરીદી હોવાના અહેવાલ છે. આ અગાઉ ભાવ નીચા હતા ત્યારે સી.સી.આઇ ૮૫ લાખ ગાંસડી રૂ ની ખરીદી કરી ચુક્યુ છે. મતલબ કે કપાસ અને ગાંસડીના ભાવની કમાન હાલમાં સીસી આઇ મારફતે સરકાર પોતાના હાથમાં રાખવા માગે છે. વેપારીઓએ તો માત્ર ખેલ જોયા કરવાનો રહે છે.
સામાપક્ષે આ વખતે કપાસનું ઉત્પાદન ઘટવાની અને તેના પગલે ઉનાળામાં કપાસિયા ખોળની ખેંચ ઉભી થવાની ધારણા સાથે સ્ટોકિસ્ટો ખોળ ખરીદી રહ્યા હોવાથી કપાસિયા ખોળનાં ભાવ સતત વધી રહ્યા છે. હાલમાં ગુજરાત, રાજસ્થાન તથા મધ્યપ્રદેશ એમ ત્રણેય રાજ્યોની મોટાપાયે ખરીદી દેખાઇ રહી છે.
આ સમાચાર પણ વાંચો : Major Security Alert:દેશને ધણધણાવવાનું કાવતરું ફેલ! રાજસ્થાનમાં ફાર્મ હાઉસની આડમાં છુપાવાયો હતો વિસ્ફોટકોનો પહાડ; સુરક્ષા દળોએ ટાળી મોટી દુર્ઘટના
હાલમાં જ કોટન એશોસિએશન ઓફ ઇન્ડિયા (સી.એ.આઇ) એ વર્ષ ૦૨૫-૨૬ માટે કપાસના ઉત્પાદનનાં અગાઉના અંદાજમાં ૨.૫૦ ટકાનો એટલે કે ૭.૫૦ લાખ ગાંસડીનો વધારો કર્યો છે. મતલબ કે નવા અંદાજ પ્રમાણે હવે ભારતમાં ૩૧૭ લાખ ગાંસડી રૂ પાકવાની ધારણા છે. મહારાષ્ટ્ર તથા તેલંગણામાં અગાઉની ધારણા કરતા વધારે પાક આવવાનો સંકેત મળતા કુલ ઉત્પાદનના અંદાજમાં ફેરફાર કરાયો છે. એશોસિએસનનાં નિષ્ણાંતો જણાવે છે કે હાલમાં ગાંસડીના ભાવ જિનરોની ધારણા કરતા ગાંસડી દિઠ ૧૦૦૦ થી ૧૫૦૦ રૂપિયા જેટલા વધારે ચાલી રહ્યા છે. હાલમાં સી.સી.આઇએ વેચેલી ગાંસડીનું રૂ કેવું નીકળે છે તેના ઉપર સૌની નજર રહેશે. કારણ કે આયાત ડ્યુટી લગાવ્યા બાદ પણ સારી ગુણવત્તાનૂ આયાતી રૂ હાલમાં મિલોને ૫૯૦૦૦ રૂપિયાના ભાવે મળે છે તેથી જો સીસીઆઇનું રૂ સારૂ ન નીકળે તો મિલો આયાતી માલ તરફ વળી શકે છે. વર્ષ ૨૦૨૫-૨૬ ની સિઝનનાં અંતે ૧૨૨ લાખ ગાંસડી સ્ટોક રહેવાની ધારણા છે. છેલ્લા અહેવાલ મળ્યા ત્યાંસુધી ભારતે ૩૧ લાખ ગાંસડીની આયાત કરી હતી જે ૫૦ લાખ ગાંસડી સુધી પહોંચવાની ધારણા છે.
ગાસંડી અને કપાસનાં ભાવ આ સિઝનમાં અનિયમિત જ રહેશે તેથી કપાસિયા ખોળના ભાવ ઉપર જ વેપાર ગોઠવવાનો રહેશે. એનસીડેક્સનાં વાયદામાં હાલમાં કપાસિયા ખોળનાં સરેરાશ દૈનિક ૧૨૫ કરોડ રૂપિયાના વેપાર થાય છે. જ્યારે ૭૦૦૦૦ ટનનું ઓપન ઇન્ટરેસ્ટ છે.
Join Our WhatsApp Community