News Continuous Bureau | Mumbai
Ebola Virus Alert। ઇબોલા વાયરસના વૈશ્વિક પ્રકોપને જોતા ભારત સરકાર સફાળી જાગી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સેવા મહાનિદેશાલય (DGHS) એ ઇબોલા પ્રભાવિત દેશોમાંથી આવતા અથવા ત્યાંથી પસાર થઈને ભારત પહોંચતા મુસાફરો માટે એક અત્યંત મહત્વપૂર્ણ હેલ્થ એડવાઇઝરી (સ્વાસ્થ્ય માર્ગદર્શિકા) જાહેર કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તૈનાત અધિકારીઓને વિશેષ સાવચેતી રાખવા અને શંકાસ્પદ લક્ષણો ધરાવતા યાત્રીકો સ્ક્રીનીંગ કરવાના કડક નિર્દેશ આપ્યા છે. મુસાફરોને પણ એરપોર્ટ હેલ્થ ડેસ્ક પર પોતાના સ્વાસ્થ્ય અંગેની સાચી માહિતી આપવા અપીલ કરાઈ છે.
કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાન ‘હાઇ-રિસ્ક’ શ્રેણીમાં સામેલ
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા આફ્રિકન દેશો જેવા કે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાનને ‘હાઇ-રિસ્ક’ એટલે કે ઉચ્ચ જોખમ ધરાવતા દેશોની યાદીમાં મૂકવામાં આવ્યા છે. કોંગોમાં ઇબોલાના કારણે અત્યાર સુધીમાં ૧૩૧ લોકોના મોત થયા છે અને ૫૦૦ થી વધુ શંકાસ્પદ કેસો સામે આવ્યા બાદ આંતરરાષ્ટ્રીય કટોકટી જાહેર કરાઈ છે. ભારતમાં દિલ્હી એરપોર્ટ સહિતના તમામ મુખ્ય એરપોર્ટ પર ‘એરપોર્ટ હેલ્થ ઓર્ગેનાઇઝેશન’ (APHO) દ્વારા આ અંગેના માહિતી બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. જો કે, સત્તાવાર સૂત્રોના દાવા મુજબ ભારતમાં હજુ સુધી ઇબોલાનો એક પણ કેસ નોંધાયો નથી.
ઇબોલા વાયરસના કયા લક્ષણો પર નજર રાખવી જરૂરી?
આ ખતરનાક સંક્રામક રોગના લક્ષણો વિશે વાત કરીએ તો, મુસાફરોએ તીવ્ર તાવ, શરીરમાં અસહ્ય નબળાઈ, ભારે થાક, માથાનો દુખાવો અને સ્નાયુઓના દુખાવા (મસલ્સ પેઇન) જેવા શરૂઆતી લક્ષણો પર ખાસ ધ્યાન આપવું પડશે. આ ઉપરાંત સતત ઉલ્ટી થવી, ઝાડા થવા, ગળામાં દુખાવો કે સોજો આવવો અને ગંભીર સ્થિતિમાં શરીરમાંથી રક્તસ્રાવ (બ્લીડિંગ) થવું એ પણ ઇબોલાના મુખ્ય લક્ષણો હોઈ શકે છે. જો કોઈ યાત્રીમાં આવા કોઈ પણ ચિહ્નો દેખાય, તો તેણે એરપોર્ટ પર હાજર તબીબી અધિકારીઓનો તાત્કાલિક સંપર્ક સાધવો જોઈએ.
ભારતમાં આવ્યા પછી ૨૧ દિવસ સુધી રાખવી પડશે દેખરેખ
સરકારી એડવાઇઝરીમાં સ્પષ્ટ જણાવાયું છે કે જો કોઈ મુસાફર વિદેશમાં કોઈ ઇબોલાના શંકાસ્પદ અથવા પુષ્ટિ થયેલા દર્દીના સીધા સંપર્કમાં આવ્યો હોય, તો તેણે એરપોર્ટ પર સહેજ પણ છુપાવ્યા વિના તેની વિગત આપવી પડશે. આ સાથે જ, હાઇ-રિસ્ક દેશોમાંથી આવેલા તમામ મુસાફરોએ ભારતમાં આગમન પછીના ૨૧ દિવસ સુધી પોતાના સ્વાસ્થ્ય પર કડી નજર રાખવી પડશે. જો આ સમયગાળા દરમિયાન તાવ કે અન્ય કોઈ લક્ષણ જણાય, તો તાત્કાલિક ડોક્ટર પાસે જઈને પોતાની ટ્રાવેલ હિસ્ટ્રી (મુસાફરીનો ઈતિહાસ) જણાવવાની રહેશે. આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય નિયમોના પાલન માટે મુસાફરોને એરપોર્ટ પર થતી તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવા જણાવાયું છે.
👉 આ સમાચાર વાચો:
Worli Drugs Racket। વરલીમાં સરકારી શેડ પાછળ ખુલ્લેઆમ ગાંજાનું વેચાણ ડ્રગ્સ રેકેટ સક્રિય હોવાના ગંભીર આક્ષેપો
