News Continuous Bureau | Mumbai
Free Trade Agreement (FTA)| ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના લાંબા સમયથી પડતર એવા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર આજે નવી દિલ્હીના ભારત મંડપમમાં સત્તાવાર હસ્તાક્ષર કરવામાં આવશે. આ પ્રસંગે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને ન્યુઝીલેન્ડના ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ મંત્રી ટોડ મેકલે ઉપસ્થિત રહેશે. માર્ચ ૨૦૨૫માં શરૂ થયેલી વાટાઘાટો બાદ ડિસેમ્બર ૨૦૨૫માં આ કરારને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
સ્થાનિક ઉદ્યોગોને વેગ અને ડ્યુટીમાં ઘટાડો
આ કરારને બંને દેશો વચ્ચે આર્થિક સહયોગ વધારવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવે છે. આ સમજૂતી હેઠળ ભારતમાંથી ન્યુઝીલેન્ડમાં નિકાસ થતી આશરે ૭૦% વસ્તુઓ પરની ઈમ્પોર્ટ ડ્યુટી નાબૂદ કરવામાં આવશે. આનાથી આગ્રાના લેધર અને ફૂટવેર સેક્ટર, ઉત્તર પ્રદેશના હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ ઉદ્યોગો તેમજ ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ જેવી યોજનાઓને નવા બજારો મળશે, જે ખાસ કરીને MSME અને શ્રમ-આધારિત ઉદ્યોગો માટે મોટી તક સાબિત થશે.
લક્ષ્યાંક અને રોકાણની પ્રતિબદ્ધતા
આ સમજૂતીનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપારને વર્તમાન ૨.૪ અબજ ડોલરથી વધારીને ૫ અબજ ડોલર સુધી પહોંચાડવાનો છે. ન્યુઝીલેન્ડે આગામી ૧૫ વર્ષમાં ભારતમાં ૨૦ અબજ ડોલરના રોકાણની પ્રતિબદ્ધતા પણ દર્શાવી છે, જે રોજગારી અને આર્થિક વિકાસને વેગ આપશે. આ ઉપરાંત, બંને દેશો કૃષિ ક્ષેત્રે ખાસ કરીને કીવી, સફરજન અને મધ માટે એગ્રીટેક સહયોગ વધારવા પર પણ સંમત થયા છે.
વ્યાવસાયિકો માટે રોજગારની તકો
સેવા ક્ષેત્રે પણ આ કરાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ હેઠળ ભારતીય વ્યાવસાયિકો માટે દર વર્ષે ૫,૦૦૦ જેટલા કામચલાઉ રોજગાર વીઝા (ત્રણ વર્ષના ગાળા માટે) ની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં આઈટી એન્જિનિયરિંગ, હેલ્થકેર, શિક્ષણ અને નિર્માણ ક્ષેત્રની સાથે આયુષ નિષ્ણાતો, યોગ પ્રશિક્ષકો, શેફ અને મ્યુઝિક ટીચર્સનો પણ સમાવેશ થાય છે. આ સમજૂતીથી નિયમોનું સરળીકરણ અને બિન-ટેરિફ અવરોધોમાં પણ ઘટાડો થશે.
👉 આ સમાચાર વાચો:
E85 ethanol India:બળતણમાં ૮૫ ટકા ઇથેનોલના મહા અભિયાનથી દેશની દશા અને દિશા બન્ને બદલાશૈ
