News Continuous Bureau | Mumbai
LPG Crisis India 2026: મધ્ય-પૂર્વ માં ચાલી રહેલા ભીષણ યુદ્ધની અસર હવે ભારતના ઉદ્યોગો અને સામાન્ય જન જીવન પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. દેશમાં એલપીજી (LPG) સંકટ એટલું ઘેરું બન્યું છે કે રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ફેક્ટરીઓ બંધ થવા લાગી છે. ગેસના અભાવે કામધંધા ઠપ થતા હજારો શ્રમિકો બેરોજગાર બન્યા છે અને રેલવે સ્ટેશનો પર વતન પરત ફરવા માટે મજૂરોની ભારે ભીડ જોવા મળી રહી છે. સરકારના દાવા છતાં જમીની હકીકત ખૂબ જ ગંભીર હોવાનું જણાય છે.
સુરત અને મુંબઈમાં મજૂરોનું ‘મજબૂરીનું પલાયન’
ગુજરાતના સુરત માં રાંધણ ગેસની ભારે અછતને કારણે પરપ્રાંતિય શ્રમિકોએ મોટા પાયે પલાયન શરૂ કર્યું છે. મજૂરોનું કહેવું છે કે જ્યારે જમવાનું બનાવવું જ મુશ્કેલ બન્યું છે, ત્યારે શહેરમાં રહેવાનો કોઈ અર્થ નથી. આવી જ હાલત આર્થિક રાજધાની મુંબઈ માં પણ છે. મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસ (LTT) પર શ્રમિકો પોતાનો સામાન બાંધીને વતન જતી ટ્રેનોમાં ચઢવા માટે પડાપડી કરી રહ્યા છે. જે સિલિન્ડર 1000 રૂપિયામાં મળતો હતો, તેના માટે કાળાબજારમાં 2500 થી 3000 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે.
રાજસ્થાનમાં ઉદ્યોગો ઠપ, સપ્લાય ચેઈન ખોરવાઈ
રાજસ્થાનમાં કોમર્શિયલ એલપીજીની અછતને કારણે કાપડ, માર્બલ અને કેમિકલ ફેક્ટરીઓ બંધ થઈ રહી છે. અજમેર અને જયપુર જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં હજારો મજૂરો બેરોજગાર થયા છે. ફેક્ટરી માલિકોનું કહેવું છે કે ગેસ સપ્લાય ન હોવાને કારણે ઈન્ડસ્ટ્રીયલ સપ્લાય ચેઈન પૂરી રીતે ખોરવાઈ ગઈ છે. જયપુર રેલવે સ્ટેશન પર બિહાર અને યુપી જતા મજૂરોની ભીડ કોરોના કાળની યાદ અપાવી રહી છે. હેલ્પલાઈન નંબરો પર પણ ઉદ્યોગપતિઓને કોઈ સંતોષકારક જવાબ મળી રહ્યો નથી.
આ સમાચાર પણ વાંચો : US-Iran War:યુદ્ધ અમેરિકા લડશે પણ પૈસા આરબ દેશો આપશે? ટ્રમ્પનો એવો માસ્ટર પ્લાન જેનાથી ખાડી દેશોની ઉંઘ હરામ થઈ ગઈ!
કેરોસીનની વાપસી અને સરકાર સામે આક્રોશ
ગેસના આ સંકટ વચ્ચે સરકારે નિયમોમાં થોડી છૂટ આપીને કેરોસીનનો ઉપયોગ વધારવાની છૂટ આપી છે, જેથી પેટ્રોલ પંપો પર કેરોસીનનું વેચાણ શરૂ થશે. હોર્મુઝ સ્ટ્રેટ માં યુદ્ધને કારણે સપ્લાયમાં અવરોધ આવ્યો છે, જોકે બે ગેસ ટેન્કર ભારત પહોંચવાની તૈયારીમાં છે. સામાન્ય જનતામાં સરકાર સામે ભારે આક્રોશ છે. લોકોની એક જ માંગ છે કે દુનિયાના કોઈ પણ ખૂણે યુદ્ધ થાય, પણ ગરીબના ઘરનો ચૂલો બુઝાવવો જોઈએ નહીં.
Join Our WhatsApp Community