News Continuous Bureau | Mumbai
PM Modi Birthday : પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના 73મા જન્મદિવસ નિમિત્તે “પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના”નો શુભારંભ પ્રધાનમંત્રીશ્રીના હસ્તે કરાયો હતો.
પ્રધાનમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં દેશભરના 70 સ્થળો સહિત રાજયના અમદાવાદ(Ahmedabad) અને વડોદરા(Baroda) ઉપરાંત રાજકોટ શહેરના અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાએ 18 સમુદાયોના કારીગરોને આ યોજનાનો લાભ લઇ અર્થોપાર્જન કરી દેશના વિકાસમાં સહયોગી બનવા અનુરોધ કર્યો હતો.
મંત્રીશ્રી માંડવિયાએ આ યોજનાની વિગતો આપતા જણાવ્યું હતું કે પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલા સમુદાયો પોતાની પેઢી દર પેઢીથી સચવાયેલી કારીગરી થકી અર્થોપાર્જન કરી શકે તે માટે પ્રધાનમંત્રીશ્રીએ આ યોજના માટે રૂ. 15 હજાર કરોડની ફાળવણી કરી છે, ત્યારે આ યોજના હેઠળ ઓનલાઇન રજીસ્ટ્રેશન(online registration) કરાવી આઈ કાર્ડ મેળવી કોઈપણ પ્રકારની બેંક ગેરેન્ટી વિના રૂ. 3 લાખ સુધીની મળવાપત્ર લોનનો લાભ લઈ બદલાતા સમયે સાથે નવા ભારતના નિર્માણમાં સહયોગી થવું જોઈએ. પ્રાથમિક સુવિધાથી ભારતનો એક પણ નાગરિક વંચિત ન રહે તે માટે સ્ટેન્ડ અપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા વગેરે જેવા ઉપક્રમો થકી વંચિતોને સહાયરૂપ થવા અને આત્મસન્માન સાથે જીવન જીવી શકે તે માટે સરકાર કટિબદ્ધ છે. દેશના વંચિતો અને છેવાડાના વ્યક્તિઓને મદદરૂપ થવા માટે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી યોજાનાર “આયુષ્માન ભવ” કાર્યક્રમ અંતર્ગત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, બિન સરકારી સંગઠનો તથા અન્ય સંસ્થાઓ દ્વારા યોજાનાર બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ ડોનેટ કરવા તથા ઓર્ગન ડોનેશનનો સંકલ્પ કરવા અનુરોધ કર્યો હતો
પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસ નિમિત્તે 15 દિવસ સુધી યોજાઇ રહેલા “આયુષ્માન ભવ” કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા હેલ્થ મેળાઓમાં શારીરિક તપાસ કરાવવા મંત્રીશ્રી માંડવિયાએ ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો. કોરોના કાળ દરમિયાન દેશની જનતાની સેવા માટે લેવાયેલા સ્વાસ્થ્ય સંબંધિત કાર્યક્રમની ટૂંકી વિગતો મંત્રીશ્રીએ પોતાના વક્તવ્યમાં રજૂ કરી હતી અને સ્વાસ્થ્ય ક્ષેત્ર એ તમામ ભારતીયો માટે વ્યવસાય નહીં, પરંતુ સેવા છે તેમ જણાવતા પ્રધાનમંત્રીશ્રીએ અમલી બનાવેલી વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓનો(schemes) લાભ લઈને પ્રધાનમંત્રીશ્રીના સુખી જીવનની સંકલ્પનાને સાકાર કરવા જણાવ્યું હતું.
હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર ડિપાર્ટમેન્ટના એડિશનલ સેક્રેટરીશ્રી એલ.એસ. ચાંગસનએ સ્વાગત પ્રવચન કર્યુ હતુ. “પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના”ની વિગતો રજૂ કરતી ટૂંકી ડોક્યુમેન્ટરી ફિલ્મ આ પ્રસંગે રજૂ કરાઈ હતી.પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત સામેલ થયેલા 18 પ્રકારની વિવિધ કારીગરી સાથે જોડાયેલા સમાજના પ્રતિનિધિઓ તથા અગ્રણીઓએ પ્રધાનમંત્રીશ્રી પ્રત્યેનો આભારપત્ર કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાને સુપરત કર્યા હતા. આ તકે મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાએ જિલ્લા વહીવટી તંત્રએ રૂ. 16 લાખના ખર્ચે એઈમ્સ રાજકોટને બેઝિક લાઈફ સપોર્ટ સિસ્ટમ સાથે ફાળવેલી એમ્બ્યુલન્સનું રીબીન કાપીને તેનો શુભારંભ કરાવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : UNESCO : શાંતિનિકેતનને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સ્થાન મળવા પર પ્રધાનમંત્રી શ્રીએ ખુશી વ્યક્ત કરી
આ પ્રસંગે સામાજિક ન્યાય તથા અધિકારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, સંસદસભ્ય શ્રી મોહનભાઈ કુંડારિયા તથા શ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્યશ્રી દર્શિતાબેન શાહ, શ્રી ઉદયભાઇ કાનગડ, શ્રી રમેશભાઈ ટીલાળા તથા શ્રી મહેન્દ્રભાઈ પાડલીયા, મેયર શ્રી નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવિણાબેન રંગાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જૈમીન ઠાકર, અગ્રણી શ્રી મુકેશભાઈ દોશી, પી.જી.વી.સી.એલ.ના એમ.ડી. શ્રી સ્વાતિબેન અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવ ચૌધરી, એઈમ્સના ડાયરેક્ટર કર્નલ સી.ડી.એસ. કટોચ, નિવાસી અધિક કલેક્ટર શ્રી એસ. જે. ખાચર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી ચેતન નંદાણી તથા શ્રી બ્રિજેશ કાલરીયા, પ્રાંત અધિકારી શ્રી સંદીપ વર્મા અને શ્રી વિવેક ટાંક, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર શ્રી કે.વી. મોરી, મહિલા અને બાળ કલ્યાણ અધિકારી શ્રી અવનીબેન દવે, જિલ્લા રોજગાર અધિકારી શ્રી ચેતન દવે તથા મોટી સંખ્યામાં વિશ્વકર્મા સમાજના પ્રતિનિધિઓ અને સભ્યો તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીએ આભાર દર્શન કર્યું હતું.