News Continuous Bureau | Mumbai
Operation Safe Return:ઈરાન અને અમેરિકા વચ્ચે ૨૮ ફેબ્રુઆરીએ શરૂ થયેલા સંઘર્ષ બાદ હોર્મુઝની ખાડીમાં તેલ અને ગેસ લઈને આવતા અનેક ભારતીય જહાજો ફસાયા હતા. ભારતની સફળ કૂટનીતિ અને નૌસેનાની સતર્કતાને કારણે હવે એક પછી એક જહાજો ભારત તરફ પાછા ફરી રહ્યા છે. રવિવારે ‘ગ્રીન આશા’ નામના LPG કેરિયરે આ ખતરનાક રૂટ પાર કરી લીધો છે. હવે આ વિસ્તારમાં ભારતનું માત્ર એક જ જહાજ ‘જગ વિક્રમ’ બાકી રહ્યું છે, જે નૌસેનાના નિર્દેશોની રાહ જોઈ રહ્યું છે.
ગુજરાતના ભરૂચ અને કંડલા બંદરે પહોંચશે ગેસનો જથ્થો
ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગના અહેવાલ મુજબ, ૩ એપ્રિલે ‘ગ્રીન સાન્વી’ જહાજ હોર્મુઝ પાર કરી ચૂક્યું હતું, જે અંદાજે ૪૬,૬૫૫ મેટ્રિક ટન LPG લઈને ૭ એપ્રિલે ગુજરાતના ભરૂચ જિલ્લાના દહેજ બંદરે પહોંચવાની ધારણા છે. આ ઉપરાંત, ગયા અઠવાડિયે ૪૭,૬૧૨ મેટ્રિક ટન LPG લઈને ‘જગ વસંત’ જહાજ કચ્છના કંડલા બંદરે પહોંચ્યું હતું, જ્યારે ‘પાઈન ગેસ’ દ્વારા ન્યૂ મેંગ્લોરમાં ૪૫,૦૦૦ મેટ્રિક ટન LPG પહોંચાડવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો: Cumin Prices India:યુધ્ધથી નિકાસ અટવાતા જીરામાં તેજીને બ્રેક
૨૦,૦૦૦ ભારતીય નાવિકોની સુરક્ષા અને સ્થિતિ
શિપિંગ મંત્રાલયના અહેવાલ મુજબ, સમગ્ર અખાતી વિસ્તારમાં અત્યારે આશરે ૨૦,૦૦૦ ભારતીય નાવિકો હાજર છે. તેમાંથી ૫૨૮ નાવિકો ભારતીય ધ્વજ ધરાવતા જહાજો પર સવાર છે. અત્યાર સુધીમાં વિવિધ શિપિંગ કંપનીઓએ ૧,૪૭૯ નાવિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. ભારતીય નૌસેના આ વિસ્તારમાં ભારતીય જહાજો અને નાવિકોની સુરક્ષા માટે સતત દેખરેખ રાખી રહી છે.
હજુ પણ ૧૬ જહાજો પર્સિયન ગલ્ફમાં હાજર
રિપોર્ટ અનુસાર, હાલમાં ૧૬ ભારતીય જહાજો પર્સિયન ગલ્ફમાં (હોર્મુઝની પશ્ચિમે), ૪ જહાજો ઓમાનની ખાડીમાં અને ૨ જહાજો લાલ સમુદ્રમાં મોજૂદ છે. પર્સિયન ગલ્ફમાં રહેલા જહાજોમાંથી ૫ જહાજો ‘શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા’ (SCI) ના છે. ભારત સરકાર હોર્મુઝની ખાડીમાં પરિવહન અવરોધાય નહીં તે માટે સતત પ્રયત્નશીલ છે, જેથી દેશમાં રાંધણ ગેસ (LPG) નો પુરવઠો ખોરવાય નહીં.