ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 નવેમ્બર 2021
શુક્રવાર.
લાંબા સમયથી દેશના ખેડૂતો કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે. તેમની લડાઈનો છેવટે વિજય થયો છે. ત્રણે કૃષિ કાયદો પાછો ખેંચવાની માગણી સાથે દિલ્હીની સરહદ પર તંબુ તાણીને બેઠેલા ખેડૂતો સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઝુકવું પડયું છે. શુક્રવારે કાર્તિકી પૂર્ણિમા અને ગુરુ નાનક જયંતિ અવસરે મોદીએ ત્રણે કૃષિ કાયદો પાછો ખેંચવાની જાહેરાત કરી છે. જોકે આ આંદોલનનો મુખ્ય ચહેરો રહેલા ખેડૂતોના નેતા રાકેશ ટિકૈતે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આંદોલન પાછું ખેચવામાં આવશે નહીં. જયાં સુધી સંસદમાં કાયદો રદ થશે નહીં ત્યાં સુધી ખેડૂતોનું આંદોલન ચાલુ જ રહેશે.
મોદીની જાહેરાત બાદ જ તુરંત ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે ટ્વીટ કરતા કહ્યું હતું કે આંદોલન તાત્કાલિક પાછું ખેંચશુ નહીં. અમે એ દિવસની રાહ જોઈ રહ્યા છે, જે દિવસે સંસદમાં કૃષિ કાયદો રદ કરવામાં આવશે. તેમ જ સરકાર MPS સહિત ખેડૂતોના અન્ય મુદ્દા પર ચર્ચા કરશે.