News Continuous Bureau | Mumbai
Savitri Jindal : લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને દરરોજ એક પછી એક ઝટકા લાગી રહ્યો છે. હવે ભારતની સૌથી અમીર મહિલા અને દેશના ટોચના અમીરોની યાદીમાં સામેલ સાવિત્રી જિંદાલે કોંગ્રેસ ને અલવિદા કહ્યું છે. તેમનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે તેમના પુત્ર નવીન જિંદાલ તાજેતરમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે સાવિત્રી જિંદાલ પણ ભાજપમાં જોડાઈ શકે છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
સાવિત્રી જિંદાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાના રાજીનામાની જાણકારી આપી છે. તેમણે લખ્યું, “મેં ધારાસભ્ય તરીકે 10 વર્ષ સુધી હિસારના લોકોનું પ્રતિનિધિત્વ કર્યું છે અને મંત્રી તરીકે નિઃસ્વાર્થ ભાવે હરિયાણા રાજ્યની સેવા કરી છે. હિસારના લોકો મારો પરિવાર છે અને મારા પરિવારની સલાહ પર હું આજે કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહી છું. હું કોંગ્રેસ નેતૃત્વનો તેના સમર્થન માટે અને મારા તમામ સાથીઓનો હંમેશા આભારી રહીશ જેમણે હંમેશા મને તેમનું સમર્થન અને સન્માન આપ્યું.”
સાવિત્રી જિંદાલની નેટવર્થ કેટલી છે?
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, ભારતની સૌથી અમીર મહિલાઓની યાદીમાં સાવિત્રી જિંદાલનું નામ ટોચ પર છે. તે 84 વર્ષની છે અને જિંદાલ ગ્રુપનો વિશાળ બિઝનેસ સંભાળે છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ મુજબ, 28 માર્ચ, 2024 સુધીમાં, સાવિત્રી જિંદાલની કુલ સંપત્તિ $29.6 બિલિયન છે. ભારતીય ચલણમાં આ લગભગ 2.47 લાખ કરોડ રૂપિયા છે. વૈશ્વિક સ્તરે, સાવિત્રી જિંદાલ વિશ્વના અબજોપતિઓની યાદીમાં 56માં સ્થાને છે.
કેવી રહી સાવિત્રી જિંદાલની રાજકીય કારકિર્દી?
સાવિત્રી જિંદાલ 10 વર્ષથી હિસાર મતવિસ્તારથી ધારાસભ્ય છે. તે હરિયાણા સરકારમાં મંત્રી પણ રહી ચૂકી છે. 2005 માં વિમાન દુર્ઘટનામાં તેમના પતિ અને જિંદાલ ગ્રુપના સ્થાપક ઓપી જિંદાલના મૃત્યુ પછી, સાવિત્રીએ હિસારથી હરિયાણા વિધાનસભાની ચૂંટણી લડી અને જીતી. 2009માં તેઓ ફરી એકવાર આ બેઠક પરથી જીત્યા હતા. આ સમયગાળા દરમિયાન તેમને 2013 સુધી હરિયાણા સરકારમાં મંત્રી પદ આપવામાં આવ્યું હતું. જોકે, 2014ની હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી માટે ઉદ્ધવ ઠાકરે જૂથની પાર્ટી હજી વધુ આટલા બેઠકો પર ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે, જાણો કોને મળી શકે છે ટીકીટ..
નવીન જિંદાલ ભાજપમાં જોડાયા
સાવિત્રી જિંદાલે એવા સમયે કોંગ્રેસ પાર્ટી છોડી છે જ્યારે તેમના પુત્ર અને જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ (JSPL)ના ચેરમેન નવીન જિંદાલ થોડા દિવસો પહેલા ભાજપમાં જોડાયા છે. તેઓ પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. નવીન જિંદાલને આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે કુરુક્ષેત્ર લોકસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.
Join Our WhatsApp Community