News Continuous Bureau | Mumbai
IPL 2026। આઈપીએલ 2026માં ગુરુવારે રમાયેલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચેની મેચમાં એક ચોંકાવનારો ઉલટફેર જોવા મળ્યો હતો. લખનૌના યુવા બોલર પ્રિન્સ યાદવે દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીને શૂન્ય રને આઉટ કરીને આરસીબીની જીતની આશા પર પાણી ફેરવી દીધું હતું. લખનૌના ૨૧૩ રનના લક્ષ્યાંક સામે બેંગલુરુની ટીમ ૨૦૩ રન જ બનાવી શકી અને ૯ રનથી મેચ હારી ગઈ હતી.
કોહલીની સલાહથી જ કોહલી આઉટ
મેચ બાદ પ્રિન્સ યાદવે એક રસપ્રદ ખુલાસો કરતા જણાવ્યું કે તેણે વિરાટ કોહલીને આઉટ કરવા માટે કોહલીએ જ આપેલી સલાહનો ઉપયોગ કર્યો હતો. પ્રિન્સે કહ્યું, “છેલ્લી મેચ બાદ હું વિરાટ ભાઈ સાથે વાત કરી રહ્યો હતો અને તેમણે મને કહ્યું હતું કે – જ્યાં સુધી બોલ એક લેન્થથી મૂવ (હલી) રહ્યો હોય, ત્યાં સુધી તે જ લેન્થ પર ટકી રહો.” પ્રિન્સ યાદવે મેચમાં બરાબર આવું જ કર્યું અને પોતાની સચોટ લાઈન-લેન્થ જાળવી રાખી, જેના પરિણામે કોહલી ક્લીન બોલ્ડ થયો હતો.
9 વર્ષ બાદ કોહલી સાથે બની આ ઘટના
‘ચેઝ માસ્ટર’ તરીકે જાણીતા વિરાટ કોહલી માટે આ મેચ ભૂલવા જેવી રહી હતી. આઈપીએલના ઇતિહાસમાં ૯ વર્ષ બાદ એવું બન્યું છે કે કોહલી લક્ષ્યાંકનો પીછો કરતી વખતે શૂન્ય રને આઉટ થયો હોય. પ્રિન્સ યાદવના ઇનસ્વિંગ બોલને કોહલી સમજી શક્યો નહીં અને બોલ બેટ અને પેડની વચ્ચેથી સીધો વિકેટમાં ઘૂસી ગયો હતો. આ વિકેટે સ્ટેડિયમમાં રહેલા હજારો ચાહકોને સ્તબ્ધ કરી દીધા હતા.
લખનૌ માટે પ્લેઓફની આશા ધૂંધળી
લખનૌ સુપર જાયન્ટ્સ માટે આ જીતના હીરો મિચેલ માર્શ રહ્યો હતો, જેણે શાનદાર સદી ફટકારી હતી અને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો. જોકે, પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો લખનૌ માટે પ્લેઓફની આશા ઘણી ઓછી છે. ૧૦ મેચમાં માત્ર ૩ જીત સાથે લખનૌ પાસે ૬ પોઈન્ટ છે. જો તેઓ આગામી તમામ ૪ મેચ જીતે તો પણ મહત્તમ ૧૪ પોઈન્ટ સુધી જ પહોંચી શકશે, જે પ્લેઓફમાં ક્વોલિફાય થવા માટે પૂરતા ન હોઈ શકે.
👉 આ સમાચાર વાચો:
Suvendu Adhikari PA Murder। પ્રોફેશનલ શૂટર્સ, ૩ દિવસની રેકી અને પછી હત્યા! સુવેન્દુ અધિકારીના અંગત મદદનીશના મોતમાં SITનો ચોંકાવનારો ઘટસ્ફોટ