News Continuous Bureau | Mumbai
Asha Bhosle Passed Away: ભારતીય સંગીત જગતનો એક સુવર્ણ અધ્યાય આજે સમાપ્ત થયો છે. મશહૂર ગાયિકા આશા ભોંસલે નું 92 વર્ષની વયે નિધન થયું છે. શનિવારે તબિયત લથડતા તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં રવિવારે બપોરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સાત દાયકા સુધી પોતાની મધુર અવાજથી કરોડો લોકોના દિલ જીતનાર આશા તાઈના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર ફરી વળી છે.ગાયિકાને શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં ઈન્ફેક્શનને કારણે ઈમરજન્સી મેડિકલ સર્વિસ યુનિટમાં રાખવામાં આવ્યા હતા. તેમના પુત્ર આનંદ ભોંસલેએ આ દુખદ સમાચારની પુષ્ટિ કરતા જણાવ્યું કે, આવતીકાલે સોમવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Raj Anadkat: ‘તારક મહેતા…’ ના ટપ્પુનો ટીવી પર ધમાકેદાર કમબેક! રાજ અનડકટે આ દિગ્ગજ અભિનેતાની લીધી જગ્યા
શિવાજી પાર્કમાં થશે અંતિમ સંસ્કાર
આશા ભોંસલેના પાર્થિવ દેહને આવતીકાલે સોમવારે સવારે 11 વાગ્યે લોઅર પરેલ સ્થિત તેમના નિવાસસ્થાન ‘કાસા ગ્રાન્ડે’ ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ત્યારબાદ સાંજે 4 વાગ્યે દાદરના શિવાજી પાર્ક ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. નોંધનીય છે કે, આ એ જ સ્થળ છે જ્યાં તેમની મોટી બહેન અને સ્વર કોકિલા લતા મંગેશકરના પણ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
8 સપ્ટેમ્બર 1933 ના રોજ જન્મેલા આશા ભોંસલેના પિતા પંડિત દીનાનાથ મંગેશકર પણ ગાયક અને અભિનેતા હતા.તેમણે 1943 માં મરાઠી ફિલ્મ ‘માઝા બાલ’ માં પોતાનું પ્રથમ ગીત ‘ચલા ચલા નાવ વાલા’ ગાયું હતું.1948 માં ફિલ્મ ‘ચુનરિયા’ ના ‘સાવન આયા’ ગીતથી તેમણે હિન્દી સિનેમામાં એન્ટ્રી કરી હતી.પાંચ દાયકાથી વધુની કારકિર્દીમાં તેમણે હજારો ગીતો ગાયા અને વિશ્વભરમાં ખ્યાતિ મેળવી.આશા ભોંસલેના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કરતા કહ્યું કે, “તેમના ગીતો હંમેશા ગુંજતા રહેશે.” અક્ષય કુમાર, સલમાન ખાન અને સંગીત જગતના અનેક દિગ્ગજોએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. આશા તાઈ માત્ર ગાયિકા જ નહીં, પરંતુ એક ઉત્સાહી વ્યક્તિત્વ હતા જેમને ઈન્દોરના નમકીન અને રસોઈ બનાવવાનો પણ ખૂબ શોખ હતો. તેમની ખોટ ક્યારેય પૂરી શકાય તેવી નથી.
