News Continuous Bureau | Mumbai
શાલિની ઉન્નીક્રિષ્નન… કેરળની એક છોકરી જે પોતાની આંખોમાં નર્સ બનવાનું અને લોકોની સેવા કરવાનું સ્વપ્ન લઈને ઘર છોડે છે. પરંતુ ટ્રેનિંગ દરમિયાન હિજાબ, ધર્મ, જેહાદ ક્યારે તેના જીવનનો હિસ્સો બની ગયો તેની ખબર જ ન પડી. તે પોતે હવે શાલિની ન હતી, તેને ફાતિમા બનાવવામાં આવી હતી. આ રીતે, સંપૂર્ણપણે ISISના ચુંગાલમાં ફસાયેલી છોકરીનું મિશન સેવામાંથી આતંક તરફ વળ્યું. આ 5 મેના રોજ રિલીઝ થવા વાળી ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ની સ્ટોરી લાઇન છે, જેના ટ્રેલરે દેશભરમાં એક નવા વિવાદનો પાયો નાખ્યો છે.
શશિ થરૂરે કર્યું ટ્વીટ
‘ધ કેરલા સ્ટોરી’ માં એવો દાવો કર્યો છે કે કેરળની 32000 હિંદુ અને ખ્રિસ્તી છોકરીઓને બળજબરીથી ધર્માંતરણ કરીને ISISમાં જોડાવા માટે દેશની બહાર મોકલવામાં આવી હતી. આ હકીકત અને ફિલ્મની વાર્તાને લઈને વિવાદ સૌથી વધુ વધી રહ્યો છે. કોંગ્રેસ સહિત અન્ય પક્ષો પણ આ અંગે આક્ષેપો કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ ફિલ્મ માત્ર એક એજન્ડા છે અને તેના દ્વારા સંવાદિતા બગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ, રવિવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે ટ્વીટ કર્યું હતું કે ‘તે ‘તમારી’ કેરળ વાર્તા હોઈ શકે છે. તે ‘આપણી’ કેરળની વાર્તા નથી.
It may be *your* Kerala story. It is not *our* Kerala story. pic.twitter.com/Y9PTWrNZuL
— Shashi Tharoor (@ShashiTharoor) April 30, 2023
સીએમ વિજયને પણ વ્યક્ત કર્યો પોતાનો વિરોધ
શશી થરૂર પહેલા બીજા અન્ય ઘણા નેતાઓએ પણ ફિલ્મના ટ્રેલર નો વિરોધ કર્યો છે. આ દરમિયાન કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ‘ધ કેરલા સ્ટોરી’ના નિર્માતાઓ પર ટિપ્પણી કરી હતી. મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું કે લવ જેહાદ જેવા મુદ્દાઓને કોર્ટ, તપાસ એજન્સીઓ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પણ ફગાવી દીધા છે. વિજયને કહ્યું કે પ્રથમ નજરે ફિલ્મનું ટ્રેલર સાંપ્રદાયિક ધ્રુવીકરણ અને રાજ્ય વિરુદ્ધ નફરત ફેલાવવાના કથિત ઉદ્દેશ્ય સાથે ‘ઇરાદાપૂર્વક નિર્માણ’ કરવામાં આવ્યું હોવાનું જણાય છે. તેમણે કહ્યું કે આમ છતાં કેરળને દુનિયાની સામે રાજ્યને અપમાનિત કરવા માટે ફિલ્મના મુખ્ય આધાર તરીકે દર્શાવવામાં આવ્યું છે. સીએમ વિજયને કહ્યું કે ‘આવી પ્રોપગેન્ડા ફિલ્મો અને તેમાં બતાવવામાં આવતી મુસ્લિમો પ્રત્યેની નફરતને કેરળમાં રાજકીય લાભ મેળવવા માટે સંઘ પરિવારના પ્રયાસોના સંદર્ભમાં જોવી જોઈએ. તેમણે સંઘ પરિવાર પર કેરળમાં ધાર્મિક સંવાદિતાને નષ્ટ કરવાનો પ્રયાસ કરવાનો અને “સાંપ્રદાયિકતાના ઝેરી બીજ વાવવાનો” આરોપ પણ લગાવ્યો.