News Continuous Bureau | Mumbai
Taliban Drone Attack Islamabad વિશ્વભરમાં મધ્ય પૂર્વના યુદ્ધની ચર્ચા વચ્ચે હવે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે પણ યુદ્ધ શરુ થઇ ગયું છે. પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાનના કાબુલ, કંધાર અને પકટિકા જેવા શહેરોમાં એરસ્ટ્રાઈક કરી હતી, જેના જવાબમાં તાલિબાન સરકારે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ અને પેશાવર પર જોરદાર પલટવાર કર્યો છે. તાલિબાનના ડ્રોન હુમલામાં પાકિસ્તાની સેનાને ભારે નુકસાન થયું હોવાના અહેવાલો છે.પાકિસ્તાની સેનાએ દાવો કર્યો હતો કે તેણે અફઘાનિસ્તાનમાં TTP (તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન) ના ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે, પરંતુ અફઘાનિસ્તાનના જણાવ્યા મુજબ આ હુમલામાં સામાન્ય નાગરિકો અને રહેણાંક વિસ્તારોને નુકસાન થયું છે. આના વિરોધમાં તાલિબાન દળોએ ઇસ્લામાબાદ એરપોર્ટને નિશાન બનાવી ડ્રોન હુમલો કરતા આખા પાકિસ્તાનમાં અફરાતફરી મચી ગઈ છે.
ઇસ્લામાબાદ એરપોર્ટ અને સૈન્ય મથકો પર ડ્રોન હુમલો
એક ન્યુઝ ચેનલ ના અહેવાલ મુજબ, અફઘાન સુરક્ષા દળોએ ઇસ્લામાબાદ એરપોર્ટ પર ડ્રોનથી હુમલો કર્યો હતો. આ હુમલા બાદ એરપોર્ટ પર વિમાનોની અવરજવર તાત્કાલિક ધોરણે રોકી દેવી પડી હતી. આ ઉપરાંત, તાલિબાને ઇસ્લામાબાદના ફૈઝાબાદ વિસ્તારમાં આવેલા પાકિસ્તાની સેનાના મોટા સૈન્ય સ્ટેશન ‘હમઝા’ ને પણ નિશાન બનાવ્યું હતું. આ હુમલાને કારણે પાકિસ્તાની વાયુસેનાએ વધુ હુમલા રોકવા માટે ફાઈટર જેટ્સ પણ ઉડાવવા પડ્યા હતા.
અનેક પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હોવાનો દાવો
અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે તેમના વળતા પ્રહારમાં ડઝનબંધ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે અને એક ડઝનથી વધુ મિલિટરી પોસ્ટ્સ તબાહ થઈ ગઈ છે. પેશાવરમાં પણ તાલિબાને ડ્રોન સ્ટ્રાઈક કરીને પાકિસ્તાની સેનાના કોહાટ સેન્ટ્રલ કમાન્ડ અને કોહાટ બ્રિગેડ કેમ્પને નિશાન બનાવ્યા હતા. તાલિબાનના આટલા ઝડપી પલટવારથી રાવલપિંડીથી લઈને ઇસ્લામાબાદ સુધી પાકિસ્તાની લશ્કરમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ સમાચાર પણ વાંચો : Why Coconut Banned in Flight: ફ્લાઇટમાં નાળિયેર લઈ જવા પર કેમ છે પ્રતિબંધ? મુસાફરી કરતા પહેલા જાણી લો આ મહત્વના નિયમો
પાકિસ્તાની બોમ્બમારો અને નિર્દોષ નાગરિકોની હાલત
બીજી તરફ, પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનના કંધારમાં કરાયેલા હુમલામાં એરપોર્ટ અને ઓઈલ રિફાઈનરીને નિશાન બનાવવામાં આવી હતી. અફઘાનિસ્તાનમાં એવો આક્ષેપ થઈ રહ્યો છે કે પાકિસ્તાન TTP ના બહાને નિર્દોષ અફઘાન નાગરિકો અને બાળકોને નિશાન બનાવી રહ્યું છે. એરસ્ટ્રાઈકમાં અનેક ઘરો કાટમાળમાં ફેરવાઈ ગયા છે. રશિયાએ પણ આ મામલે પ્રથમ નિવેદન આપતા બંને દેશોને સંયમ જાળવવા અને વાતચીત દ્વારા મુદ્દા ઉકેલવા વિનંતી કરી છે.
