News Continuous Bureau | Mumbai
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે જંગ જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના પક્ષમાં મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે અફઘાનિસ્તાનના હુમલામાં માર્યા ગયેલા પાકિસ્તાની નાગરિકો અને સૈનિકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન સાથે તેમના સંબંધો ખૂબ જ સારા છે અને પાકિસ્તાન અત્યારે જે કરી રહ્યું છે તે પોતાની રક્ષા માટે અનિવાર્ય છે.ટ્રમ્પે શહબાઝ શરીફ વિશે વાત કરતા કહ્યું કે, “શહબાઝ શરીફ એક મહાન વડાપ્રધાન છે અને હું જે નેતાઓનું સૌથી વધુ સન્માન કરું છું તેમાં તેમનો સમાવેશ થાય છે. જો જરૂર પડશે તો હું આ વિવાદમાં મધ્યસ્થી કરવા પણ તૈયાર છું.” અમેરિકી વિદેશ મંત્રાલયે પણ સ્પષ્ટ કર્યું છે કે તેઓ પાકિસ્તાની વિદેશ સચિવ અમના બલોચના સંપર્કમાં છે અને પાકિસ્તાનને સમર્થન આપતા રહેશે.
અમેરિકાની એડવાઈઝરી અને રશિયા-ચીનનું વલણ
અમેરિકાએ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં રહેતા પોતાના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે, જેમાં આતંકી પ્રવૃત્તિઓથી સાવધ રહેવા જણાવાયું છે. બીજી તરફ, રશિયા અને ચીને બંને દેશોને સંઘર્ષ છોડીને વાતચીતની મેજ પર આવવા અપીલ કરી છે. ચીને આ વિવાદમાં મધ્યસ્થી કરવાની ઓફર પણ આપી છે, જ્યારે રશિયાએ આ લશ્કરી સંઘર્ષ જલ્દી સમાપ્ત થાય તેવી આશા વ્યક્ત કરી છે.
આ સમાચાર પણ વાંચો : India EU Free Trade Agreement 2026: ભારતીય વેપારીઓની લોટરી લાગી! યુરોપમાં ટેક્સ વગર માલ વેચવાની મળી છૂટ; ભારત-EU વચ્ચેની ડીલથી બદલાઈ જશે અર્થતંત્ર
ભારતે કરી પાકિસ્તાનની આકરી નિંદા
ભારતે રમઝાનના પવિત્ર મહિના દરમિયાન પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનમાં મહિલાઓ અને બાળકો સહિતના નાગરિકો પર કરવામાં આવેલા હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે કહ્યું કે, “પાકિસ્તાન પોતાની આંતરિક નિષ્ફળતાઓથી ધ્યાન ભટકાવવા માટે અન્ય દેશો પર હુમલા કરી રહ્યું છે.” ભારતે સ્પષ્ટ કર્યું છે કે નાગરિકોને નિશાન બનાવવા તે સ્વીકાર્ય નથી.
યુદ્ધની વિગતવાર સ્થિતિ
પાકિસ્તાને શુક્રવારે કાબુલ સહિતના અફઘાન પ્રાંતો પર એરસ્ટ્રાઈક કરી હતી, જેમાં ૧૭ નાગરિકોના મોત થયા હતા. તેના જવાબમાં અફઘાનિસ્તાને ડૂરન્ડ લાઇનપર પાકિસ્તાની સૈન્ય ચોકીઓ પર તોતિંગ હુમલા કર્યા છે. પાકિસ્તાને દાવો કર્યો છે કે આ હુમલામાં તેના ૧૨ સૈનિકો માર્યા ગયા છે, જ્યારે અફઘાનિસ્તાનના ૧૩ લડવૈયાઓ ઠાર થયા છે. ગિલગિટ-બાલ્ટિસ્તાન જેવા વિસ્તારોમાં ડ્રોન ઉડાવવા પર પણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.
