News Continuous Bureau | Mumbai
ભારત અને કેનેડા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા તણાવ બાદ હવે સંબંધો ફરી પાટા પર આવતા દેખાઈ રહ્યા છે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને કેનેડાના નતાલી ડ્રૌઈન વચ્ચે ઓટાવામાં એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા અને કાયદાના અમલીકરણ મુદ્દે પરસ્પર સહયોગ માટે એક મજબૂત યોજના તૈયાર કરવામાં આવી છે. આ પગલાને બંને દેશો વચ્ચેના રાજદ્વારી વિવાદને ઉકેલવા માટેના એક મોટા પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે.
ડ્રગ્સની હેરાફેરી અને ક્રિમિનલ નેટવર્ક પર થશે સીધો પ્રહાર
આ બેઠકમાં લેવાયેલા સૌથી મહત્વના નિર્ણય મુજબ, ભારત અને કેનેડા હવે ડ્રગ્સની દાણચોરી અને ઇન્ટરનેશનલ ક્રિમિનલ નેટવર્ક સામે લડવા માટે ખાસ સંપર્ક અધિકારીઓની નિમણૂક કરશે. આ અધિકારીઓ બંને દેશો વચ્ચે સમયસર માહિતી શેર કરવામાં મદદ કરશે. આ સહકારથી આંતરરાષ્ટ્રીય ગુનાખોરી પર લગામ લગાવી શકાશે. બંને દેશોની સુરક્ષા એજન્સીઓ હવે સાથે મળીને કામ કરશે અને સાયબર સુરક્ષા જેવા ગંભીર મુદ્દાઓ પર પણ પરસ્પર સહયોગ વધારવા સંમત થયા છે.
આ સમાચાર પણ વાંચો : Arijit Singh: અરિજીત સિંહના અવાજની જાદુઈ રાત! નિવૃત્તિની જાહેરાત બાદ પ્રથમ સ્ટેજ શોમાં રડી પડ્યા ફેન્સ, જુઓ કોલકાતા કોન્સર્ટના વાયરલ વીડિયો
હરદીપ સિંહ નિજ્જર વિવાદ બાદ પ્રથમ વખત સંબંધોમાં સુધારો
વર્ષ 2023માં ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે ગંભીર વિવાદ સર્જાયો હતો. આ વિવાદ બાદ બંને દેશોના સંબંધો વણસ્યા હતા. જોકે, અજીત ડોભાલની આ મુલાકાત અત્યંત મહત્વની માનવામાં આવે છે કારણ કે આવતા મહિને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની ભારતની મુલાકાતે આવી શકે છે. તે મુલાકાત પહેલા સુરક્ષા અને કાયદાકીય મુદ્દાઓ પર સહમતી સાધવી એ ભારતની મોટી રાજદ્વારી જીત ગણાય છે.
નાગરિકોની સુરક્ષા અને છેતરપિંડી રોકવા પર ભાર
ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બંને દેશો પોતપોતાના નાગરિકોની સુરક્ષા માટે શરૂ કરાયેલી પહેલોમાં થયેલી પ્રગતિ સ્વીકારી છે. આ ઉપરાંત, ઈમિગ્રેશન એટલે કે સ્થળાંતર સાથે જોડાયેલી છેતરપિંડી અને અમલીકરણ મુદ્દે પણ ચર્ચા ચાલુ રાખવા પર સહમતી બની છે. વેપારના મુદ્દાઓ પર વાતચીત કરતા પહેલા સુરક્ષા અને આંતરિક કાયદા વ્યવસ્થા પર ડીલ કરીને ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે રાષ્ટ્રીય સુરક્ષા સર્વોપરી છે.