News Continuous Bureau | Mumbai
Navika Sagar Parikrama II : INSV તારિણી નાવિકા સાગર પરિક્રમા II અભિયાનના ચોથા તબક્કાને પૂર્ણ કરીને દક્ષિણ આફ્રિકાના કેપ ટાઉનમાં પ્રવેશી હતી. જહાજ અને ક્રૂનું સ્વાગત કેપ ટાઉન ખાતે ભારતના કોન્સ્યુલ જનરલ શ્રીમતી રૂબી જસપ્રીત, દક્ષિણ આફ્રિકન નૌકાદળના ફ્લીટના ચીફ ઓફ સ્ટાફ રીઅર એડમિરલ (JG) લિસા હેન્ડ્રિક્સ અને પ્રિટોરિયા ખાતે ભારતના સંરક્ષણ સલાહકાર કેપ્ટન અતુલ સપહિયા દ્વારા કરવામાં આવ્યું. દક્ષિણ આફ્રિકના નૌકાદળના બેન્ડ દ્વારા પણ બંદર પર જહાજનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
NSP II અભિયાનને નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠી દ્વારા 02 ઓક્ટોબર 2024ના રોજ ગોવાથી લીલી ઝંડી બતાવવામાં આવી હતી અને ભારતીય નૌકાદળના બે મહિલા અધિકારીઓ લેફ્ટનન્ટ કમાન્ડર દિલના કે અને લેફ્ટનન્ટ કમાન્ડર રૂપા એ દ્વારા ભારતીય નૌકાદળના સેઇલિંગ વેસલ (INSV તારિણી) પર સવાર થયા હતા. આ મિશનનો ઉદ્દેશ્ય આઠ મહિનામાં 23,400 નોટિકલ માઇલ (આશરે 43,300 કિલોમીટર) થી વધુ અંતર કાપવાનો છે અને મે, 2025માં ગોવા પરત ફરવાનું આયોજન છે. આ અભિયાન અત્યાર સુધીમાં ફ્રેમન્ટલ (ઓસ્ટ્રેલિયા), લિટલટન (ન્યૂઝીલેન્ડ) અને પોર્ટ સ્ટેનલી, ફોકલેન્ડ્સ (યુકે) ખાતે ત્રણ સ્ટોપઓવર કરી ચૂક્યું છે.
આ જહાજ બે અઠવાડિયા સુધી રોયલ કેપ યાટ ક્લબમાં સુનિશ્ચિત જાળવણી અને સમારકામ માટે રહેશે. જહાજના ક્રૂ સિમોન્સ ટાઉન નેવલ બેઝ અને ગોર્ડન્સ બે નેવલ કોલેજ ખાતે દક્ષિણ આફ્રિકન નૌકાદળ સાથે જોડાશે અને વાર્તાલાપ કરશે. તેમના રોકાણ દરમિયાન કોમ્યૂનિટી આઉટરીચ ઇવેન્ટ્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
જહાજ અને ક્રૂએ તોફાની સમુદ્ર અને અત્યંત ઠંડા તાપમાન અને તોફાની હવામાન પરિસ્થિતિઓનો સામનો કર્યો હોવાથી, પરિક્રમાનું કાર્ય ખૂબ જ પડકારજનક અને મુશ્કેલ રહ્યું હતું. અત્યાર સુધી આ માર્ગ પર 50 નોટ (93 કિમી પ્રતિ કલાક) થી વધુની ઝડપે પવન અને 7 મીટર (23 ફૂટ) ઊંચા મોજા જોવા મળ્યા હતા.
સ્વદેશી રીતે નિર્મિત INSV તારિણી એક 56 ફૂટનું સઢવાળું જહાજ છે. જેને 2018માં ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું અને અગાઉ આવા ઘણા અભિયાનોમાં ભાગ લીધો છે. આ જહાજ ભારત સરકારની ‘મેક ઇન ઇન્ડિયા’ અને આત્મનિર્ભર ભારત પહેલનો એક યોગ્ય પુરાવો છે.
આ સમાચાર પણ વાંચો : Ahmedabad Khadi Fashion Show : ઝોનલ સ્તરે માર્કેટિંગ પ્રદર્શન અને ખાદી ફેશન શોનું આયોજન
નાવિકા સાગર પરિક્રમા-II અભિયાન ભારતીય સશસ્ત્ર દળોમાં મહિલા સશક્તિકરણને પણ પ્રોત્સાહન આપે છે અને ઘણી યુવતીઓને સેવાઓ અને ખાસ કરીને ભારતીય નૌકાદળમાં જોડાવા માટે પ્રેરિત કરશે તેવી અપેક્ષા છે. આ આવૃત્તિનો હેતુ દરિયાઈ અને વૈજ્ઞાનિક સંશોધનોને આગળ વધારવાનો પણ છે.
કેપ ટાઉન ખાતે તારિણીનું રોકાણ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેના વધતા સંબંધો અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં મિત્ર દેશો સાથે તેના દરિયાઈ સહયોગને મજબૂત બનાવવા માટે ભારત કેવી રીતે પ્રતિબદ્ધ છે તે દર્શાવે છે.
તાજેતરના ભૂતકાળમાં, ભારતીય નૌકાદળના જહાજ તલવારે ઓક્ટોબર 2024માં દક્ષિણ આફ્રિકામાં IBSAMAR કવાયતની 8મી આવૃત્તિમાં ભાગ લીધો હતો. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં ભારતીય નૌકાદળના નવીનતમ સ્ટીલ્થ ફ્રિગેટ INS તુશીલે ડર્બન ખાતે બંદર મુલાકાત લીધી હતી અને ક્વા-ઝુલુ નાતાલમાં દક્ષિણ આફ્રિકાના નૌકાદળ અને ભારતીય સમુદાય સાથે વાતચીત કરી હતી. આવી મુલાકાતો અને જોડાણો નૌકાદળોને દરિયાઈ ક્ષેત્રમાં સામાન્ય પડકારોનો સામનો કરવા અને સલામત અને સુરક્ષિત સમુદ્ર સુનિશ્ચિત કરવા માટેની શ્રેષ્ઠ પ્રથાઓમાંથી શીખવા માટેની છે.
આ જહાજ 15 એપ્રિલ 2025ના રોજ કેપ ટાઉનથી રવાના થવાની શક્યતા છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.