ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
07 સપ્ટેમ્બર 2020
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ આખી દુનિયાને ચેતવણી આપી છે કે તેઓ કોરોના જેવી બીજી મહામારી માટે તૈયાર રહે. WHOના વડા ડૉ. ટેડ્રોસ ગ્રેબેસીસે કહ્યું હતું કે દુનિયાભરના દેશોએ કોરોના જેવી બીજી મહામારી આવતાં પહેલા પબ્લિક હેલ્થમાં ઘણા પૈસાનું રોકાણ કરવું જોઇએ નહીં તો કોરોના જેવી સ્થિતિની આશંકા છે.
ડૉ. ટેડ્રોસે કહ્યું કે નોવેલ કોરોનાવાયરસના લીધે 2.71 કરોડ લોકો સંક્રમિત થયા અને 8.88 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. કોવિડ-19 એ, માત્ર ડિસેમ્બર 2019 થી અત્યાર સુધીમાં વિશ્વની આ સ્થિતિ બનાવી છે અને હજુ પણ ઘણા દેશોમાં તેની ભયાનકતા વધી રહી છે. તેને નિયંત્રિત કરવું મુશ્કેલ થઇ રહ્યું છે.
WHOના પ્રમુખે જીનીવામાં એક પ્રેસ બ્રીફિંગ દરમ્યાન કહ્યું કે 'ઇતિહાસ અનેક મહામારીઓનું સાક્ષી રહ્યું છે. આ મહામારીઓ જીવનની હકીકત છે. પરંતુ દુનિયા પર બીજી કોઈ મહામારી હુમલો કરે તે પહેલાં આપણે સંપૂર્ણ તૈયારી કરી લેવી જોઇએ.' દુનિયાભરના દેશોએ સંભવિત બીમારીઓ માટે રસી અને દવાઓ પર મળીને રિસર્ચ અને ઉત્પાદન કરવું જોઈએ. ઉત્પાદનને બજારમાં લાવવાની વ્યવસ્થા કરવી જોઇએ જેથી જ્યારે પણ કોઇ મહામારી ફેલાય તો તેને તરત જ કાબૂમાં કરી શકાય.
WHOના એક એક્સપર્ટે સ્પષ્ટ કહ્યું છે કે આ વર્ષના અંત સુધીમાં કોરોના વાયરસની રસી મળી શકશે એવી સંભાવના ઓછી છે. નોંધનીય છે કે ઓક્સફર્ડ યુનિવર્સિટીની રસીથી યુરોપ, અમેરિકા, મેક્સિકો અને રશિયાને સૌથી વધુ અપેક્ષાઓ હતી.