News Continuous Bureau | Mumbai
Yemen Enters Conflict: અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ જંગમાં હવે યમનની પણ સત્તાવાર એન્ટ્રી થઈ ગઈ છે. ઈરાન સમર્થિત હૂતી બળવાખોરોએ દક્ષિણ ઈઝરાયેલના બીરશેબા અને તેની આસપાસના વિસ્તારો પર બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો છે. આ હુમલાને કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો અને ઈઝરાયેલના મુખ્ય પરમાણુ સંશોધન કેન્દ્ર પાસે પણ સાયરન ગુંજી ઉઠ્યા હતા.મીડિયા રિપોર્ટ મુજબ, વર્તમાન યુદ્ધમાં હૂતી બળવાખોરો દ્વારા ઈઝરાયેલ પર કરવામાં આવેલો આ પ્રથમ સીધો હુમલો છે. ઈઝરાયેલની સેનાએ જણાવ્યું છે કે તેમણે યમનથી લોન્ચ કરવામાં આવેલી મિસાઈલની ઓળખ કરી લીધી છે અને તેને તોડી પાડવા માટે એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી દીધી છે.
પરમાણુ કેન્દ્ર પાસે ત્રીજીવાર વાગી સાયરન
ઈઝરાયેલની સેનાના જણાવ્યા અનુસાર, શનિવારે વહેલી સવારે યમન તરફથી મિસાઈલ છોડવામાં આવી હતી. શુક્રવાર રાતથી શનિવાર સવાર સુધીમાં બીરશેબા અને ઈઝરાયેલના અત્યંત સુરક્ષિત પરમાણુ સંશોધન કેન્દ્રની આસપાસના વિસ્તારોમાં ત્રણવાર સાયરન વાગી હતી આખી રાત ઈરાન અને હિઝબુલ્લાહ દ્વારા પણ ઈઝરાયેલ પર રોકેટ અને મિસાઈલ હુમલા ચાલુ રહ્યા હતા.
આ સમાચાર પણ વાંચો: The Land of Rumors:સોશિયલ મીડિયાના યુગમાં ‘અફવા પ્રધાન’ દેશ? મીઠાની અછતથી લઈને પેટ્રોલ પંપ પરની ભીડ સુધી, ભારતમાં અફવાઓ કેવી રીતે મચાવે છે હડકંપ.
હૂતી બળવાખોરોની ખુલ્લી ધમકી
હૂતી બળવાખોરોએ શુક્રવારે જ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો અન્ય દેશો ઈરાન વિરુદ્ધના યુદ્ધમાં અમેરિકા કે ઈઝરાયેલનો સાથ આપશે, તો તેઓ સૈન્ય હસ્તક્ષેપ કરવા તૈયાર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે જો લાલ સમુદ્રનો ઉપયોગ ઈરાન પર હુમલા કરવા માટે કરવામાં આવશે, તો તેઓ કોઈપણ હદ સુધી જઈ શકે છે.
ભારત માટે વધ્યું જોખમ
યમનના હૂતીઓ દ્વારા લાલ સમુદ્રમાં (Red Sea) વધતી જતી સક્રિયતા ભારત માટે ચિંતાનો વિષય છે. આ માર્ગે ભારતનો મોટાભાગનો દરિયાઈ વેપાર અને તેલની આયાત થાય છે. જો હૂતીઓ લાલ સમુદ્રમાં જહાજોને નિશાન બનાવશે, તો વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ શકે છે, જેની સીધી અસર ભારતીય અર્થતંત્ર પર પડી શકે છે.