પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
Bhagavat: પ્રહલાદ ( Prahlad ) કહે છે:-નાથ! હું જાણુ છું કે આ નામામૃતનું અને કથામૃતનું પાન જે કરે છે, તેનું મન શુદ્ધ થાય છે. અને જેનું મન શુદ્ધ થાય તેને જગત બ્રહ્મરૂપ ( Brahmarupa ) દેખાય છે. પણ મારું મન એવું છે કે તે જલદી નામામૃત અને કથામૃતનો આશ્રય લેતું નથી. વિચાર કરો, પ્રહલાદજીનું મન શું અશુદ્ધ હતું? ના ના પ્રહલાદજીએ આપણા મનની કથા કરી છે. પ્રહલાદજીનું મન ખરાબ નથી. તે આપણા મનની વાત કરે છે. સંસારના વિષયોનું ચિંતન કરવાથી મન બગડયું છે, તેથી જગત બગડેલું દેખાય છે. સિદ્ધજ્ઞાનીને
સંસાર બ્રહ્મરૂપ ભાસે છે. તેને જગત બગડેલું દેખાતું નથી, કારણ કે તેઓ સતત પરમાત્માનાં દર્શન કરે છે. સાધકને પણ જગત
દેખાતું નથી. સાધકને સાધનમાં એવી તન્મયતા થાય છે, કે તેને જગત દેખાતું નથી. જે ઇશ્વરથી વિમુખ છે, તેને માટે જગત
બગડયું છે. નામ અને નામનો આશ્રય કરે તો મન સુધરે છે. આપણા જેવા સાધારણ મનુષ્યો માટે બીજો માર્ગ હવે દેખાતો નથી.
મન બગડયું છે, સંસારનું ચિંતન કરવાથી, તે મન શ્રીકૃષ્ણના ( Sri Krishna ) સ્વરૂપનું ચિંતન કરે, તે મન શ્રીકૃષ્ણના નામનું સ્મરણ કરે, તો તે સુધરે છે.
કથામાં ઘડિયાળ તરફ દ્દષ્ટિ જાય. દોઢ વાગ્યા સુધી ચલાવશે. ત્યારે ગપ્પાં મારવામાં હાથે ઘડિયાળ હોવા છતાં એ ઉપર
દ્દષ્ટિ જતી નથી. સમયનો નાશ એ સર્વસ્વનો નાશ છે. એક લક્ષાધિપતિ શેઠ મરવા પડયા. તે ઠાકોરજીને ( Thakorji ) કહે, ભગવાન, બે લાખ રૂપિયા આપું. મારું આયુષ્ય બે દિવસ માટે વધારી આપો. મારાં ઘણાં કામ બાકી છે. ભગવાન શું આયુષ્ય વધારી આપશે?
ભગવાન સમય આપવામાં ઉદાર નથી. આ મન દુષ્ટ છે, કામાતુર છે. મારું મન કામસુખનું ચિંતન કરે છે. કામસુખનું ચિંતન
વિષયો ભોગવવા કરતાં પણ બૂરું છે. મન એવું ખરાબ છે કે તે કથામાં સ્થિર થતું નથી. મારું મન હર્ષ શોક અને ભયથી મુકત છે.
થોડોક લાભ થાય તો મન હર્ષથી ઘેલું થાય છે. થોડુંક નુકશાન થાય તો તે દુ:ખી થાય છે.
કોઈ ઠેકાણે લખ્યું નથી કે ભગવાન કૃપા કરે તો પૈસો આપે છે. ભાગવતના ( Bhagwad gita ) આઠમા સ્કંધમાં તો લખ્યું છે કે જેના ઉપર હું કૃપા કરું છું તેની સઘળી સંપત્તિનો નાશ કરું છું. ભગવતકૃપાનું ફળ પૈસો નથી. પૈસો તો પ્રારબ્ધથી મળે છે. ભગવાન કૃપા કરીને
મનશુદ્ધિ આપે છે. ભગવાન કૃપા કરે તેને સંપત્તિ આપતા નથી. તેને સંતોષ આપે છે. પ્રભુકૃપા થાય તો સત્કર્મ કરવાની ઈચ્છા
થાય છે.
જીવ એવો તો દુષ્ટ છે કે સાધારણ આનંદમાં પાગલ બને છે અને થોડું દુ:ખ થાય તો રડવા બેસે છે.
સંસારમાં પાપ છે એવી કલ્પના ન કરો. સંસારમાં પાપ હોય, તો તેનો જવાબ તમારે આપવાનો નથી. જે પાપ તમારા
મનમાં છે, તેનો તમારે જવાબ આપવાનો છે. જગતનું પાપ તમે દૂર કરી શકવાના નથી.
પ્રહલાદ કહે છે:- મારું મન અસાધુ છે. અપકારનો બદલો ઉપકારથી વાળે એ સાધુ છે. મારું મન કામાતુર છે. તમારી
કથામાં, તમારા નામસ્મરણમાં મન સ્થિર થતું નથી. હવે કૃપા કરી હે નાથ, મારું મન આપ જ સુધારજો.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૦૩
જે ભગવત્ સેવાથી વિમુખ છે, તેને જોવાથી મને દુ:ખ થાય છે. સંસારમાં મોટે ભાગે બહુ પરિશ્રમ કરી લોકો દુ:ખ ભોગવે
છે. તેટલો પરિશ્રમ ભગવત સેવા કરવામાં કરે તો સુખી થાય.
નાથ! આ સંસારનું સુખ કેવું છે? સંસારનું સુખ તો દરાજને ખંજવાળવા જેવું છે.
મૈથુનસુખ વગેરે ઇન્દ્રિયોના સ્પર્શથી થતાં સુખો, ખુજલીને ખંજવાળવાથી જેવું સુખ મળે છે તેવાં છે. ખુજલીને ખંજવાળો
એટલે સુખ જેવું ભાસે છે. પરંતુ નખના ઝેરથી દરાજ વધે છે, અને ત્રાસ આપે છે. આ સુખો તુચ્છ અને દુ:ખમય-જ છે.
યન્મૈથુનાદિ ગૃહમેધિસુખં હિ તુરછં કણ્ડૂયનેન કરયોરિવ દુ:ખ દુ:ખમ્ ।
ગીતાજીમાં કહ્યું છે:-
યે હિ સંસ્પર્શજા ભોગા દુ:ખયોનય એવ તે ।
આદ્યન્તવન્ત: કૌન્તેય ન તેષુ રમતે બુધ: ।।
ઇન્દ્રિયોના તથા વિષયોના સંયોગથી જે ભોગો ઉત્પન્ન થાય છે, તે નિઃસંદેહ દુઃખનું જ કારણ છે. તે આદી અને
અંતવાળા એટલે કે અનિત્ય છે. તેથી હે અર્જુન, ડાહ્યા પુરુષો આવાં સુખોમાં રમતા નથી. એવા સુખોને તેઓ ઈચ્છતા નથી.
ઇન્દ્રિયોને ચળ આવે તે સમયે મનુષ્ય શાંતિ રાખે. સાવધ રહે, તો સુખી થાય છે.